)
Ahmedabad News: ઉદય રંજન/અમદાવાદ: સોલા વિસ્તારમાં આવેલા ડી જે ટોયોટા કાર શોરૂમના જનરલ મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજરે ઠગાઈ આચરી છે. બંને આરોપીઓએ અલગ અલગ મોડલની 53 જુની કાર અને ગ્રાહકો પાસેથી ખરીદેલી 15 ગાડીઓ મળી કુલ 68 ગાડીઓ બારોબાર વેચી નાખી હતી. જે ખરીદેલી અને વેચેલી કારના નાણાં ગ્રાહકોને ન આપીને કે કંપનીમાં જમા ન કરાવીને 9.71 કરોડની છેતરપિંડી આચરી હતી.
ટોયોટા કાર ડીલરશીપ પૈકીનો એક શોરૂમ કારગીલ ચાર રસ્તા પાસે ડી.જે ઓટો હાઉસના નામે આવેલો છે. આ શોરૂમમાં ટોયોટા કંપનીની નવી ગાડીઓ વેચાણ કરવાની અને એક્ષ્ચેન્જમાં આવતી સેકન્ડ હેન્ડ કાર લેવાનું કામ થાય છે. કંપનીમાં જુની ગાડીઓના ખરીદ વેચાણ માટેના યુ ટ્રસ્ટ વિભાગમાં જનરલ મેનેજર સમીર શર્મા તથા આસીસ્ટન્ટ મેનેજર ચીરાગ દત્ત કામ કરે છે.
આ બંને લોકો જુની કાર ખરીદ અને વેચાણ કરવાનું કામ કરે છે. જે કામ પેટે બંનેને કમિશન પણ આપવામાં આવે છે. આ બંને લોકોને વેચાણ માટે આવતી કારનું ઇન્સપેક્શન કરીને તેની કિંમત નક્કી કરીને લીધેલી ગાડીઓનું પેમેન્ટ કરવાનું અને તેને આગળ વેચાણ કરવાનું કામ સોંપવામાં આવ્યુ હતું.
ગત તા.23 જુલાઇએ જ્યારે કંપનીએ ઓડિટ કર્યુ ત્યારે ખરીદેલી 53 ગાડીઓનો હિસાબ મળ્યો નહોતો. સાથે જ 15 ગાડીઓનો યુ ટ્રસ્ટના ડોક્યુમેન્ટમાં ઉલ્લેખ હતો પરંતુ તેના નાણાં કંપનીમાં જમા થયા નહોતા. આ ગાડીઓ અલગ અલગ ગ્રાહકો પાસેથી મેળવીને તેને બારોબાર વેચીને તે રકમ ગ્રાહકો કે કંપનીને આપી નહોતી.
આમ, કુલ 68 ગાડીઓ બાબતે બંનેની પૂછપરછ કરાતા બંને આરોપીઓએ આ ગાડીઓ કંપનીની જાણબહાર અન્ય ડીલરો તથા વ્યક્તિઓને વેચીને તેની 9.71 કરોડની રકમ મેળવીને છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યુ હતું. જેથી આ મામલે સોલા પોલીસને જાણ કરાતા પોલીસે 9.71 કરોડની છેતરપિંડી મામલે ગુનો નોંધી આરોપી સમીર શર્મા અને ચીરાગ દત્તની ધરપકડ કરી છે.