)
Modi Sarkar 3.0: કેન્દ્રની મોદી સરકારે પોતાના ત્રીજા કાર્યકાળમાં ઘણા એવા નિર્ણયો લીધા છે, જે મિડલ ક્લાસના હિતમાં છે. ઉદાહરણ તરીકે, GST ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે લાગુ થયા બાદ મધ્યમ વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ઘણી સસ્તી થઈ જશે. આ પહેલા ઈનકમ ટેક્સના મોરચે પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. આ પછી વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની કમાણી કરતા મધ્યમ વર્ગના લોકોને ઈનકમ ટેક્સમાં રાહત મળી. તેવી જ રીતે, પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બનના બીજા તબક્કા હેઠળ શહેરી મધ્યમ વર્ગના લોકોને પોતાના ઘરનું સપનું સાકાર કરવાની તક આપવામાં આવી રહી છે.
GSTમાં બદલાવ
હાલમાં જ GST કાઉન્સિલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના સ્ટ્રક્ચરમાં મોટો ફેરફાર કર્યો છે અને દૈનિક ઉપયોગની વસ્તુઓ પરનો ટેક્સ ઘટાડીને 5% અને અન્ય ઉત્પાદનો પરનો ટેક્સ 18% કરવાનો નિર્ણય લીધો છે. નવા દર 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. નિષ્ણાતો કહે છે કે, GST દર ઘટાડવાના પગલાથી ગ્રાહક વસ્તુઓ, કપડાંઓ અને ફૂટવેર, નાના વાહનો, વીમા જેવા ક્ષેત્રોને સૌથી વધુ ફાયદો થશે. ખાસ કરીને મધ્યમ વર્ગને આનો મોટો ફાયદો મળવાનો છે.
આવકવેરામાં રાહત
1 ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટમાં કરદાતાઓને ખુશખબર આપતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે એક મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, નવી ટેક્સ પ્રણાલી હેઠળ 12 લાખ રૂપિયા સુધીની આવક (એટલે કે મૂડી લાભ જેવી ખાસ દરની આવક સિવાય એક લાખ રૂપિયાની સરેરાશ આવક) પર કોઈ ઈનકમ ટેક્સ ચૂકવવાપાત્ર રહેશે નહીં. 75,000 રૂપિયાના પ્રમાણભૂત કપાતને કારણે પગારદાર કરદાતાઓ માટે મર્યાદા 12.75 લાખ રૂપિયા રહેશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના
બધા માટે ઘરના લક્ષ્યને અનુરૂપ આ યોજનાને નવું સ્વરૂપ આપવામાં આવ્યું. આ અંતર્ગત સપ્ટેમ્બર 2024માં પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે PMAY-U 2.0 શરૂ કરવામાં આવી હતી. PMAY-U 2.0નું લક્ષ્ય આગામી પાંચ વર્ષમાં શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે 1 કરોડ ઘરો બનાવવાનું છે, જેમાં ₹10 લાખ કરોડનું રોકાણ અને ₹ 2.30 લાખ કરોડની સરકારી સબસિડીનો સમાવેશ થાય છે. આ અંતર્ગત કેન્દ્ર સરકાર લાભાર્થીઓને સબસિડી આપે છે.