)
PPF Account: જો તમારું પોસ્ટ ઓફિસમાં PPF, NSC અથવા અન્ય કોઈ નાની બચત યોજનાનું ખાતું છે, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. પોસ્ટલ વિભાગ દ્વારા હાલમાં જ એક નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. આ નિયમ હેઠળ જો તમારું એકાઉન્ટ મેચ્યોરિટી થયાના ત્રણ વર્ષ પછી પણ બંધ નથી કરવામાં આવ્યું તો તે ફ્રીઝ (બંધ) કરી દેવામાં આવશે. પોસ્ટલ વિભાગ દ્વારા આ પગલું રોકાણકારોના રૂપિયાને વધુ સુરક્ષિત રાખવા માટે લેવામાં આવ્યું છે.
કયા ખાતાઓને અસર થશે?
નવા નિયમો પોસ્ટ ઓફિસની બધી નાની બચત યોજનાઓ પર લાગુ થશે. આમાં મુખ્યત્વે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC), કિસાન વિકાસ પત્ર (KVP), પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (MIS), પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટ (TD) અને પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ (RD)નો સમાવેશ થાય છે.
કેમ લેવામાં આવ્યો આ નિર્ણય?
પોસ્ટ ઓફિસ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશમાં આ નવો નિયમ સમજાવવામાં આવ્યો છે. વિભાગના જણાવ્યા અનુસાર, આ નિર્ણય એવા ખાતાઓને બંધ કરવા માટે લેવામાં આવ્યો છે જે ત્રણ વર્ષની પરિપક્વતા પછી પણ નિષ્ક્રિય રહે છે. તેનો હેતુ ગ્રાહકના મહેનતથી કમાયેલા રૂપિયાને સુરક્ષિત રાખવાનો છે. આ ફ્રીઝિંગ પ્રક્રિયા હવે વર્ષમાં બે વાર નિશ્ચિત સમયે કરવામાં આવશે.
ક્યારે અને કેવી રીતે ફ્રીઝ કરવામાં આવશે ખાતાઓ?
આ પ્રોસેસ બે તબક્કામાં ચાલશે, જેની શરૂઆત 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી થશે. આ તારીખોના 15 દિવસની અંદર તે બધા ખાતાઓ ફ્રીઝ કરવામાં આવશે જેમણે પરિપક્વતા પછી ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. ઉદાહરણ તરીકે, જે ખાતાઓ 30 જૂન અથવા 31 ડિસેમ્બર સુધીમાં ત્રણ વર્ષની પરિપક્વતા પૂર્ણ કરશે તેમને આ પ્રક્રિયામાં સમાવવામાં આવશે.
ફ્રીઝ થવાથી કેવી રીતે બચી શકાય?
પોતાના એકાઉન્ટને ફ્રીઝ થવાથી બચાવવા માટે ખાતાધારકે એક કામ કરવું પડશે. તેમણે તેમની ડિપોઝિટ સ્કીમની મુદત વધારવા માટે પોસ્ટ ઓફિસમાં ઔપચારિક રીતે અરજી કરવી પડશે. તમને જણાવી દઈએ કે, સરકારે નાણાકીય વર્ષ 2025-26ના જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર માટે નાની બચત યોજનાના વ્યાજ દરમાં કોઈ ફેરફાર ન કરવાની જાહેરાત કર્યાના થોડા દિવસો પછી આ નવો નિયમ આવ્યો છે.