પાટણમાંથી 300 જેટલા પરપ્રાંતિય પરિવારો વતન પરત ફર્યા, પોલીસે આપી સુરક્ષાની ખાત્રી

સાબરકાંઠામાં બાળકી પર પરપ્રાંતિય હેવાને દુષ્કર્મ આચરવાની ઘટનાએ સમગ્ર રાજ્યને રડાવી દીધી છે. લોકોનો ગુસ્સો સાતમાં આસમાને છે અને આ નરાધમને ફાંસી આપવાની એક જ માંગ ઉઠવા પામી છે. જો કે આ માંગણી પણ વ્યાજબી છે.

પાટણમાંથી 300 જેટલા પરપ્રાંતિય પરિવારો વતન પરત ફર્યા, પોલીસે આપી સુરક્ષાની ખાત્રી

પાટણ: સાબરકાંઠામાં બાળકીના દુષ્કર્મની ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેર પ્રત્યઘાત પડ્યા છે અને ઠેર ઠેર પરપ્રાંતિય લોકો પર રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. જેના પગલે પાટણમાં પણ ૩૦૦ જેટલા પરપ્રાંતિય પરિવારો દહેશતમાં આવી જઇ ઘર બાર છોડી પોતાના વતન જવા મજબુર બન્યા છે. ત્યારે આવા લોકોની સુરક્ષાને જોતા જીલ્લા કલેકટર તેમજ જીલ્લા પોલીસ વડા દ્વારા પરપ્રાંતિય લોકોને સુરક્ષા આપવાની બાંહેધરી આપી છે અને જે કોઈ તેઓને ડરાવશે અથવા તો ધમકાવશે તેઓ સામે પોલીસ વિભાગ કડકાઈ પૂર્વક પગલા ભરશે તેવી ખાત્રી આપવામાં આવી છે. 

સાબરકાંઠામાં બાળકી પર પરપ્રાંતિય હેવાને દુષ્કર્મ આચરવાની ઘટનાએ સમગ્ર રાજ્યને રડાવી દીધી છે. લોકોનો ગુસ્સો સાતમાં આસમાને છે અને આ નરાધમને ફાંસી આપવાની એક જ માંગ ઉઠવા પામી છે. જો કે આ માંગણી પણ વ્યાજબી છે. પરંતુ આ ઘટના બાદ રાજ્યમાં વસતા પર પ્રાંતીય પરિવારો માટે આ ઘટના મરણતોલ સાબિત થઇ છે.

ઠેર-ઠેર પરપ્રાંતિયો પર હુમલા થવા અને રાજ્ય છોડી ભગાડી મુકવાની ઘટનાઓ પણ સામે આવી છે. ત્યારે પાટણમાં પણ મોટાભાગના પરપ્રાંતના લોકો પોતાનો જીવ બચાવવા ઘર છોડી વતન જવા મજબુર બન્યા છે. જો કે હવે પોલીસતંત્ર આવા પરિવારોના પડખે ઉભું છે અને તેઓને ધંધા રોજગાર કરવાથી કોઈ નહિ રોકી શકે તેવી બાંહેધરી આપતા પર પ્રાંતીય લોકોએ હાશકારો અનુભવ્યો છે.

પાટણના મીરાં દરવાજા વિસ્તારમાં મોટાભાગના પરપ્રાંતિય પરિવારો વસવાટ કરે છે જો કે ભયના ઓથાર નીચે જીવતા ૩૦૦ જેટલા પરિવારોએ જીવ દાવ પર મુકવા કરતા પોતાના વતનની વાટ પકડવાનું હિતાવહ સમજી વતન ચાલ્યા ગયા છે. જ્યારે કેટલાક પરિવારો જેમાં મહિલાઓ અને બાળકો દિવસ રાત ડરના માહોલમાં જીવતા હોય પાટણ એસ પી સોભા ભૂતડા ,જીલ્લા કલેકટર આનંદ પતે તેમજ ભાજપના પ્રદેશ મહામંત્રી કેસી પટેલ આ પરિવારોને મળવા પહોચ્યા હતા. અને તેઓની સુરક્ષાની જવાબદારી લઇને ધંધા રોજગાર શરૂ કરવા જણાવ્યું હતું. 

તો વધુમાં એસ પી સોભા ભૂતડાએ પર પ્રાંતીય લોકોની સુરક્ષા માટે એસ આર પી તેમજ પોલીસ પણ સાથે રહેશે તેમ જણવ્યું હતું. તો વધુમાં જે કોઈ શાંતિ ડોળવાનો પ્રયાસ કરશે તો તેની સામે કાયદેસર પગલાં લેવાની પણ ખાત્રી આપી હતી.

હાલમાં તો પાટણમાં વસતા પર પરપ્રાંતિયોને વહીવટી તંત્ર એ સુરક્ષા આપવાની બાંહેધરી આપતા આ લોકોને મહદઅંશે રાહત મળી છે જો કે રાજ્યમાં જ્યાં સુધી ફરી એક વાર શાંતિ નહિ સ્થપાય અને સમગ્ર ઘટનાક્રમ રાજકીય મુદ્દો બનતા અટકાશે ત્યારે જ રોજી-રોટી મેળવવા આવેલા પર પ્રાંતીય લોકો ભયના માહોલમાંથી બહાર આવી શકશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news