)
Ahmedabad News ; અમદાવાદ નિકોલના બિલ્ડર અને પાટીદાર અગ્રણી હિંમત રૂડાણી હત્યા કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે. ઓઢવ પોલીસે મુખ્ય બિલ્ડર આરોપી મનસુખ લાખાણી ઉર્ફે જેકીની ધરપકડ કરી છે. આરોપી બિલ્ડર મનસુખ લાખાણીએ દોઢ કરોડ રૂપિયા રોકડા અને એક મકાન આપવાની હત્યા માટે સોપારી આપી હતી.
ઓઢવ પોલીસ તથા અન્ય ટીમે સાથે મળીને ગણતરીના કલાકમાં બિલ્ડર હિંમત રૂડાણીની હત્યાના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ઓઢવ પોલીસે ત્રણ આરોપીઓની રાજસ્થાન સિરોહીમાંથી ધરપકડ કરી છે. પોલીસને પહેલેથી જ આ કેસમાં રૂપિયાની લેતીદેતીમાં હત્યા થઈ હોવાનો કે અન્ય બિલ્ડર દ્વારા હત્યાની સોપારી આપ્યાની શંકા હતી. જેમાં આખરે પોલીસે ભેદ ઉકેલી લીધો છે. બિલ્ડર મનસુખ લાખાણી ઉર્ફે જેકી દ્વારા બિલ્ડર હિંમત રૂડાણીની હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું.
મનસુખે દોઢ કરોડમાં આપી હતી સોપારી
બન્યું એમ હતું કે, બંને બિલ્ડર પાર્ટનર વચ્ચે વર્ષ 2020 થી વિવાદ ચાલી રહ્યો હતો. બંનેએ સમાધાનના પ્રયાસો કર્યા હતા, પણ સમાધાન આવ્યું ન હતુ. જેથી બંને વચ્ચે દુશ્મનાવટ પેદ થઈ હતી. બન્ને વચ્ચેની પાર્ટનરશીપ છૂટી કરવા માટે 25 કરોડની લેતીદેતીમાં મનદુઃખ થયું, જેનો આવો અંત આવ્યો. વિવાદનો ઉકેલ ન આવતા મનસુખ લાખાણી ઉર્ફે જેકીએ એક કરોડ રોકડા અને એક મકાનની સોપારી હત્યા માટે આપી હતી. એટલું જ નહિ, મનસુખે અગાઉ પણ હિંમત રુડાણી પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. એક વર્ષ અગાઉ હત્યા કરનાર આરોપીને હાથપગ તોડવા માટે 50 હજાર રૂપિયા આપ્યા હતા.

આઈ ડિવિઝનના એસીપી કૃણાલ દેસાઈએ જણાવ્યું કે, હત્યા કરનાર આરોપીઓએ હત્યા કર્યા બાદ મૃતક બિલ્ડરનો ફોટો વોટ્સએપથી મનસુખ લાખાણીને મોકલ્યા હતા. બિલ્ડર આરોપી મનસુખ લખાણીએ હત્યા બાદ વોટ્સએપ ડેટા ડિલીટ કર્યા હતા. જેથી ઓઢવ પોલીસે પુરાવા એકત્ર કરવા માટેથી આરોપીઓના મોબાઈલને એફએસએલમાં મોકલ્યા છે. હત્યા કરવા પાછળનું કારણ વર્ષ 2024 માં દોઢ કરોડ અને 16 દુકાન વેચી દેવાનની છેતરપિંડીની ફરિયાદ હોવાનું સામે આવ્યું છે. બંને બિલ્ડર વચ્ચે વર્ષ 2016 થી બિલ્ડિંગ કન્ટ્રકશન સાઇટમાં ભાગીદારી હતી. વર્ષ 2020 થી બંને વચ્ચે દોઢ કરોડ રૂપિયા અને 16 દુકાનનો વિવાદ ચાલી રહ્યો હતો.

આ આરોપીઓની ધરપકડ
ત્રણેય આરોપીઓને રાજ્સ્થાન સિરોહી પાસેથી હસ્તગત કર્યા છે. ઝોન-5 ના રામોલ પીઆઈ, ઓઢવ પીઆઈ, નિકોલ પીઆઈ, ઝોન 5 એલસીબી સ્કવોડના કુલ 50 પોલીસ કર્મી અને અધિકારીએ આખી રાત ઓપરેશન પાર પાડ્યું. બનાસકાંઠા એલસીબી અને અમીરગઢ પોલીસે પણ આરોપીઓને ઝડપવામાં મદદ કરી છે.

ત્યા કરીને લાશ તેમના જ મર્સિડીઝમાં મૂકાઈ હતી અને ગાડી વિરાટનગર બ્રિજ પાસે પાર્ક કરી દેવાઈ
શહેરના પૂર્વ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ ઝોનની ઓફિસની સામેના ભાગે વિરાટનગર બ્રિજની નીચેથી સફેદ કલરની એક મર્સિડીઝ કાર તરફ લોકોનું ધ્યાન ગયું હતુ. કારણ કે આ કારમાંથી દુર્ગંધ આવી રહી હતી. રાતના સમયે લોકોએ જોયું તો કારમાં કોઈ વ્યક્તિનો મૃતદેહ પડ્યો હતો. તેથી લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરી તો ગાડીમાં કોઈ અજાણી વ્યક્તિનો મૃતદેહ મૂકાયો હતો. તેમનો મૃતદેહ ગાડીના ડેકીમાં મૂકાયો હતો. ગાડીમાંથી દુર્ગંધ આવી રહી હતી. પોલીસે તપાસ કરતા મૃતદેહ હિંમત રુડાણી નામના શખ્સનો હોવાનું જાણવા મળ્યું. તપાસમાં સામે આવ્યું કે, તેઓ બિલ્ડર છે અને પાટીદાર સમાજના અગ્રણી છે. બિલ્ડર હિંમત રુદાણીની તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા નિપજવામાં આવી છે. હત્યા કરીને લાશ તેમના જ મર્સિડીઝમાં મૂકાઈ હતી અને ગાડી વિરાટનગર બ્રિજ પાસે પાર્ક કરી દેવાઈ હતી.