Gujarat Politics : આમ આદમી પાર્ટીના બે નેતા સૂર્યસિંહ ડાભી અને ઓમ પ્રકાશ તિવારી આજે પક્ષપલટો કરીને કોંગ્રેસમાં સામેલ થયા

Ahmedabad News : આમ આદમી પાર્ટીના બે નેતા કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે. ગુજરાત કોંગ્રેસની પોલીટીકલ અફેર્સ સમિતિની બેઠક મળી હતી, જેમા સૂર્યસિંહ ડાભી અને ઓમ પ્રકાશ તિવારીએ આપ છોડીને કોંગ્રેસનો સાથ અપનાવ્યો.
ગાંધીનગર જિલ્લાના સુર્યસિંહ ડાભી અને નરોડાના ઓમ પ્રકાશ તિવારીની ઘરવાપસી કરી છે. વર્ષ 2022 ની ચુંટણી પહેલાં બંને નેતાઓએ કોંગ્રેસ છોડી આપનું ઝાડું પકડ્યું છે. સુર્યસિંહ ડાભી, ઓપી તિવારી તથા તેમના સમર્થકોને મુકુલ વાસનિક, અમિત ચાવડા અને તુષાર ચૌધરીને ખેસ પહેરાવી કાંગ્રેસમાં ઘરવાપસી કરાવી છે.
ગુજરાત કોંગ્રેસની પોલીટીકલ અફેર્સ સમિતિની આજે બેઠક મળી હતી. ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની હાજરીમાં બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ હાજર રહ્યા હતા. જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષની વરણી બાદ જિલ્લા અને તાલુકા સંગઠન મજબુત કરવા બેઠકમાં ચર્ચા થઈ હતી. સંગઠન સર્જન અભિયાન અંતર્ગત કોગ્રેસ સંગઠન મજબુત કરવા પર ભાર મૂકાયો હતો.
નવા નેતાઓનુ સ્વાગત કરતા મુકુલ વાસનિકે કહ્યું કે, આ તમારું ઘર છે, અહીં તમને પરિવાર જેવો પ્રેમ મળશે. તમારી મદદથી કોંગ્રેસને વધારે મજબુતી મળશે. લોકતંત્રનો પાયો લોકોના બળ થકી ટકે છે. ગુજરાત અને દેશમાં સરકારમાં બેઠેલા લોકોને લોકતંત્રની ચિંતા નથી. ગુજરાત અને કેન્દ્ર ની સરકાર નૈતિકતાના ધારણે સરકારમાં રહી શકે કે કેમ તે સવાલ છે.
આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, આજે આનંદનો દિવસ કે ઘણા સાથીઓની ઘરવાપસી થી છે. સાથે જ અનેક નવા યુવાનો કોંગ્રેસમાં જોડાયા છે. રાહુલ ગાંધી લોકોનો અવાજ બની લડી રહ્યા છે. શાસકોને મદદ રૂપ થવા આપની ટીમ ભાજપ અને આરએસએસ ના એજન્ડાથી કામ કરી રહી છે. ગુજરાતના લોકોને લાગી રહ્યુ છે કે ભાજપના વિરોધના મતને વિભાજન કરવા કેટલીક પાર્ટીઓ કામ કરે છે. નાગરિકો માને છે કે આ પાર્ટીમાં રહેવાય નહી. આવી પાર્ટીનું કોઇ વિઝન નથી એક માત્ર એજન્ડા ભાજપ વિરોધી મતનું વિભાજન કરવાનું છે. ઘણા એવા મિત્રો છે જે ભાજપના ત્રણ દાયકાના શાસનને જાકારો આપવા માંગે છે. શાસક ભ્રષ્ટ, તાનાશાહી અને ભેદભાવવાળો હોય તો એની સામે એકઠા થઇ જનાદેશ આપવો. ભાજપને કોંગ્રેસ એક માત્ર ટક્કર આપશે તો એક સાથે એકઠાં થઇ આગળ વધીએ. જોડાયેલા તમામનું માન સન્માન જળવાય તે જવાબદારી અમારી છે.
તો વિધાનસભાના નેતા તુષાર ચૌધરીએ કહ્યું કે, ગુજરાતમાં ૩૦ વર્ષથી ભાજપનું શાસન અને તમામ લોકો ખુશ છે એવુ નથી. મહિલાઓ ઈચ્છે છે કે ૩૫૦ રૂપિયામાં ગેસનો બોટલ મળે એવી સરકાર હોય. જોકે આવા નારાજ લોકોના મતને ટુકડા કરવામાં આવ્યા છે. સત્તાનું વિભાજન થતું અટકાવાય છે. ગુજરાતમાં ક્યારે ત્રીજો પક્ષ ચાલ્યો નથી. તમારૂ માન સન્માન જળવાય એ જવાબદારી.
તો આપમાંથી કોંગ્રેસમાં વાપસી કરનાર સુર્યસિંહ ડાભીએ કહ્યું કે, હું છેલ્લા ચાર મહિનાથી રાજકીય દ્વિધામાં હતો. આમ આદમી પાર્ટીનું લક્ષ્યાંક ભાજપને હરાવવાનું નથી. અત્યાર સુધી આમ આગની પાર્ટી પાસે કોઇ ફંડ ન હતું. જેવુ 2027 નું મિશન શરુ થયુ કે દિલ્હીથી ફંડ આવવા લાગ્યું. ગુજરાત આમ આદમી પાર્ટીનો કબજો દિલ્હીએ લઇ લીધો છે.
તો ઓમ પ્રકાશ તિવારીએ કહ્યું કે, મને લાગ્યું કે હું આમ આદમી પાર્ટીમાં જઇ લોકોની વધારે સેવા કરીશ. જોકે વર્ષ ૨૦૨૨ માં મને નરોડા બેઠક પર ૩૨૦૦૦ મત મળ્યા. જો હુ કોંગ્રેસમાં હોત તો ધારાસભ્ય થઇ સેવા કરી શકત. આમ આદમી પાર્ટી બીજેપીની બી પાર્ટી તરીકે કામ કરે છે. હું આજીવન કોંગ્રેસ પાર્ટીમાં રહીશ. હું ચુંટણી લડવાના ઉદ્દેશથી કોંગ્રેસમાં નથી આવ્યો. હું વચન આપું છુ કે એવુ સંગઠન નરોડા વિસ્તારમાં બનાવીશ કે તેનુ પરિણામ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં જોવા મળશે.