)
Post Office: પોસ્ટ ઓફિસમાં નેશનલ સેવિંગ્સ રેકરિંગ ડિપોઝિટના નામથી એક બચત યોજના છે, જે વિશ્વાસપાત્ર અને સુરક્ષિત છે. આ યોજના ભારતીય પોસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. આ સ્કીમ તે લોકો માટે આદર્શ છે જે દર મહિને થોડી-થોડી રકમ રોકાણ કરી, એક ચોક્કસ સમય બાદ સારૂ રિટર્ન મેળવવા ઈચ્છે છે. નિયમિત માસિક બચતની સાથે-સાથે ક્વાર્ટર ચક્રવૃદ્ધિ વ્યાજ અને સરકારી ગેરંટી આ યોજનાને ખાસ બનાવે છે. આ યોજના ખાસ કરી નોકરિયાત, ગૃહિણીઓ, વરિષ્ઠ નાગરિકો અને બાળકો માટે યોગ્ય છે, જે ઓછા જોખમમાં સુરક્ષિત ભવિષ્યની યોજના બનાવવા ઈચ્છે છે.
આ સ્કીમ વિશે જાણો
પાત્રતા: કોઈપણ ભારતીય નાગરિક (વ્યક્તિગત, સંયુક્ત ખાતું, અથવા સગીરના નામે વાલી દ્વારા).
ન્યૂનતમ થાપણ: દર મહિને ફક્ત ₹100 (ત્યારબાદ ₹10 ના ગુણાંકમાં). મહત્તમ થાપણ મર્યાદા નથી.
ડિપોઝિટ અવધિ: 5 વર્ષ (60 મહિના), આ સમયગાળો નિશ્ચિત છે.
વ્યાજ દર: વાર્ષિક 6.7% (સપ્ટેમ્બર 2025 સુધી). સૌથી અગત્યનું, વ્યાજની ગણતરી ત્રિમાસિક ચક્રવૃદ્ધિ ધોરણે કરવામાં આવે છે, જે તમારા વળતરમાં ઝડપથી વધારો કરે છે.
જમા કરવાનો શ્રેષ્ઠ સમય: દર મહિનાની 15 તારીખે અથવા તે પહેલાં.
લોન સુવિધા: ખાતું ખોલ્યાના 1 વર્ષ પછી, તમે થાપણ રકમના 50% સુધી લોન મેળવી શકો છો.
કર લાભો: આ યોજના પર હાલમાં કોઈ કર મુક્તિ ઉપલબ્ધ નથી (તે કલમ 80C હેઠળ આવરી લેવામાં આવતી નથી).
₹10,000 માસિક રોકાણ પર ₹1,13,658 ગેરેન્ટેડ રિટર્ન
જો તમે પોસ્ટ ઓફિસની આરડી સ્કીમમાં દર મહિને 10 હજારનું રોકાણ કરશો તો ગણતરી પ્રમાણે મેચ્યોરિટી પર એટલે કે પાંચ વર્ષ બાદ તમને ₹1,13,658 ગેરેન્ટેડ રિટર્ન મળશે. ગણતરી પ્રમાણે પાંચ વર્ષમાં કુલ તમે ₹6,00,000 રોકાણ કરો છો, જેના પર વ્યાજ તરીકે તમને ₹1,13,658 નું રિટર્ન મળશે. એટલે કે તમારી પાસે કુલ ₹7,13,658.29 નું ફંડ તૈયાર થઈ જશે.
મહત્વના નિયમ અને સુવિધાઓ
મંથલી જમામાં ચૂક- જો તમે કોઈ મહિને પૈસા જમા ન કરો તો દર 100 રૂપિયા પર 1 રૂપિયાનો દંડ લેવામાં આવશે.
એકાઉન્ટ રિવાઇવલ: વધુમાં વધુ 4 સળંગ ડિફોલ્ટની મંજૂરી છે. જો સતત 4 ડિફોલ્ટ થાય, તો એકાઉન્ટ બંધ થઈ શકે છે, પરંતુ તમારી પાસે તેને રિવાઇવલ કરવાનો વિકલ્પ છે.
સમય પહેલા બંધ કરવું
તમે ખાતું ખોલાવવાના 3 વર્ષ પૂર્ણ થયા બાદ તેને બંધ કરાવી શકો છો. જો તમે 3 વર્ષ પહેલા બંધ કરો તો તમને પોસ્ટલ સેવિંગ્સ એકાઉન્ટના વ્યાજદર બરાબર વ્યાજ મળશે, જે ઓછું હોય છે. 10 વર્ષથી મોટી ઉંમરનું બાળક પોતાનું ખાતું ખોલાવી શકે છે. નાના બાળકો માટે આ ખાતું તેના વાલીઓ દ્વારા ખોલી શકાય છે.