સુરત બન્યું આપઘાતનું એપી સેન્ટર? છેલ્લા ત્રણ વર્ષમાં 1866 લોકોએ કરી આત્મહત્યા, હવે પોલીસે લીધો મોટો નિર્ણય

સુરત શહેરમાં સતત વધી રહેલા આત્મહત્યાના કેસ રોકવા માટે સુરત પોલીસ આગળ આવી છે. સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા એક કમિટી રચવામાં આવી છે. આ સાથે લોકોને 24 કલાક મદદ મળી રહે તે માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે.
 

સુરત બન્યું આપઘાતનું એપી સેન્ટર? છેલ્લા ત્રણ વર્ષમાં 1866 લોકોએ કરી આત્મહત્યા, હવે પોલીસે લીધો મોટો નિર્ણય

સુરતઃ પારિવારિક સમસ્યા, આર્થિક ચિંતા કે કોઈ અન્ય કારણોસર વ્યક્તિ આપઘાત કરી લેતો હોય છે. આત્મહત્યાના કિસ્સા સતત વધી રહ્યાં છે, જે સમાજ માટે ચિંતાનું કારણ છે. ગુજરાતમાં ખાસ કરીને સુરતમાં આપઘાતની ઘટનાઓ સમયાંતરે સામે આવતી રહેતી હોય છે. છેલ્લા કેટલાક સમયમાં ઘણા લોકોએ આપઘાત કર્યો છે. તેની પાછળ ખાસ કરીને આર્થિક પરિસ્થિતિ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. 

સુરતમાં છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે. હીરા ઉદ્યોગમાં મંદીને કારણે ઘણા લોકોએ ધંધા-રોજગાર ગુમાવ્યા છે. અચાનક નોકરી જતી રહેવા કે પગાર ઘટી જવાને કારણે ઘણા પરિવારનો માળો વિખાયો છે. પરંતુ સુરતમાં લોકો આપઘાત ન કરે તે માટે સુરત પોલીસ દ્વારા એક વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. સુરતમાં તમામ ડીસીપીના નેતૃત્વમાં એક કમિટીની રચના કરવામાં આવી હતી.

છેલ્લા ત્રણ વર્ષમાં 1866 જેટલા આપઘાતના કેસ
સુરત પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે સુરતમાં ત્રણ વર્ષમાં 1866 જેટલા આત્મહત્યાના કેસો નોંધાયા છે. જેમાં પારિવારિક સમસ્યાથી કંટાળી 492 લોકોએ આત્મહત્યા કરી છે. બીમારીને કારણે 452 તો વ્યાજ-દેવું વધી જવાને કારણે 355 લોકોએ આપઘાત કર્યો છે. ડિપ્રેશનને કારણે 218 લોકોએ આપઘાત કર્યો છે. જ્યારે બ્લેકમેલ કારણે 37 લોકોએ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. અભ્યાસમાં નિષ્ફળતાને કારણે આપઘાત કરનાર લોકોની સંખ્યા 200 છે.

આપઘાત રોકવા સુરત પોલીસને પ્રયાસ હાથ ધર્યો
સુરત શહેરમાં લોકો આત્મહત્યા ન કરે અને તેના જીવનમાં ચાલતી સમસ્યાનું સમાધાન તથા તેને માર્ગદર્શન મળે તે માટે સુરત પોલીસે પ્રયાસો શરૂ કર્યાં છે. સુરત શહેરમાં જો કોઈ વ્યક્તિને આપઘાતનો વિચાર આવે તો તે તાત્કાલીક ધોરણે  8128369100 અને 8128308100 નંબર પર ફોન કરી મદદ મેળવી શકે છે. 24 કલાક આ હેલ્પલાઇન નંબર કાર્યરત રહેશે. આ ફોન નંબર પર પોલીસ કોન્સ્ટેબલ સાથે કાઉન્સેલર હાજર રહેશે. આ નંબર પર ફોન કરતા પોલીસ ત્યાં પહોંચી સમસ્યાનું નિરાકરણ લાવશે. સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યુ કે સુરત પોલીસ દ્વારા આત્મહત્યા રોકવા માટે આ પ્રયાસ છે.

Disclaimer: જીવન અણમોલ છે. તેનું સંપૂર્ણ રીતે સન્માન કરો. દરેક ક્ષણનો આનંદ લો. કોઈ વાતથી પરેશાન હોવ તો જીવનથી હાર માનવાની જરૂર નથી. જીવનમાં સારો-ખરાબ સમય આવતો રહે છે. પરંતુ જ્યારે હતાશા, નિરાશા કે ડિપ્રેશનનો અનુભવ થાય તો સરકાર દ્વારા ઉપલબ્ધ હેલ્પલાઇન નંબર 9152987821 પર સંપર્ક કરો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news