દેશમાં જ્વલ્લે જ જોવા મળતો બ્રુસેલોસિસ રોગ છોટા ઉદેપુરના યુવાનમાં પકડાયો

છોટા ઉદેપુરના યુવાન મોઈન કુરેશીને એક મહિનાથી તાવ આવતો હતો, ડેગ્યુનો ઈલાજ કરાયા બાદ વધુ તપાસ કરાવતાં બ્રુસેલોસિસ નામનો રોગ થયાનું બહાર આવ્યું, માત્ર પશુઓમાં જ જોવા મળતા આ રોગનો વાયરસ પાલતુ પ્રાણીઓ ગાય, ભેંસ કે બકરીનું દૂધ પીવાથી કે તેનું માસ આરોગવાથી માનવ શરીરમાં પ્રવેશે છે

દેશમાં જ્વલ્લે જ જોવા મળતો બ્રુસેલોસિસ રોગ છોટા ઉદેપુરના યુવાનમાં પકડાયો

છોટા ઉદેપુરઃ ગુજરાતમાં માનવોમાં જ્વલ્લે જ જોવા મળતા એવા બ્રુસોલિસસ રોગનો કેસ જોવા મળ્યો છે. છોટા ઉદેપુરનો 25 વર્ષનો યુવાન બ્રુસેલોસિસ વાયરસની ચપેટમાં આવ્યો છે. દર્દી વડોદરાના ડભોઈની વિનયક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને હાલ તેની તબિયત સારી છે. આરોગ્ય વિભાગને આ રોગની જાણ થતાં સરકારી મેડિકલ ટીમ પણ એકશનમાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મુળ છોટાઉદેપુરનો રેહવાસી મોઇન કુરેશી (૨૫ વર્ષ)ને એક મહિના અગાઉ તાવ આવ્યો હતો. તેને તાવ અને પગના સાંધામાં અસહ્ય દુખાવો થતો હતો. આથી તેણે છોટાઉદેપુરની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધી હતી. અહીં 10 દિવસ સુધી સારવાર બાદ પણ સારું ન થતાં તે ડભોઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો હતો. 

ખાનગી હોસ્પિટલના ડૉ. વિશાલ ચૌહાણ તેમજ રિતેશ પરમારે શરૂઆતમાં તો દર્દીના લક્ષણો ડેગ્યુ જેવા હોવાને કારણે એ રીતે તેનો ઈલાજ શરૂ કર્યો હતો. તેમ છતાં દર્દીની પરિસ્થિતિમાં કોઈ પણ જાતનો સુધારો ન થતાં દર્દીની ચેપી રોગ અંગે વિશેષ રિપોર્ટ કરાવાયા હતા. 

આ રિપોર્ટમાં દર્દીને બ્રુસેલોસિસ નામનો રોગ થયો હોવાનું જાણવા મળ્યું હતું. સામાન્ય રીતે પશુઓમાં જ થતો આ બ્રુસેલોસિસ માનવ શરીરમાં જોવા મળતાં તબીબ પણ ચોંકી ગયા હતા. ત્યાર બાદ તબીબોએ રોગનો ખુલાસો થઈ જતાં તેના પ્રમાણે દર્દીનો ઈલાજ કરવાનું શરૂ કર્યું હતું. હાલ દર્દીની તબિયત સુધારા પર છે. 

(બ્રુસોલોસિસના દર્દીનો ઈલાજ કરી રહેલા ડો. વિશાલ ચૌહાણ)

આરોગ્ય વિભાગને આ રોગ અંગે જાણ થતાં તે પણ હરકતમાં આવ્યું છે અને તેણે દર્દીની મુલાકાત લઈને વિસ્તૃત તપાસની કાર્યવાહી હાથ ધરી છે.  

આ અંગે દર્દીનો ઈલાજ કરી રહેલા ડભોઈની વિનાયક હોસ્પિટલના ડોક્ટર વિશાલ ચૌહાણે જણાવ્યું કે, છોટા ઉદેપુરથી એક પેશન્ટ આવ્યો હતો, જે છેલ્લા 25 દિવસથી બિમાર હતો. દર્દીના લક્ષણો ડેગ્યુ જેવા જ હતા. સૌ પ્રથમ ડેગ્યુના દર્દી તરીકે ઈલાજ કર્યા બાદ સુધારો ન થતાં ઈન્ફેક્શન ડિસિઝ થયો હોવાની શંકા ગઈ હતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે આ દર્દીને બ્રુસેલોસિસ નામની બિમારી છે. 

બ્રુસેલોસિસ બિમારી અંગે માહિતી આપતા ડો. વિશાલે જણાવ્યું કે, આ બિમારી બ્રુસેલા નામના વાયરસથી થાય છે. જે મુખ્યત્વે પ્રાણીઓના સંસર્ગ એટલે કે ગાય, ભેંસ કે બકરીના દૂધ પીવાથી કે તેનું માંસ ખાવાથી શરીરમાં પ્રવેશે છે. આ બિમારીનો ઈલાજ ઘણો લાંબો હોય છે, પરંતુ તેમાં લાબા સમય સુધી એન્ટીબાયોટિકનો કોર્સ કરવાનો રહે છે. આ રોગના ભારતમાં વર્ષે 100 જેટલા કિસ્સા જ જોવા મળે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news