)
Chaitar Vasava: 5 જુલાઈથી જેલમાં બંધ ચૈતર વસાવાના સેશન્સ કોર્ટમાં જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા. જે બાદ તેમણે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. હવે જામીન અરજી મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી. પરંતુ હવે જામીન અરજીમાં વકીલ બદલવાની માંગ થઇ જેના કારણે વધુ એક મુદ્દત પડી છે. જામીન અરજી પર સુનાવણી હવે આગામી 28 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે. એટલે હજુ ચૈતર વસાવાને જેલમાં રહેવું પડશે.
ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે પ્રાંત કચેરીમાં લાફા કાંડમાં ધારાસભ્ય 5 જુલાઈથી જેલમાં છે. તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા પોલીસ ફરિયાદ કર્યા બાદ ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. સરકારી પક્ષે ચૈતર વસાવાને જામીન નામંજૂર કરવા માટે અગાઉના કેસોની રજૂઆત કરાઈ હતી. અગાઉના વર્ષ 2023 ફોરેસ્ટ વિભાગના કેસમાં શરતી જામીન મળ્યા હતા. એડિશનલ સેશન કોર્ટમાં કેસ ચાલે છે. તેથી ચૈતર વસાવા એ હજુ પણ જેલવાસ ભોગવવો પડશે.
શું છે સમગ્ર કેસ?
થોડા દિવસો પહેલાં ડેડિયાપાડા પ્રાંત ઓફિસરની કચેરી ખાતે એટીવીટીની મળેલી બેઠક મળી હતી, જેમાં સરકારી અધિકારીઓ, હોદ્દેદારો ઉપરાંત આપના ધારાસભ્ય ચૈતર વસાવા પણ હાજર હતા, એ વખતે ચૈતર વસાવાએ ઉશ્કેરાઈ જઇ સાગબારા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખને ગાળો આપી હતી અને ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને કાચનો ગ્લાસ છુટ્ટો મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ ઘટનાને લઇ સંજય વસાવાએ ડેડિયાપાડા પોલીસમથકમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરાવી હતી. જે ગુનામાં પોલીસે બાદમાં ચૈતર વસાવાની ધરપકડ કરી હતી. જેથી ચૈતર વસાવાતરફથી નીચલી કોર્ટમાં જામીન અરજી પણ કરવામાં આવી હતી. જો કે, મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટે ચૈતર વસાવાને જામીન આપવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો. જેને પગલે ચૈતર વસાવાએ હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. જેમાં ફરિયાદપક્ષના વકીલે હાજર થઇ જવાબ રજૂ કરવા માટે સમયની માંગણી કરી હતી. જેને ધ્યાને લઇ હાઇકોર્ટે જામીન અરજીની વધુ સુનાવણી 28મી ઓગસ્ટ પર મુલતવી રાખી હતી.