)
Mahisagar News : એક તરફ ઉનાળાની મોસમ આવી રહી છે, બીજી તરફ રાજ્યના 7 જિલ્લાના ખેડૂતો માટે માઠા સમાચાર આવી ગયા છે. રાજ્યના 7 જિલ્લાઓ માટે જીવાદોરી સમાન સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કડાણા ડેમમાં પાણીનો જથ્થો ઘટી જતાં સુજલામ સુફલામ કેનાલમાં અગામી સમયે પાણી બંધ કરશે. જેની અસર ગુજરાતના 7 જિલ્લાઓને પડશે. અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ સાબરકાંઠા મહેસાણા અને મહીસાગર જિલ્લાના ખેડૂતોને તેની અસર જોવા મળશે. ઉનાળામાં પીવાના પાણી અને ખેતી માટેના કુવા બોર પર પાણીની અછત સર્જાશે. કડાણા ડેમની જળ સપાટી ઘટી જતાં સિંચાઈ વિભાગ દ્વારા નિર્ણય લેવાયો છે.
ખેડૂતોની ચિંતા વધી ગઈ
આ સમાચારથી 7 જિલ્લાના ખેડૂતોનું ટેન્શન વધી ગયું છે. કારણ કે, ખેડૂતોને ભર ઉનાળે પાણીની હાલાકી ભોગવવી પડશે. ઉનાળુ પાક કેનાલના પાણી પર નિર્ભર હોય છે. આવામાં જો સિંચાઈ વિભાગ પાણી નહિ આપે તો આખો પાક નિષ્ફળ જઈ શકે છે. સાથે જ કેટલાક ખેડૂતોએ આ વર્ષે ઉનાળુ પાકની વાવણી જ આ કારણે ટાળી દીધી છે. જિલ્લામાં ખેતીલાયક ૧૬૫ લાખ હેક્ટર જમીનમાંથી ફક્ત ૧૩ હજાર હેકટર જમીન પર ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. અને તેમાં પણ હવે જો સુજલામ સુફલામ કેનાલનું પાણી નહેરમાં છોડવાનું બંધ કરાશે તો ખેડૂતો માટે પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાશે.
રાજ્યના ડેમોમાં 50 થી 55 ટકા પાણી છે
ગઈકાલે રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળીયા સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન આજી ડેમ પહોંચ્યા હતા. ઉનાળામાં પાણીની સમસ્યાને લઈને અધિકારીઓ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, રાજ્યના ડેમોમાં 50 થી 55 ટકા જેટલું પાણી છે. રાજકોટના બન્ને ડેમોમાં 90 થી 95 ટકા પાણી ભરેલું છે. ભયજનક કેનાલ રિપેર કરવામાં આવશે. આ ઉનાળામાં રાજ્યમાં પાણીની સમસ્યા નહીં રહે. રાજ્યમાં મોટા ભાગના ડેમોમાં 50 % જેટલું પાણી એવરેજ છે. રાજકોટના આજી 01 અને ન્યારી ડેમમાં 95 % પાણી ભરાયેલ છે. પાણી વિતરણ બંધ હશે ત્યારે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરાયેલી છે. જે ડેમો ખાલી છે તેમાંથી કાપ કાઢવાની સૂચના 2 દિવસમાં અપાશે. સુજલામ સુફલામ જલ અભિયાન, કેચ ધ રેન ની વ્યવસ્થા કરાશે. રાજકોટની આજુબાજુ ડેમ બનાવી શકાય તેટલી મોટી જગ્યા છે, સરકારી ખરાબાની નથી.
મંત્રીએ વધુમાં કહ્યું કે, જે ડેમો ખાલી છે તેમાં કાપ કાઢવા માટે સૂચના આપવામાં આવશે. જે ખેડૂતોને કાપ લઈ જવા માંગતા હોય તે સ્વખર્ચે લઈ જઈ શકશે. સૌની યોજનાની કેનલો જ્યાં ડેમેજ છે તેવી કેનાલો રીપેર કરવા બંધ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે કેનાલો બંધ કરવામાં આવશે તેની પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. પાણીની મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવશે.