)
Ahmedabad News દર્શલ રાવલ/અમદાવાદ : શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે બનાવવામાં આવી રહેલા બ્રિજના કામ વચ્ચે મકરબા રેલવે ઓવરબ્રિજને લઈને એએમસીનું સૌથી મોટું બ્લન્ડર સામે આવ્યું છે.
અમદાવાદ શહેરમાં જટિલ બનતી જઈ રહેલી ટ્રાફિક સમસ્યાને હળવી કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં અનેક વિસ્તારોમાં બ્રિજ બનાવાઈ રહ્યા છે. જે બ્રિજનું કામ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે. પરંતુ તેની વચ્ચે amc ના બુદ્ધિનું બારદાન સાબિત થતી ઘટના સામે આવી. અને તે વાત amc એ પણ સ્વીકારી. જેના કારણે જે કામ વહેલા પૂર્ણ થવાનું હતું તે હવે એક વર્ષ બાદ પૂર્ણ થવાંનો અંદાજ છે. ત્યારે જોઈએ શુ છે સમગ્ર મામલો. અમારા અહેવાલમાં..
જી હા... ગુજરાતનું સૌથી વધુ ગ્રોથ કરતું શહેર એટલે અમદાવાદ. કે જ્યાં વિસ્તાર સાથે વસ્તીમાં પણ સતત વધારો થયો છે એટલે સ્વાભાવિક છે કે શહેરમાં ટ્રાફિકની અને અકસ્માતોની સમસ્યા પણ જોવા મળે. સતત વધતી રહેલી આ સમસ્યા દૂર કરવા માટે પ્રજાને જાગૃત કરવા સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ કામગીરી કરીને પ્રયાસો કરી રહ્યું છે. તાજેતરમાં જ amc દ્વારા ટ્રાફિક અને અકસ્માતની સમસ્યા હડળી કરવા માટે મકરબા ટોરેન્ટ પાવર સ્ટેશન પાસે રેલવે ઓવરબ્રિજ, હેબતપુર ખાતે ઓવરબ્રિજ અને સતાધાર ખાતે ઓવરબ્રિજનું કામ હાથ ધરાયું. અંદાજે બે વર્ષથી ચાલી રહેલા આ કામ એટલી મંથર ગતિએ ચાલ્યા કે લોકોને જલ્દી સુવિધા મળવાની વાત તો દૂર પરંતુ હવે તેની ટાઈમ લાઈનમાં પણ વધારો કરાયો છે. જ્યાં સત્તાધાર ખાતેનો એ બ્રિજ કે જે બે વર્ષથી બની રહ્યો છે. જે 104 કરોડના ખર્ચે બની રહેલો બ્રિજ કે જેનું 85% જેટલું કામ પૂર્ણ થયું છે તેવી જાહેરાત amc એ કરી છે. અને તે બ્રિજ સ્થાનિકોના મતે ઓગસ્ટ મહિનામાં કામ પૂર્ણ થવાનું હતું તેના બદલે હવે amcએ ફેબ્રુઆરી 2026માં કામ પૂર્ણ થશે અને બાદમાં બ્રિજ શરૂ કરાશે તેવી જાહેરાત કરી છે. જેના કારણે સ્થાનિકોને પણ હવે પ્રશ્ન મુજવી રહ્યો છે કે જે પ્રકારે કામ ચાલી રહ્યું છે તે મુજબ અને amcએ જાહેર કરેલી નવી ટાઈમ લાઇન મુજબ કામ પૂર્ણ થશે અને લોકોની સમસ્યા દૂર થશે કે કેમ.
સતાધાર બ્રિજ પ્રોગ્રેસ રિપોર્ટ...
