કુંભમેળામાં 1 મહિના સુધી દરેક ભૂખ્યાને ભોજન કરાવે છે આ ગુજરાતી

 કુંભ મેળામાં સાધુ સંતોના દર્શન, ત્રિવેણી સંગમમાં સ્નાન અને ભક્તિની સરવાણી વહાવવા ગુજરાતમાંથી ઘણાં ભાવિકો પ્રયાગરાજ પહોંચ્યા છે. 

કુંભમેળામાં 1 મહિના સુધી દરેક ભૂખ્યાને ભોજન કરાવે છે આ ગુજરાતી

ગુજરાત : 14 જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પવિત્ર કુંભમેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. મકર સંક્રાંતિથી શિવરાત્રી દરમિયાન ચાલનારા આ કુંભ મેળામાં ભજન, ભોજન અને ભક્તિનો સુભગ સમન્વય જોવા મળશે. કુંભ મેળામાં સાધુ સંતોના દર્શન, ત્રિવેણી સંગમમાં સ્નાન અને ભક્તિની સરવાણી વહાવવા ગુજરાતમાંથી ઘણાં ભાવિકો પ્રયાગરાજ પહોંચ્યા છે. ઝી 24 કલાકની ટીમે કુંભ પહોંચેલા ગુજરાતીઓનો સંપર્ક કરી તેમના અનુભવો જાણ્યા અને આગામી સમયમાં તેઓ શું કરવાના છે તેની પણ માહિતી મેળવી.

મયુર મોરીએ મીડિયા સામે ડો.શ્યામ રાજાણીનો વધુ એક ભાંડો ફોડ્યો

પ્રયાગરાજમાં શરૂ થનારા કુંભમેળામાં રાજકોટથી 150 ભાવિકો પહોંચ્યા છે. 75થી વધુ મહિલાઓ અને પુરુષોનું મોટુ ગ્રૂપ કુંભમેળામાં 10 દિવસ સુધી રોકાશે. કુંભમેળામાં નીકળનારી સાધુઓની શાહી સવારી વખતે ગુજરાતી મહિલાઓ રાસ ગરબા કરશે. પારંપરિક કાઠિયાવાડી પોષાક પહેરી આ મહિલાઓ ગુજરાતની સંસ્કૃતિના દર્શન કુંભમાં ભાવિકોને કરાવશે.

KumbhJayantibhai.jpg

ગુજરાતીઓ પોતાની મહેમાનગતિ માટે દુનિયાભરમાં જાણીતા છે અને તેમાં પણ કાઠિયાવાડમાં અન્નક્ષેત્ર, મફત ભોજન સેવાનો મહિમા ખૂબ પ્રસિદ્ધ છે. ત્યારે રાજકોટના આવા જ એક સેવાભાવી જેન્તીભાઈ પ્રયાગરાજ પહોંચ્યા છે. અહીં આવનારા શ્રદ્ધાળુઓને મફત ભોજન કરાવવાના આશયથી જેન્તીભાઈએ કુંભમેળામાં અન્નક્ષેત્ર ખોલ્યું છે. આ અન્નક્ષેત્રમાં તેઓ 1 મહિના સુધી કુંભમાં આવતા ભાવિકોને મફતમાં ત્રણેય ટાઈમનું ભોજન આપશે. સાથે જ તેઓ ભાવિકોને રહેવાની વ્યવસ્થા પણ મફતમાં કરી આપશે. જેન્તીભાઈના અન્નક્ષેત્રમાં ભક્તજનોને કાઠિયાવાડી ભોજનનો સ્વાદ માણવા મળશે. આ ઉપરાંત નાસ્તામાં ગાંઠિયા, ભજીયા, ઢોકળા અને થેપલા તેમજ અડદિયા સહિતની મીઠાઈ પણ લોકોને મફતમાં ભાવથી ખવડાવવામાં આવશે. 

KumbhGujaratiGarba.jpg

આ વિશે જેન્તીભાઈએ કહ્યું કે, હું 30 વર્ષથી આવી રીતે કુંભમાં જમાડું છું. આ મારો નવમો મેળો છે. મને અહીં આવીને લોકોને જમાડવું ગમે છે. અહીં જે પણ આવે તેમને ફ્રીમાં રહેવા અને જમાડવાની વ્યવસ્થા કરીએ છીએ. અમારે ત્યાં જે પણ આવે છે તે કોઈ પણ ભૂખ્યુ પાછું જતું નથી. હાલ અમે 2 ટ્રક ભરીને રાશન ગુજરાતથી લઈ આવ્યા છીએ. 

શું તબેલા માટે કરાયું હતું જયંતી ભાનુશાળી ખૂન? પૂર્વ પ્રેમિકા મનીષા સાથે છે તેનું કનેક્શન
ઉલ્લેખનીય છે કે, 14 જાન્યુઆરીથી ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજમાં કુંભમેળાનો પ્રારંભ થશે. જે 4 માર્ચ સુધી ચાલશે. ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પર કુંભ મહોત્સવનું આયોજન થયું છે. કુંભમેળામાં 8 શાહી સ્નાન થશે. પ્રથમ શાહી સ્નાન મકર સંક્રાંતિના દિવસે, બીજું શાહી સ્નાન પોષી પૂનમે એટલે કે 21 જાન્યુઆરીએ, ત્રીજુ શાહી સ્નાન 31 જાન્યુઆરીએ અને ચોથું શાહી સ્નાન 4 ફેબ્રુઆરીએ, પાંચમું શાહી સ્નાન 10 ફેબ્રુઆરીએ, છઠ્ઠુ શાહી સ્નાન 16 ફેબ્રુઆરીએ, સાતમું શાહી સ્નાન 19 ફેબ્રુઆરીએ અને આઠમું તેમજ અંતિમ શાહી સ્નાન 4 માર્ચે થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news