કર્ણાટકમાં ગઠબંધન સરકાર મુશ્કેલીમાં!, 2 અપક્ષો બાદ હવે કોંગ્રેસના 5 MLA પણ છોડશે સાથ?

 કર્ણાટકમાં રાજકીય સંકટ વધતુ જતું જોવા મળી રહ્યું છે. મંગળવારે બે અપક્ષ ધારાસભ્યોએ જેડીએસ-કોંગ્રેસની સરકારને આપેલો ટેકો પાછો ખેંચવાની જાહેરાત કર્યા બાદ સૂત્રોના જણાવ્યાં મુજબ હવે કોંગ્રેસના પાંચ સભ્યો પણ પલટી મારી શકે છે. 

કર્ણાટકમાં ગઠબંધન સરકાર મુશ્કેલીમાં!, 2 અપક્ષો બાદ હવે કોંગ્રેસના 5 MLA પણ છોડશે સાથ?

જયપાલ શર્મા, નવી દિલ્હી:  કર્ણાટકમાં રાજકીય સંકટ વધતુ જતું જોવા મળી રહ્યું છે. મંગળવારે બે અપક્ષ ધારાસભ્યોએ જેડીએસ-કોંગ્રેસની સરકારને આપેલો ટેકો પાછો ખેંચવાની જાહેરાત કર્યા બાદ સૂત્રોના જણાવ્યાં મુજબ હવે કોંગ્રેસના પાંચ સભ્યો પણ પલટી મારી શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય રમેશ જર્કેહોલી મુંબઈમાં આ બળવાખોર ધારાસભ્યોને મળીને આગળની રણનીતિ તૈયાર કરી રહ્યાં છે. સૂત્રોએ જણાવ્યું કે ધારાસભ્યો કોંગ્રેસની સદસ્યતા છોડીને ભાજપના ખેમામાં જઈ શકે છે. રમેશ જર્કેહોલીને થોડા સમય પહેલા જ કેબિનેટ મંત્રીમંડળથી હટાવવામાં આવ્યાં હતાં. મંત્રીપદ જતા રમેશ નારાજ હોવાનું કહેવાતું હતું. 

આ બધા વચ્ચે સૂત્રોના જણાવ્યાં મુજબ કોંગ્રેસ અને જેડીએસે પોતાના તમામ ધારાસભ્યોને બેંગ્લુરુ પહોંચવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ કોંગ્રેસે ડી કે શિવકુમાર અને એમ બી પાટિલને બળવાખોર ધારાસભ્યો સાથે વાતચીત કરીને પોતાના જૂથમાં લાવવાની જવાબદારી સોંપી છે. આ બાજુ ગુરુગ્રામમાં અડ્ડો જમાવીને બેઠેલા ભાજપના તમામ 104 ધારાસભ્યો સાથે બી એસ યેદિયુરપ્પાએ બેઠક યોજી છે. 

બે ધારાસભ્યોએ સમર્થન પાછુ ખેંચ્યું
આ અગાઉ કર્ણાટકમાં સાત મહિના જૂની એચ ડી કુમારસ્વામીના નેતૃત્વવાળી જેડીએ-કોંગ્રેસ સરકારને ઝટકો આપતા બે અપક્ષ ધારાસભ્યોએ પોતાનો ટેકો પાછો ખેંચી લીધો. બંને ધારાસભ્યોએ આ  પગલું સત્તારૂઢ ગઠબંધન અને ભાજપ દ્વારા એક બીજા પર ધારાસભ્યોની ખરીદ વેચાણના આરોપો વચ્ચે લીધુ છે. એચ નાગેશ (અપક્ષ) અને આર શંકર (કેપીજેપી)એ રાજ્યપાલ વજુભાઈ વાળાને પત્ર લખીને તત્કાળ પ્રભાવથી સમર્થન પાછું ખેંચવાના પોતાનો પોતાનો નિર્ણય જણાવ્યો છે. 

હાલ મુંબઈની એક હોટલમાં રોકાયેલા આ ધારાસભ્યોએ પોત પોતાના પત્રમાં રાજ્યપાલને યોગ્ય પગલું લેવા માટે ભલામણ કરી છે. તેનાથી રાજ્યની 224 સભ્યોની વિધાનસભામાં સત્તારૂઢ ગઠબંધનનું સમર્થન કરનારા ધારાસભ્યોની સંખ્યા ઘટીને 118 થશે. જો કે હજુ પણ સરકારને કોઈ ખતરો નથી. આ સમગ્ર મામલાને બહુ ગંભીરતાથી ન લેનાર કોંગ્રેસ અને જેડીએના ટોચના નેતૃત્વએ કહ્યું કે સરકારને કોઈ જોખમ નથી. આ ઘટનાક્રમ બાદ મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યું કે તેમની સરકાર સ્થિર છે અને તેઓ સંપૂર્ણ રીતે નિશ્ચિત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news