... તો આ છે બ્લન્ડર
પણ આ ત્રણ બ્રિજના કામ વચ્ચે સૌથી મોટું બ્લન્ડર સામે આવ્યું તો તે મકરબા ખાતે બની રહેલી રેલવે ઓવરબ્રિજનું . અંદાજે બે વર્ષ પહેલાં અમદાવાદ બોટાદ રેલવે લાઇન ક્રોસિંગ ઉપર મકરબા ટોરેન્ટ પાવર થી કોર્પોરેટ રોડ એસજી હાઇવે કનેક્ટ થતા 40 મીટરના રસ્તા પર 4 લેન રેલ્વે ઓવરબ્રિજ બનાવવાનું શરૂ કરાયું. જ્યાં બે વર્ષ સુધી રેલવે લાઇનની બંને તરફ કામ ચાલ્યું અને જ્યારે રેલ્વે ટ્રેક પાસે બ્રીજના પીલર નું કામ હાથ ધરાયું ત્યારે તંત્રને જાણ થઈ કે ત્યાં જમીનમાં સૌથી મોટી ટ્રંકલાઈન પસાર થઈ રહી છે. જેની ઉપર બ્રિજનો પીલર બનાવવો એ અશક્ય છે. અને માટે બ્રિજ શરૂ થયાના બે વર્ષ બાદ એએમસીએ રેલવે ટ્રેક પાસે ટ્રંક લાઈન સામે આવતા તે લાઈન બદલી ન શકાતા પિલ્લરની ડિઝાઇન બદલી 4 પિલરનો એક પિલર બનાવવાનો હતો, તેને બદલે ત્યાં હવે બે પિલર પર એક પિલરની નવી ડિઝાઇન બનાવવી પડી છે. જેના કારણે જે બ્રિજ નવેમ્બર મહિનામાં કામ પૂર્ણ થવાનું હતું તેના બદલે હવે માર્ચ 2026 માં તેનું કામ પૂર્ણ કરવાનો એમસીએ અંદાજ લગાવ્યો છે. પરંતુ જો બ્રિજ બનતા પહેલા આ બાબતે ધ્યાન અપાયું હોત તો કદાચ આ બ્રિજ વહેલા બન્યો હોત અને એએમસીનું આ મોટું બ્લન્ડર સામે ના આવ્યું હોત. અને લોકોને નવો બ્રિજ બનતા ટ્રાફિક સમસ્યામાંથી પણ મુક્તિ મળી હોત. જ્યાં સ્થાનિકોએ નવા બની રહેલ બ્રિજ પાસે વિવિધ અસુવિધા હોવાનું જણાવી amc ના પ્લાન ને લઈને સવાલ ઉભા કરી નારાજગી અને રોષ વ્યકત કર્યો હતો..
હેબતપુર રેલવે ઓવરબ્રિજનો પ્રોગ્રેસ રિપાર્ટ
તો તરફ હેબતપુર રેલવે ઓવર બ્રિજનો પણ પ્રોગ્રેસ રિપોર્ટ જાહેર કરાયો. જે મુજબ અમદાવાદ વિરમગામ રોડ ગેજ રેલ્વે લાઈન ઉપર હેબતપુર ખાતે થલતેજ થી હેબતપુર સાયન્સ સીટી વિસ્તારને જોડતો હેબતપુર રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જે ઓવરબ્રિજની લંબાઈ 679 મીટર છે. જે 4 લેન બ્રિજ કુલ ૧૬.૫૦ મીટર પહોળો રાખવામાં આવ્યો છે. અને અંદાજે 74 કરોડના કરતા વધારે ખર્ચે બ્રિજ બનાવાઈ રહ્યો છે. જે હેબતપુર બ્રિજમાં આશરે 73% જેટલું કામ પૂરું થઈ ચૂક્યું છે. જે બ્રિજનું જૂન 2026 માં કામ પૂર્ણ કરવાનો અંદાજ રાખવામાં આવ્યો છે. બ્રિજ બનતા થલતેજથી હેબતપુર સોલા સાયન્સ સીટી વિસ્તારને કનેક્ટિવિટી મળશે. જેના કારણે થલતેજ હેબતપુર સાયન્સ સીટી અને આસપાસના વિસ્તારોને લાભ મળશે. તો સાથે સાથે વટવામાં પૂજા ફાર્મથી ન્યુ વટવા ને જોડતા રોડ પર બોક્સ કન્વર્ટ બનાવવાનું કામ અંદાજે 32.70 મીટર પહોળાઈમાં કામ કરવામાં આવ્યું છે. જ્યાં 1.89 કરોડના ખર્ચે જુલાઈ 2025 ના રોજ કામ પૂર્ણ કરવામાં આવ્યું. જેનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. જે બોક્સ કન્વર્ટના કારણે નારોલ અસલાલીથી વટવા ગામ તથા ઘોડાસરથી એસપી રીંગ રોડ ને જોડતો વિસ્તાર અને લોકોને સ્કૂલ તેમજ નારોલ તરફ જતા યાત્રીઓ અને વેપારીઓ સહિત વાહનચાલકોને ટ્રાફિક સમસ્યા માંથી મુક્તિ મળશે. જ્યાં amc માંથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ તમામ બ્રિજના પ્રોગ્રેસ રિપોર્ટની વાત કરી મકરબા ખાતેની amc ની ભૂલ સ્વીકારી જલ્દી બ્રિજ બનાવી લોક સમસ્યા દૂર કરવા ખાતરી આપી.
જોકે અહીં વાત છે મકરબા ખાતેના બ્લન્ડરની. જ્યાં રેલવે દ્વારા કામ હાથ ધરતા મામલો સામે આવ્યો. જેનો મતલબ એ થયો કે જ્યારે બ્રિજનો પ્લાન પાસ થયો ત્યારે amc દ્વારા પ્લાન પર કે સ્થાનિક યુટીલિટી પર ધ્યાન ન અપાયું. જેનું બ્લન્ડર બે વર્ષે સામે આવ્યું. ત્યારે જોવાનું એ પણ રહે છે કે અન્ય જગ્યા પર ફરી એવું બ્લન્ડર ન સર્જાય માટે amc શુ કરે છે. કે પછી હોતી હે અને ચલતી હે જેવો ઘાટ સર્જાય છે.