)
Gujarat Politics ; આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાની જંગી જીત હાંસિલ કરી. પરંતું પાર્ટીમાં ગઢ આલા પણ સિંહ ગેલા જેવો ઘાટ સર્જાય તેવા ભણકારા વાગી રહ્યાં છે. કારણ કે, એક તરફ ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ ચાલી રહ્યાં છે, તો બીજી તરફ આપમાં સુધીર વાઘાણી સાવ ભૂલાયા. ત્યારે આપના રિસાયેલા ધારાસભ્ય સુધીર વાઘાણી નવાજૂની કરે તો નવાઈ નહિ.
ગઈકાલે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે હતા. તેમણે પોતાના નેતાઓ સાથે શક્તિ પ્રદર્શન કર્યું હતુ. પરંતુ આમ આદમી પાર્ટીના ગરિયાધરના ધારાસભ્ય સુધીર વાઘાણી સમગ્ર કાર્યક્રમ દરમિયાન ક્યાંય ડોકાયા ન હતા.
ગરીયાધરના ધારાસભ્ય કાર્યક્રમમાં ગાયબ રહ્યા તે આમ આદમી પાર્ટીમાં ચર્ચાનો વિષય બની રહ્યો. એક તરફ ઉમેશ મકવાણાએ પાર્ટીમાં દંડક પદેથી રાજીનામું આપી દીધું છે, તેઓ જાહેરમાં પાર્ટી વિરુદ્ધ બળાપો ઠાલવી ચૂક્યા છે. આવામાં સુધીર વાઘાણી પણ કોઈ નવાજૂની કરે તો નવાઈ નહિ.
આમ આદમી પાર્ટી એક તરફ ગુજરાતમાં પોતાનો રાજકીય પ્રભાવ પાડવા મથામણ કરી રહી છે. એક તો ગણીને આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યો છે. તેમાં જો એક પણ ખરી પડ્યા તો આમ આદમી પાર્ટી ફરીથી તૂટી જશે. ગોપાલ ઈટાલિયાની જીતથીતી ગુજરાતમાં મૃતપાય બનેલી આમ આદમી પાર્ટીને માંડ માંડ સંજીવની મળી હોય તેવો ઘાટ સર્જાયો છે. એક તરફ ઉમેશ મકવાણા નારાજ ચાલી રહ્યાં છે, બીજી તરફ ચૈતર વસાવા જેલાં છે. આવાંમાં જ સુધીર વાઘાણી નવા જૂની કરે તો આપના પાંચ પાંડવ ફરી તૂટી શકે છે.
સુધીર વાઘાણીની કેજરીવાલના કાર્યક્રમમાં ગેરહાજરી આંખે ઉડીને વળગી છે. ત્યારે સમગ્ર મુદ્દાને રાજકીય રંગ મળ્યો છે. આ ઉપરાંત ભાજપ વિસાવદરની સામે આમ આદમી પાર્ટીનો કયો ધારાસભ્ય તોડે છે અને શું તિકડમ કરે છે તેના પર સૌની નજર છે.
સદસ્યતા અભિયાનમાં પણ ગેરહાજર રહ્યા હતા વાઘાણી
આ પહેલા કેજરીવાલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં આમ આદમી પાર્ટીના સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. એ કાર્યક્રમમાં પણ ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાધાણીની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. કાર્યક્રમ તો ઠિક પણ પાર્ટીએ તૈયાર કરેલા હોર્ડિગ્ઝમાંથી પણ વાઘાણીની બાદબાકીર ઊડીને આંખે વળગી હતી. જેના બાદથી ઉમેશ મકવાણા બાદ સુધીર વાઘાણી પણ પાર્ટીથી નારાજ હોવાની ચર્ચા છે.
આપ છોડવાની ચર્ચા પર આપી હતી સ્પષ્ટતા
સુધીર વાઘાણી આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે તે અંગે તેમણે મોટી સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાતના તમામ મીડિયાને વિનંતી છે કે આપના મીડિયા માધ્યમથી, ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા થયેલા ભ્રષ્ટાચાર અંગે લોકોને માહિતી આપો, ઠેર-ઠે૨ નશાને લગતા પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ થાય છે તે અંગે માહિતી આપો. ખેતીપ્રધાન દેશમાં પોતાની પાર્ટીના મળતિયાઓને રોજીરોટી મળી રહે તે માટે યુરિયા ખાતર સાથે ફરજિયાત નેનો યુરિયા આપવામાં આવે છે તેની માહિતી લોકો ને આપો. આવી ધણી ચર્ચાસ્પદ ધટનાઓ આ ભાજપ સરકારમાં થઈ રહી છે, એવી માહિતી મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા આપ સૌને વિનંતી છે. હું કોઈ પાર્ટીમાં જવાનો નથી, હું કોઈથી નારાજ નથી, મને કોઈ પણ પ્રકારની લાલચ નથી. લોકો એ મારા પર કરેલા વિશ્વાસ પર વિશ્વાસઘાત કરવો એ મારો ધર્મ નથી.
6 ટર્મથી જીતી રહેલા કેશુભાઈ નાકરાણીને હરાવી ધારાસભ્ય બન્યા હતા વાઘાણી
2022 વિધાનસભા ચૂંટણીમાં ગારિયાધાર બેઠક પર આમ આદમી પાર્ટીએ યુવા નેતા સુઘીર વાઘાણીને ટિકિટ આપી હતી. જેઓએ 6 ટર્મથી જીત મેળવી રહેલી ભાજપના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીને 4819 મતથી હરાવ્યા હતા.