)
Indian Railways Luggage Rules: ભારતીય રેલવે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એક ખૂબ જ મહત્વપૂર્ણ અને જરૂરી પગલું ભરવા જઈ રહ્યું છે. ભારતીય રેલવે હવે એરલાઇન કંપનીઓની જેમ સામાનના નિયમો લાગુ કરવા જઈ રહી છે. પ્રસ્તાવિત નિયમો અનુસાર મુસાફરોએ મુખ્ય રેલવે સ્ટેશનો પર ઇલેક્ટ્રોનિક મશીનોથી તેમના સામાનનું વજન કરવું પડશે.
હવે મુસાફરો નિર્ધારિત મર્યાદાથી વધુ સામાન સાથે ટ્રેનોમાં મુસાફરી કરી શકશે નહીં. જો કોઈ મુસાફર મર્યાદા કરતા વધુ સામાન સાથે મુસાફરી કરે છે, તો તેણે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. જ્યારે રેલવેનો આ નિયમ ઓછા સામાન સાથે મુસાફરી કરતા મુસાફરોને સુવિધા આપશે, તો બીજી તરફ જે લોકો ઘણીવાર વધુ સામાન સાથે મુસાફરી કરે છે તેમને સમસ્યાઓનો સામનો કરવો પડશે.
અલગ અલગ ક્લાસ માટે અલગ-અલગ રહેશે લિમિટ
ભારતીય રેલવેના નિયમો અનુસાર ટ્રેનોના અલગ-અલગ ક્લાસ માટે લગેજની કેપેસિટી અલગ-અલગ નક્કી કરવામાં આવી છે. ફર્સ્ટ ક્લાસ એસીમાં એક સીટ સાથે વધુમાં વધુ 70 કિલો, સેકન્ડ ક્લાસ એસી વધુમાં વધુ 50 કિલો અને થર્ડ ક્લાસ અને સ્લીપર ક્લાસ મહત્તમ 40 કિલો સામાન લઈ જઈ શકે છે.
આ ઉપરાંત જનરલ ક્લાસના મુસાફરોને ફક્ત 35 કિલો સામાન લઈ જવાની મંજૂરી છે. નિયમો અનુસાર ટ્રેનમાં વધુ જગ્યા રોકતી મોટી કદની બેગ પર પણ દંડ લાદવામાં આવી શકે છે, પછી ભલે તેનું વજન ગમે તેટલું હોય.
આ સ્ટેશનોથી શરૂ થશે નવો નિયમ
ઉત્તર મધ્ય રેલવે હેઠળના પ્રયાગરાજ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (DCM)એ જણાવ્યું કે, "આ પગલાનો ઉદ્દેશ્ય મુસાફરો માટે ખાસ કરીને લાંબા અંતરના રૂટ પર, વધુ કાર્યક્ષમ અને આરામદાયક મુસાફરીનો અનુભવ સુનિશ્ચિત કરવાનો છે." શરૂઆતમાં તે ઉત્તર મધ્ય રેલવેના મુખ્ય સ્ટેશનો જેમ કે પ્રયાગરાજ જંકશન, પ્રયાગરાજ છિવકી, સુબેદારગંજ, કાનપુર સેન્ટ્રલ, મિર્ઝાપુર, ટુંડલા, અલીગઢ જંકશન, ગોવિંદપુરી અને ઇટાવાથી શરૂ થશે.
DCMએ વધુમાં જણાવ્યું કે, આ સ્ટેશનો પર મુસાફરોના સામાનનું વજન કરવામાં આવશે અને જો તે નિર્ધારિત મર્યાદામાં હોય તો જ તેમને સ્ટેશનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.