Photos : મોતને ભેટેલા 24 સિંહોને ગરબામાં અપાઈ અનોખી શ્રદ્ધાંજલિ

ગીરમાં મોતને ભેટેલા 24 સિંહોની ચર્ચા આખા દેશમાં થઈ હતી. જેમાં ગુજરાત સરકાર પર અનેક સવાલો પણ ઉભા થયા હતા કે, ગીરમાં સિંહો સલામત નથી. ત્યારે ગુજરાતનો સૌથી મોટો તહેવાર નવરાત્રિમાં સિંહ બચાવોની અવેરનેસ ફેલાવાઈ રહી છે. અમરેલી જિલ્લાના બગસરામાં નવરાત્રિના છઠ્ઠા નોરતે સિંહોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સાથે ગરબો રમાયો હતો.

1/3
image

ગીરની શાન એવા સિંહોનું વાયરસને કારણે હાલમાં જ મોત નિપજ્યાં છે. તો બીજી તરફ, મા અંબાનું વાહન પણ સિંહ જ છે. ત્યારે આપા ગીગાની જગ્યાએ નવરાત્રિનું ખાસ આયોજન કરાયું હતું. જેમાં ગિગેવ રાસ મંડળની બાળાઓએ સિંહોના મુખવટા પહેરીને ગરબા કર્યા હતા. તો બીજી તરફ, જોનારા દર્શકો તથા મંડળના યુવકોએ પણ સિંહોના મુખવટા પહેર્યા હતા. 

2/3
image

આપા ગીગાની જગ્યામાં છેલ્લા 15 વર્ષથી ગિગેવ રાસ મહોત્સવનું આયોજન કરાય છે. જેમાં  પ્રાચીન ગરબા ગાઈને માતાજીની આરાધના કરાય છે. પરમ પૂજ્ય શ્રી જેરામબાપુ ગાદીપતિ આપાગીગાના તેમજ કોઠારી શ્રી હરિબાપુ દ્વારા આ આયોજન કરાય છે. આ પ્રાચીન ગરબાને નિહાળવા માટે લોકોની ભીડ જામતી હોય છે. ત્યારે સિંહોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હોઈ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.

3/3
image

ભારતીય સંસ્કૃતિ મુજબ સિંહ એટલે અંબાજી માતાનું વાહન. તો સિંહોનું મોત પણ દુખદ ઘટના છે. ત્યારે આ સિંહોની આત્માને શાંતિ મળે તે હેતુથી અમે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજ્યો હતો. તેમનુ જતન થાય તેવા પ્રયાસોથી આ ગરબા કરાયા હતા.