)
નવી દિલ્હીઃ ટીવીની દુનિયામાં ઘણીવાર નાની ઉંમરના કલાકાર પોતાની નિર્દોષતા અને શાનદાર અભિનયથી દર્શકોના દિલ પર રાજ કરે છે. આવો એક પ્રતિભાશાળી બાળ કલાકાર હતો, 10 વર્ષનો વીર શર્મા, જેને પૌરાણિક ધારાવાહિક વીર હનુમાનમાં લક્ષ્મણનું પાત્ર ભજવવા માટે ખાસ ઓળખ મળી. પરંતુ તાજેતરમાં બનેલી એક દુખદ ઘટનાએ ન માત્ર તેના પરિવાર પરંતુ તેના ચાહકોને પણ દુખમાં ડૂબાડી દીધા છે. વીર શર્મા આ દુનિયામાં રહ્યો નથી. એક દુખદ દુર્ઘટનામાં તેનું અને તેના ભાઈનું મોત થયું છે.
કઈ રીતે થયું વીર અને તેના ભાઈનું મોત?
રાજસ્થાનના કોટા જિલ્લાના અનંતપુરા ક્ષેત્રમાં સ્થિત દીપ શ્રી ઇમારતમાં શનિવારે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આ આગની ઝપેટમાં આવી 10 વર્ષીય વીર શર્મા અને તેના 15 વર્ષીય મોટા ભાઈ શૌર્ય શર્માનું મોત થયું છે. જાણવા મળ્યું કે આગ ચોથા ફ્લોર પર લાગી હતી, જ્યાં બંને બાળકો તે સમયે એકલા હતા. પોલીસ અનુસાર ધૂમાડાને કારણે શ્વાસ રૂંધાતા બંને બાળકોના મોત થયા. પાડોશીઓએ જ્યારે ફ્લેટમાંથી ધૂમાડો નીકળતો જોયો તો મદદ માટે પહોંચ્યા અને દરવાજો તોડી અંદર ગયા, પરંતુ ત્યારે મોડું થઈ ગયું હતું.
અહીં જુઓ પોસ્ટ
પોલીસે શું કહ્યું?
વીર અને શૌર્યને તત્કાલ નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં મેડિકલ ટીમે તેને મૃત જાહેર કર્યાં. શરૂઆતી તપાસમાં તે સામે આવ્યું કે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે. પોલીસ અધીક્ષક તેજસ્વિની ગૌતમે જણાવ્યું કે ફ્લેટનો ડ્રોઇંગ રૂમ બળી ગયો છે અને બાકી ભાગમાં પણ આગના નિશાન જોવા મળી રહ્યાં છે. સ્ટેશન પ્રભારી ભૂપેન્દ્ર સિંહે પણ લાઇટમાં ખરાબીને આ દુર્ઘટનાનું સંભવિત કારણ માન્યું. વીર શર્માના માતા રીતા શર્મા એક અભિનેત્રી ચે, જ્યારે તેના પિતા જિતેન્દ્ર શર્મા કોટાની એક ખાનગી કોચિંગ સંસ્થામાં ફેકલ્ટી તરીકે કામ કરે છે.
આ દુખદ ઘટનાએ પરિવારને હચમચાવી દીધો છે. આસપાસના લોકો દુખ વ્યક્ત કરી રહ્યાં છે. વીર શર્મા બાળ કલાકારના રૂપમાં લોકપ્રિય હતો. તેણે ટીવી સીરિયલ વીર હનુમાનમાં લક્ષ્મણનું પાત્ર ભજવી ઘર-ઘરમાં પોતાની ઓળખ બનાવી હતી. તેની પ્રતિભા અને માસૂમિયતે દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. આ સિવાય સમાચાર પ્રમાણે વીરને આગામી ફિલ્મમાં બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનના બાળપણનું પાત્ર ભજવવાની તક મળી હતી. તેણે 2 ઓક્ટોબર 2025ના મુંબઈ પરત ફરવાનું હતું, જેથી આ પ્રોજેક્ટનું શૂટિંગ શરૂ કરી શકે.