અંબાજીમાં પ્રથમ દિવસે 2,50,244 શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન, જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા

અંબાજી મંદિરને રોશનીથી શણગારાયું, સુરક્ષામાં 3000થી વધુ પોલીસ જવાનોનો કાફલો ઉતારાયો, 2.50 લાખ જેટલા પ્રસાદનાં પેકેટનું વિતરણ, 30થી 40 લાખ ભક્તો આવવાની સંભાવના

અંબાજીમાં પ્રથમ દિવસે 2,50,244 શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન, જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા

અંબાજીઃ શકિતપીઠ અંબાજી યાત્રાધામ ખાતે ભાદરવી પૂનમના મહામેળાની બુધવારે શરૂઆત થઈ ગઈ છે. મા અંબેના મંદિરમાં સુંદર રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. રાત્રીના સમયે મંદિર સુંદર રોશનીથી ઝગમગી ઉઠ્યુ હતું. પ્રથમ દિવસે 2,50,244 શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શન કરીને ધન્ય થયા હતા. 2,46,200 પ્રસાદનાં પેકેટનું મેળામાં વિતરણ કરાયું હતું અને 23,415 યાત્રિકોએ લીધો નિ:શુલ્ક ભોજનનો લાભ લીધો હતો. 

ઉલ્લેખનીય છે કે, ભાદરવી પૂનમને લઇ રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને અંબાજીના દર્શન કરવા આવતા હોય છે. અંબાજીમાં ભાદરવી પૂનમ સુધી પાંચ દિવસ સુધી મહામેળો યોજાય છે. મેળાના પ્રથમ દિવસે ભંડાર અને ગાદીની રૂ. 25,01,790 જેટલી આવક થઈ હતી. અંબાજીમાં આવેલી વિવિધ બેન્કોમાં પણ રૂ.23,98,922ની આવક નોંધાઈ હતી. 14,196થી વધુ શ્રદ્ધાળુઓ એસટી બસમાં બેસીને પોતાના વતન જવા રવાના થયા હતા. પ્રથમ દિવસે અંબાજીમાં કુલ રૂ.49,00,712ની આવક નોંધાઈ હતી. 

અંબાજીમાં આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસ દ્વારા પણ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તંત્ર દ્વારા આ વર્ષે 30થી 40 લાખ જેટલા ભાવિક ભક્તો આવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ભાદરવી પુનમ નિમિત્તે અંબાજી આવનારા ભક્તોની સુરક્ષા માટે 3000થી વધુ પોલીસ જવાનોને ઉતારવામાં આવ્યા છે. માર્ગમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસ દ્વારા  57 સહાયતા કેન્દ્રો પણ ખોલવામાં આવ્યા છે. કોઈ પણ પ્રકારની અફવાઓને ફેલાતી અટકાવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરાશે અને ભાદરવી પૂનમ સુધી ગુજરાત પોલીસ 24 કલાક ખડેપગે સેવા બજાવશે. 

છેલ્લા પાંચ દિવસથી સરકારના પ્લાસ્ટિક પ્રતિબંધનો વિરોધ કરી રહેલા વેપારીઓએ ભાદરવી પૂનમનો મેળો શરૂ થવાની સાથે જ બુધવારે દુકાનો પણ ખોલી નાખી હતી. બુધવારે અંબાજીના તમામ બજાર ખુલ્લા રહ્યા હતા અને બજારમાં શ્રદ્ધાળુઓનો માનવ મહેરામણ જોવા મળતો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news