)
Ahmedabad News: અમદાવાદની સીબીઆઈ સ્પેશિયલ કોર્ટે બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ચીફ મેનેજરને છેતરપિંડીના આરોપમાં દોષિત ઠેરવ્યા છે. એસએમ રોડ શાખાના ભૂતપૂર્વ ચીફ મેનેજર જીવનગીન શ્રીનિવાસ રાવને બેંક ફ્રોડ કેસમાં ત્રણ વર્ષની જેલ અને રૂ. 1.5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેના પર બેંકમાંથી 80 લાખ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ હતો.
શું છે સમગ્ર ઘટના?
સીબીઆઈએ 30 ઓક્ટોબર 2003ના રાવ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આરોપ હતો કે પૂર્વ બેંક અધિકારી અને અન્ય આરોપીઓએ મળી છેતરપિંડીનું ષડયંત્ર રચ્યું અને બેંકમાંથી લોન લેવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો. ઉપરાંત, ષડયંત્રમાં નકલી કોલેટરલ સિક્યોરિટી (મોર્ગેજ સંપત્તિ ), મશીનરી સપ્લાયરના નામે નકલી ખાતું ખોલાવવું અને તે ખાતામાં બેંકમાંથી જારી કરાયેલા ચેક જમા કરાવવાનો સમાવેશ થાય છે. આટલું જ નહીં, આરોપી રાવ પર નકલી સંપત્તિ સંબંધિત દસ્તાવેજોને મંજૂરી આપ્યા બાદ નષ્ટ કરવાનો પણ આરોપ છે.
કઈ રીતે બેંકને 80 લાખનો ચૂનો લગાવ્યો?
તપાસ દરમિયાન સીબીઆઈને જાણવા મળ્યું કે રાવે એક વ્યક્તિને 30 લાખ રૂપિયાની કાર્યકારી મૂડી, 25 લાખ રૂપિયાની ક્રેડિટ લેટર અને 25 લાખ રૂપિયાની ટર્મ લોન મંજૂર કરી હતી. આ લોન નકલી અને બનાવટી મિલકતો ગીરવે રાખીને આપવામાં આવી હતી. આ રીતે બેંકે તેને કુલ 80 લાખ રૂપિયાની લોન મંજૂર કરી.
તપાસ અને ચાર્જશીટ
સીબીઆઈએ તે પણ આરોપ લગાવ્યો કે રાવે લોન મંજૂર કરતા પહેલા અને બાદમાં યોગ્ય રીતે તપાસ કરી નહીં. તેમણે આરોપીની ખાનગી ફર્મ અને તેના વેપારની ખાતરી કર્યા વગર લોનને મંજૂરી આપી હતી. સીબીઆઈએ આ ઘટનામાં વિસ્તારથી તપાસ કરી 23 ડિસેમ્બર 2005ના ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટે સુનાવણી બાદ જીવનગિને શ્રીનિવાસ રાવને દોષી માનતા ત્રણ વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે.