ઠાકોર સેનામાં પડ્યા બે ભાગ? એક્તા યાત્રામાં ઓછા લોકોની હાજરીએ અલ્પેશ ઠાકોરની ચિંતા વધારી

ઠાકોર સેનાના પ્રમુખ અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આજે અંબાજીથી એકતા યાત્રાનો પ્રારંભ કર્યો છે. જો કે આ યાત્રામાં ઓછી સંખ્યામાં લોકો જોવા મળ્યા જેણે અલ્પેશ ઠાકોરમાં ચિંતા વધારી. 

ઠાકોર સેનામાં પડ્યા બે ભાગ? એક્તા યાત્રામાં ઓછા લોકોની હાજરીએ અલ્પેશ ઠાકોરની ચિંતા વધારી

અર્પણ કાયદાવાલા (અંબાજી), અલ્કેશ રાવ(બનાસકાંઠા): ઠાકોર સેનાના પ્રમુખ અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આજે અંબાજીથી એકતા યાત્રાનો પ્રારંભ કર્યો છે. જો કે આ યાત્રામાં ઓછી સંખ્યામાં લોકો જોવા મળ્યા જેણે અલ્પેશ ઠાકોરમાં ચિંતા વધારી. અલ્પેશ ઠાકોરે માતાજીના દર્શન કર્યા અને ધજા પણ ચઢાવી. એકતા યાત્રાને લઈને અલ્પેશ ઠાકોરે કહ્યું કે જે લોકો સમાજને તોડવાના મનસૂબા જોવે છે એ ક્યારેય સફળ નહીં થાય. હું સમાજના મુદ્દા લઈને હંમેશા લડત આપતો રહીશ. આગામી સમયમાં ગાંધીનગરમાં મોટું સંમેલન યોજવામાં આવશે. OBC સમાજની વસ્તીગણતરી થાય અને અનામતનો નવો સર્વે પણ થવો જોઈએ. 

વિખવાદની અસર જોવા મળી એક્તા યાત્રા પર
અલ્પેશ ઠાકોરે આજે અંબાજીથી એક્તા યાત્રાનો પ્રારંભ કર્યો જો કે સમાજના આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હોવાનો જે વિખવાદ ચાલી રહ્યો છે તેની અસર યાત્રા પર જોવા મળી. અલ્પેશ ઠાકોર નિયત સમય બાદ પણ મંદિર પહોંચ્યા નહતાં. ઠાકોર સેનામાં બે ભાગ પડી ગયા હોય તેવું જણાઈ આવ્યું. યાત્રામાં જોડાનારા કાર્યકરોની ઓછી હાજરીથી અલ્પેશ ઠાકોર પણ ચિંતામાં જોવા મળ્યાં. 

સમાજના આગેવાનો દ્વારા જ એક્તા યાત્રાનો વિરોધ
અત્રે જણાવવાનું કે આ એકતા યાત્રાને લઈને બનાસકાંઠાના ઠાકોર સેનાના પૂર્વ પ્રમુખ મેલાજી ઠાકોર સહિત જિલ્લાના અનેક ઠાકોર આગેવાનો અલ્પેશ ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે જેના કારણે ઠાકોર સમાજનો વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ઠાકોર સેનાના પ્રમુખ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આજે અંબાજીમાં થી એકતાયાત્રાની શરૂઆત કરી છે આ એકતા યાત્રા બનાસકાંઠા સહિત ગુજરાતના અનેક જીલ્લામાં ફરશે અને સમાજને એક કરવા સહિત અનેક મુદ્દાઓ તેમજ સમસ્યાઓને હલ કરવાના પ્રયાસો કરશે પરંતુ આ એક્તાયાત્રાને લઈને ઠાકોર સમાજમાં જ વિખવાદો બહાર આવ્યા છે. 

બનાસકાંઠાના ઠાકોર સમાજના અનેક મોટા આગેવાનો તેમજ જિલ્લાના ઠોકર સમાજના પૂર્વ પ્રમુખ મેલાજી ઠાકોરને જ આમંત્રણ અપાયું નથી જેના કારણે ઠાકોર સમાજના અનેક આગેવાનો નારાજ થયા છે. મેલાજી ઠાકોરનું કહેવું છે કે જે લોકોએ જ ઠાકોર સેના ઉભી કરી હતી તેવા લોકોને આમંત્રણ નથી અપાયું. સ્થાનિક આગેવાનોને જ ગણકાર્યા નથી. સમાજ તો પહેલેથી જ એક છે જેના કારણે અલ્પેશ ઠાકોર અને ગેનીબેન ધારાસભ્ય બન્યા છે તો હવે આ એકતા યાત્રા શું કામ. સમાજના લોકોને સાઈડ લાઈન કરાય છે જેથી એકતા યાત્રા સફળ નહીં થાય. અલ્પેશ ઠાકોર પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યા છે તેવો સમાજનો ઉપયોગ કરીને 2019ની ચૂંટણીમાં લાભ લેવા માંગે છે. તેમને ઠાકોર સમાજ પ્રત્યે  પ્રેમ હોય તો ઠાકોર સમાજનું ભલું કરે પણ સમાજના ભોગે રાજકારણ ન કરે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news