)
Ganesh Visarjan Traffic Alert : આવતીકાલે 6 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ શહેરમાં ગણેશ વિસર્જન છે. આ દરમ્યાન વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન અંગેનું અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગણેશ વિસર્જન હોઈ અમદાવાદમાં કેટલાક રસ્તા બંધ કરવામાં આવ્યા છે, કેટલાક ડાયવર્ટ કરાયા છે, તો એએમટીએસ બસ માટે રુટ ડાયવર્ટ કરાયા છે
અમદાવાદ શહેરમાં આગામી તારીખ 6 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન નિમિત્તે તમામ પ્રકારના વાહનો (શ્રી ગણેશ વિસર્જન પ્રોસેશન સિવાયના) બપોર કલાક ૧૩.૦૦ વાગ્યાથી નીચે મુજબ પ્રતિબંધિત કરેલ માર્ગ/વિસ્તારના રસ્તા પર અવર-જવર કરી શકશે નહીં પરંતુ તેની સામે જણાવેલ વૈકલ્પિક રુટ પરથી અવર-જવર કરી શકાશે.
જાહેરનામામાં જણાવ્યું કે, હું જી.એસ.મલિક, IPS, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, મને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની પેટા કલમ ૩૩ (૧) (બી) (સી) અને ગુજરાત મોટર વાહન નિયમો ૧૯૮૯ના નિયમ ૨૦૭ અંતર્ગત મળેલી સત્તા અન્વયે આગામી તા.૦૬/૦૯/૨૦૨૫ના રોજ શ્રી ગણેશ વિસર્જન નિમિત્તે આમ જનતા વચ્ચે વાહનોની અવર-જવર અને ટ્રાફીક પ્રવાહ સરળતાથી પસાર થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ વાહન પાર્કિંગ કરવાની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ ફરમાવવા માટે નીચે મુજબનો હુકમ કરૂ છું.
વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત માર્ગ ની વિગત :
૧. એસ.ટી. (ગીતામંદીર) થી જમાલપુર બ્રીજ ઉપર થઇ સરદારબ્રીજ થઈ પાલડી તરફ આવ-જા કરી શકાશે નહીં.
૨. એસ.ટી. (ગીતામંદીર) થી રાયપુર ચાર રસ્તા થઇ સારંગપુર સર્કલથી રેલ્વે સ્ટેશનથી કાલુપુર ઇનગેટ તરફ આવ-જા કરી શકાશે નહી.
૩. કાલુપુર રેલ્વે સ્ટેશનથી સારંગપુર સર્કલ થઈ કાગડાપીઠથી રાયપુર ચાર રસ્તાથી આસ્ટોડીયા દરવાજાથી ખમાસા ચાર રસ્તાથી વિક્ટોરીયા ગાર્ડનથી એલીસબ્રીજ થી ટાઉનહોલ સર્કલ સુધી આવ-જા કરી શકાશે નહી.
૪. કામદાર મેદાન ચાર રસ્તા થી સારંગપુર ઓવરબ્રિજ થઇ સારંગપુર સર્કલ સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે બંધ રહેશે.
૫. (એ) દિલ્હી દરવાજાથી નમસ્તે સર્કલથી પોલીસ કમિશનરશ્રીની કચેરીથી કેન્દ્રીય વિદ્યાલય કટથી ડાબી બાજુ વળી તાવડીપુરા પોલીસ લાઇનથી દધીચિ બ્રીજ સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે બંધ રહેશે.
(બી) દિલ્હી દરવાજાથી લીમડા ચોકથી લીથો પ્રેસથી હનુમાનપુરા કટથી દધિચી બીજ સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે બંધ રહેશે.
૬. રિવરફ્રન્ટનો પશ્ચિમ માર્ગ : વાડજ સ્મશાન ગૃહ કટથી શરૂ થતો પશ્ચિમનો આંબેડકર બ્રીજ નીચે સુધીનો રીવરફ્રન્ટ જતો-આવતો રોડ વાહનોની અવર જવર માટે પ્રતિબંધીત રહેશે.
૭. રિવરફ્રન્ટનો પુર્વ માર્ગ : પીકનીક હાઉસ રિવરફ્રન્ટથી શરૂ થતો પુર્વનો આંબેડકર બ્રીજ નીચે સુધીનો રીવરફ્રન્ટ જતો-આવતો રોડ વાહનોની અવર જવર માટે પ્રતિબંધીત રહેશે.
વૈકલ્પિક માર્ગની વિગત :
૧. એસ.ટી. (ગીતામંદીર) થી જમાલપુર બ્રીજ નીચે (ચાર રસ્તા) થી ડાબી બાજુ બહેરામપુરાથી દાણીલીમડા ચાર રસ્તા થઈ જમણીબાજુ વળી આંબેડકર બીજ થઇ અંજલી ચાર રસ્તાથી પાલડી ચાર રસ્તા થઇ આશ્રમ રોડ ઉપર આવ-જા કરી શકાશે.
