)
UPI Transaction : રિઝર્વ બેંકે વ્યાજદરમાં ઘટાડો કરીને લોન લેનારાઓને રાહત આપી છે, તો NPCIને UPI પેમેન્ટની ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારવાનો પણ અધિકાર આપ્યો છે. MPC મીટિંગના નિર્ણયોની જાહેરાત કરતા રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે આરબીઆઈએ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને આર્થિક જરૂરિયાતોના આધારે પર્સન-ટુ-મર્ચન્ટ ટ્રાન્જેક્શનમાં UPI ચૂકવણી માટેની ટ્રાન્ઝેક્શન મર્યાદા બદલવાની મંજૂરી આપી છે. એટલે કે આ ટ્રાન્ઝેક્શન લિમિટ જરૂરિયાત મુજબ વધારી શકાય છે.
NPCIને આપ્યો અધિકાર
ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે હવે પર્સન-ટુ-મર્ચન્ટ અને મર્ચન્ટ ટુ મર્ચન્ટ પેમેન્ટની મર્યાદા નક્કી કરવાનો અધિકાર NPCIને આપવામાં આવશે. હાલમાં આ મર્યાદા 2 લાખ રૂપિયા છે, પરંતુ ભવિષ્યમાં તેમાં ફેરફાર થઈ શકે છે. જો કે, આરબીઆઈએ પર્સન-ટુ-પર્સન યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની મર્યાદા માત્ર 1 લાખ રૂપિયા રાખી છે. આમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
UPI ટ્રાન્ઝેક્શનમાં ફેરફારની શક્યતા
ડિજિટલ પેમેન્ટ્સને પ્રોત્સાહન આપવા માટે NPCIને યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા પર્સન-ટુ-મર્ચન્ટ ટ્રાન્ઝેક્શનની મર્યાદા નક્કી કરવાની સત્તા આપવામાં આવી છે. હાલમાં પર્સન-ટુ-પર્સન અને પર્સન-ટુ-મર્ચન્ટ ચૂકવણીની મર્યાદા રૂપિયા 1 લાખ નક્કી કરવામાં આવી છે, જો કે, કેટલાક વિશેષ કિસ્સાઓમાં, પર્સન-ટુ-મર્ચન્ટ હેઠળ આ મર્યાદા રૂપિયા 2 લાખ અને રૂપિયા 5 લાખ છે. હવે NPCIને તેની મર્યાદા નક્કી કરવાનો અધિકાર મળી ગયો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉચ્ચ મર્યાદા સાથે સંકળાયેલા જોખમોને ઘટાડવા માટે યોગ્ય સુરક્ષા પગલાં લેવામાં આવશે. બેંકોને NPCI દ્વારા જાહેર કરવામાં આવેલી મર્યાદામાં પોતાની આંતરિક મર્યાદા નક્કી કરવાનો અધિકાર ચાલુ રહેશે. કેન્દ્રીય બેંકે કહ્યું કે UPI પર P2P ટ્રાન્ઝેક્શનની મર્યાદા પહેલાની જેમ 1 લાખ રૂપિયા રહેશે. નાણાકીય નીતિની જાહેરાત કરતી વખતે, આરબીઆઈના વડાએ કહ્યું કે પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરો બેંકો અને અન્ય હિતધારકો સાથે વાત કર્યા પછી જ નિર્ણય લેશે.
UPI ટ્રાન્ઝેક્શને રેકોર્ડ બનાવ્યો
UPI ટ્રાન્ઝેક્શન માર્ચમાં મહિને 13.59 ટકા વધીને 18.3 બિલિયન થયું છે. ફેબ્રુઆરીમાં આ આંકડો 16.11 અબજ રૂપિયા હતો. NPCIના ડેટા અનુસાર માર્ચમાં UPI દ્વારા 24.77 લાખ કરોડ રૂપિયાના વ્યવહારો થયા હતા. જે ફેબ્રુઆરીમાં રૂપિયા 21.96 લાખ કરોડના ટ્રાન્ઝેક્શન કરતાં 12.79 ટકા વધુ છે.
UPI નેટવર્ક દ્વારા દરરોજ સરેરાશ 590 મિલિયનથી વધુ વ્યવહારો થઈ રહ્યા છે. તેની કિંમત લગભગ 79,910 કરોડ રૂપિયા છે. અન્ય એક અહેવાલ મુજબ, 2024ના બીજા છમાસિક ગાળામાં યુપીઆઈ વ્યવહારોએ વાર્ષિક ધોરણે 42 ટકાની વૃદ્ધિ નોંધાવી છે, જે કુલ 93.23 અબજ વ્યવહારો પર પહોંચી ગઈ છે.