)
Pahalgam terror attack: જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલામાં સત્તાવાર 27 લોકોના મોત તેમજ અનેક લોકો ઘાયલ થયા છે, જેમાં ભાવનગરના ભરતનગર વિસ્તારના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા વિનોદભાઈ ત્રિભોવનભાઈ ડાભી નામના આધેડને પણ હાથના ભાગે ગોળી વાગતા તેઓ ઇજાગ્રસ્ત થયા છે. ભાવનગર અને પાલીતાણા મળી કુલ 20 લોકો જમ્મુ કાશ્મીર ગયા હતા. જ્યારે આ ઘટના બાદ હજુ શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા પિતા પુત્રનો પણ સંપર્ક ન થતા તંત્રમાં દોડધામ મચી હતી. પરંતુ આજે સવારે મળેલા લિસ્ટમાં ભાવનગરના પિતા-પુત્રના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે.
ભાવનગર જિલ્લાના 20 લોકો જમ્મુ કાશ્મીર ખાતે મોરારીબાપુની કથામાં સુરેન્દ્રનગરથી ટ્રેઇનમાં ગયા હતા. જ્યાં કથા પૂર્ણ કરી તમામ લોકો વૈષ્ણોદેવી સહિત જમ્મુ કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં ફરવા માટે ગયા હતા, ત્યારે પહેલગામ નજીક પ્રવાસીઓ પર આતંકીઓએ આડેધડ ફાયરિંગ કરતા સર્જાયેલા મોતના તાંડવમાં અનેક લોકોના મોત થયા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે, આ ઘટનામાં ભાવનગરના 61 વર્ષીય વિનોદભાઈ ત્રિભોવનભાઈ ડાભીને હાથના ભાગે ગોળી વાગી છે.
ઘટનાને પગલે ભાવનગરના કલેકટરને જાણ કરતા તંત્રએ વિવિધ ટિમો સાથે પરિવારનો સંપર્ક કર્યો હતો. જ્યારે ઘટનાને પગલે પરિવારને હુફ આપવા રેન્જ આઈજી ગૌતમ પરમાર, એસપી હર્ષદ પટેલ, મેયર સહિતના લોકો તેના ઘરે પહોંચ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા ત્યાંની સરકાર સાથે સંપર્કમાં રહી તમામ જરૂરી મદદની ખાત્રી આપી હતી. તેમજ જલ્દી સાજા થઈ પરત ફરે તેવી આશા વ્યક્ત કરી હતી.
હાલ વિનોદભાઇ ડાભીને અનંતનાગ ખાતેની હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા પિતા પુત્ર યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેનો પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનો કોઈ સંપર્ક ન થતા તેની તપાસ અંગે ત્યાંની સરકાર સાથે વાતચીત હાથ ધરી હતી. પરંતુ આજે તેમના મોતના સમાચાર સામે આવી રહ્યા છે.