કોણ બનશે કર્ણાટકનો સીએમ? 'આ' 20 ધારાસભ્યોના હાથમાં છે બાજી
સુપ્રીમ કોર્ટે બીએસ યેદિયુરપ્પાને શનિવારે સાંજે 4 વાગ્યા સુધી બહુમત સાબિત કરવાનો આદેશ આપ્યો છે
Trending Photos
બેંગ્લુરુ : કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ પછી શરુ થયેલા સત્તાના ઘમસાણનો આજે અંત આવશે. સાંજે 4 વાગ્યા સુધી યેદિયુરપ્પા સરકારે ફ્લોર ટેસ્ટ માટે બહુમત સાબિત કરવાનો રહેશે. બહુમત પરિક્ષણ પહેલા કર્ણાટકના મેંગ્લોરમાં 144 કલમ લગાવી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે બીએસ યેદિયુરપ્પાને શનિવારે સાંજે 4 વાગ્યા સુધી બહુમત સાબિત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ આદેશ કોંગ્રેસ અને JDS દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર ચાલેલી લાંબી દલીલો પછી આપ્યો છે. બન્ને પાર્ટીઓ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાના તે નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી હતી જેમાં તેમણે ભાજપને સૌથી મોટી પાર્ટી હોવા બદલ સરકાર બનાવાવનું નિમંત્રણ આપ્યુ હતું.
કર્ણાટકમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી પરિણામોના દિવસે બપોર બાદ નાટકીય વળાંક લઈ ચુકેલી રાજનીતિ માટે આજે શનિવારનો દિવસ નિર્ણાયક સાબિત થનારો છે. હાલમાં કર્ણાટકમાં થયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ પછી બીજેપી પાસે 104 સીટ, કોંગ્રેસ પાસે 78 અને જેડીએસ પાસે 37 સીટ છે. આ સિવાય 3 સીટ અપક્ષના ફાળે ગઈ છે. 222 સીટ પર યોજાયેલી આ ચૂંટણીમાં બહુમત સાબિત કરવા માટે 113 સીટનો જાદૂઈ આંકડો હોવો જરૂરી છે. આ સંજોગોમાં બહુમતી સાબિત કરવાનો મોટો આધાર લિંગાયત સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા કોંગ્રેસના 18 અને જેડીએસના 2 ધારાસભ્યો કે જે લિંગાયત સમુદાયમાંથી આવે છે તેમના પર રહેશે.
ભાજપના અનેક નેતાઓનું માનવું છે કે, વિરોધ પક્ષના લિંગાયત ધારાસભ્યો પોતાના સમુદાયના ગુસ્સાથી બચવા માટે આ ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરી શકે છે. કર્ણાટકના એક ભાજપના નેતાનું કહેવું છે કે, લિંગાયત સમાજના લોકો પોતાના સમુદાયને વહેંચનારી કોંગ્રેસથી નારાજ છે. આ વાત ફ્લોર ટેસ્ટ વખતે મહત્વની સાબિત થઈ શકે છે.
નોંધનીય છે કે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ બાદ યેદિયુરપ્પાએ ધારાસભ્યોને અંતરઆત્માના અવાજના આધારે મત આપવાની અપીલ કરી હતીએ, જેનો હેતુ વિરોધ પક્ષના લિંગાયત ધારાસભ્યોને પોતાના તરફ ખેંચવાનો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે