)
HDFC Bank : દેશની સૌથી મોટી ખાનગી બેંકમાં હાલ કંઈક ચાલી રહ્યું છે. કારણ કે HDFC બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને CEO શશીધર જગદીશન સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. આ સમગ્ર મામલો 2,00,00,000 રૂપિયાની છેતરપિંડીનો હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં FIR રદ કરાવવા માટે બેંકના CEO શશીધર જગદીશને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
HDFC બેંકના CEO સુપ્રીમ કોર્ટ પહોંચ્યા
HDFC બેંકના CEO શશીધર જગદીશને મુંબઈની લીલાવતી હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા દાખલ કરાયેલી FIR સામે કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે આ FIR રદ કરવાની માંગ કરી છે. તેમણે આ કેસને ખોટો ગણાવ્યો અને કહ્યું કે બેંક પર દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે લીલાવતી હોસ્પિટલ ટ્રસ્ટે શશીધર જગદીશન પર નાણાકીય વ્યવહારોમાં છેતરપિંડીનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો છે.
વિવાદ ક્યાંથી શરૂ થયો ?
HDFC બેંક અને લીલાવતી હોસ્પિટલના ટ્રસ્ટીઓ વચ્ચે નાણાંકીય વ્યવહારોને લઈને વિવાદ શરૂ થયો. બેંક ટ્રસ્ટના કેટલાક સભ્યો પાસેથી બાકી રકમ વસૂલવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટે આરોપ લગાવ્યો હતો કે બેંકના CEO જગદીશને તેના ભૂતપૂર્વ સભ્ય પાસેથી 2.05 કરોડ રૂપિયાની લાંચ લીધી હતી. ટ્રસ્ટે આરોપ લગાવ્યો હતો કે જગદીશને તેમના પદનો દુરુપયોગ કરીને ટ્રસ્ટની આંતરિક બાબતોમાં દખલ કરવા માંગતા હતા.
જ્યારે બેંકનું કહેવું છે કે આ બધું ટ્રસ્ટીઓ પાસેથી બાકી રકમ વસૂલવાની પ્રક્રિયાને રોકવા માટે કરવામાં આવી રહ્યું છે. દરમિયાન, લીલાવતી ટ્રસ્ટે HDFC બેંકના CEO વિરુદ્ધ છેતરપિંડી, ગુનાહિત વિશ્વાસ ભંગ જેવા આરોપો સાથે FIR નોંધાવી હતી. ટ્રસ્ટે હાઇકોર્ટમાં CBI તપાસની પણ માંગ કરી છે. ટ્રસ્ટે ભારતીય રિઝર્વ બેંક, બજાર નિયમનકાર SEBI અને નાણાં મંત્રાલયને શશિધર જગદીશને તેમના પદ પરથી બરતરફ કરવાની પણ માંગ કરી છે.