)
Toll Tax Reduced: સરકારે સામાન્ય જનતાને મોટી રાહત આપતાં નેશનલ હાઈવે પર ટોલ ફીમાં 50 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો ખાસ કરીને એવા હાઇવે સેક્શન પર કરવામાં આવ્યો છે, જ્યાં બ્રિજ, ટનલ, ફ્લાયઓવર અથવા એલિવેટેડ સ્ટ્રેચ આવેલા છે. અહીં મુસાફરોએ ઓછો ટોલ ચૂકવવો પડશે. આનાથી સફરનો ખર્ચ ઘટશે અને રોડ મુસાફરી પહેલા કરતા સસ્તી અને સરળ બનશે.
નવા નિયમો 2 જુલાઈ 2025ના રોજ સૂચિત કરવામાં આવ્યા હતા, જે હેઠળ નેશનલ હાઈવે ફી નિયમો 2008માં સુધારો કરવામાં આવ્યો હતો. આ સુધારા મુજબ ટોલની ગણતરી માટે એક નવું ફોર્મ્યુલા લાગુ કરવામાં આવ્યું છે, જેનાથી ઈનફ્રાસ્ટ્રક્ચર વાળા સેક્શન પર ટોલ દરોમાં સ્પષ્ટ ઘટાડો થશે.
નવું ફોર્મ્યુલા શું છે?
પરિવહન મંત્રાલય અનુસાર, જો કોઈ હાઇવે સેક્શનમાં સ્ટ્રક્ચર સામેલ છે, તો તેના પરનો ટોલની ગણતરી નીચેના બે વિકલ્પોમાંથી જે ઓછું હોય તેના આધારે ગણવામાં આવશે:
1. સ્ટ્રક્ચરની લંબાઈના દસ ગણા + બાકીના હાઇવેની લંબાઈ
2. સમગ્ર હાઇવે વિભાગની કુલ લંબાઈના પાંચ ગણા
ઉદાહરણ તરીકે, જો કોઈ નેશનલ હાઈવે સેક્શનની લંબાઈ 40 કિલોમીટર છે અને તે સંપૂર્ણપણે સ્ટ્રક્ચર (જેમ કે ટનલ અથવા ફ્લાયઓવર)થી બનેલો હોય, તો:
1. 10 x 40 = 400 કિલોમીટર
2. 5 x 40 = 200 કિલોમીટર
આ બન્નેમાંથી ઓછું એટલે કે 200 કિમીના આધારે ટોલ વસૂલવામાં આવશે. આનો અર્થ એ થયો કે હવે મુસાફરોએ 50% સુધી ઓછો ટોલ ચૂકવવો પડશે.
અત્યાર સુધી કેવી હતી સિસ્ટમ?
અત્યાર સુધીના નિયમો અનુસાર, નેશનલ હાઈવે પર કોઈપણ સ્ટ્ર્ક્ચર (જેમ કે પુલ, ટનલ, ફ્લાયઓવર) માટે પ્રતિ કિલોમીટર 10 ગણો ટોલ વસૂલવામાં આવતો હતો. આ નિયમ એટલા માટે બનાવવામાં આવ્યો હતો જેથી બાંધકામના ઊંચા ખર્ચની ભરપાઈ કરી શકાય.
કેમ લેવામાં આવ્યો આ નિર્ણય?
NHAIના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, પહેલાની ટોલ ગણતરીની પદ્ધતિ હતી, તે સ્ટ્રક્ચરલ પ્રોજેક્ટના મોટા ખર્ચને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી. પરંતુ સમય જતાં તે સામાન્ય મુસાફરો પર બોજ બની રહી હતી. સરકારે તેમાં સુધારો કર્યો છે અને હવે ટોલ ગણતરી વધુ સાચી અને વ્યવહારુ રીતે કરવામાં આવશે.
કોને મળશે સીધો ફાયદો?
આ નિર્ણયનો લાભ તે બધા મુસાફરોને મળશે જેઓ દરરોજ અથવા વારંવાર નેશનલ હાઈવેનો ઉપયોગ કરે છે. આનાથી ફ્યૂલ ખર્ચની સાથે-સાથે ટોલ ખર્ચમાં પણ સીધી બચત થશે.