૨. એસ.ટી.થી ભુલાભાઇ ચાર રસ્તા થી કાંકરીયા ચોકી થઇ અપ્સરા સિનેમા ચાર રસ્તા થઇ ઝઘડિયા ઓવરબ્રીજ થઇ અનુપમ સિનેમા થઇ ગોમતીપુર રેલ્વે કોલોની થઈ કાળીદાસ ચાર રસ્તા થઈ સરસપુર આંબેડકર હોલ થઇ કાલુપુર બ્રીજ થઇ રેલ્વે સ્ટેશન ઇન ગેટ તથા નરોડા તરફ આવ-જા કરી શકાશે.
૩. કાલુપુર રેલ્વે સ્ટેશન થઇ કાલુપુર સર્કલ થઈ કાલુપુર બ્રીજ થઇ આંબેડકર હોલ થઇ માણેકલાલ મિલ થઇ કાળીદાસ ચાર રસ્તા થઇ ગોમતીપુર રેલ્વે કોલોની થઇ અનુપમ સિનેમા થઇ ગાયત્રી ડેરી થઇ ઝઘડિયા ઓવરબ્રીજ થઈ અપ્સરા સિનેમા ચાર રસ્તાથી ડાબી બાજુ વળી દાણીલીમડા ચાર રસ્તા સીધા આંબેડકર બ્રીજ થઈ અંજલી સર્કલથી પાલડી થઇ આશ્રમ રોડ ઉપર આવ-જા કરી શકાશે.
૪. કામદાર મેદાન ચાર રસ્તા થી ચારતોરા કબ્રસ્તાન થઇ આર.સી ટેકનીકલ હાઇસ્કુલ થઈ ઇટવાડા સર્કલ કાલુપુર તરફ તથા કામદાર મેદાન ચાર રસ્તા થી રખિયાલ ચાર રસ્તા થી જમણી બાજુ વળી સુખરામનગર પાણી ટાંકી થઇ અનુપમ સિનેમા થઇ દેડકી ગાર્ડન ચાર રસ્તા અવર જવર કરી શકાશે.
૫. (એ) દિલ્હી દરવાજાથી દરીયાપુર સર્કલથી ઇદગાહ સર્કલથી બાબુ જગજીવનરામ બ્રીજ થઈ ગીરધરનગર સર્કલથી મહારાજ પ્રજ્ઞાસ્વામી બ્રીજ નીચેથી અંડરબ્રીજ સર્કલ થી અવર જવર કરી શકાશે.
(બી) દિલ્હી દરવાજાથી શાહપુર ચાર રસ્તાથી શંકરભુવન ટી થી ગાંધીબ્રીજથી ઇન્કમટેક્ષથી અવર જવર કરી શકાશે.
૬. વૈકલ્પિક માર્ગ : (આશ્રમ રોડ) : વાડજ સ્મશાન ગૃહ કટથી વાડજ સર્કલ થઈ ઉસ્માનપુરા ચાર રસ્તા થઇ ઇન્કમટેક્ષ ઓવર બ્રીજ મધ્ય ભાગ થઇ બાટા શો રૂમ ચાર રસ્તા થઇ ડિલાઈટ ચાર રસ્તા થઇ નહેરુબ્રીજ ચાર રસ્તા થઇ ટાઉન હોલ ચાર રસ્તા થઇ પાલડી ચાર રસ્તા થઈ મહાલક્ષ્મી પાંચ રસ્તા થઈ અંજલી ઓવરબ્રીજ મધ્ય ભાગ થઈ અવર જવર કરી શકાશે.
૭. ડફનાળા ચાર રસ્તા થઇ શાહીબાગ અંડરબ્રીજ થઇ નમસ્તે સર્કલ થઈ દિલ્લી દરવાજા થઇ મિરઝાપુર રોડ થઇ વીજળીઘર તેમજ લાલ દરવાજા રોડનો અવર- રીવરફ્રન્ટ જતો આવતો રોડ વાહનોની જવર માટે ઉપયોગ કરી શકાશે.
આ હુકમ સદર કાર્યક્રમ સાથે સંકળાયેલ પોલીસ વિભાગની પુર્વ મંજુરી મેળવેલા વાહનો, કરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર- જવર કરનારને આ જાહેરનામું લાગું પડશે નહી.
તેમજ ઉપર્યુક્ત પ્રતિબંધિત કરેલ તથા ટ્રાફિક માટે ડાયવર્ટ કરેલ તમામ માર્ગો ઉપર કોઇપણ પ્રકારનું વાહન પાર્કિંગ કરી શકાશે નહી. જેથી ઉક્ત તમામ માર્ગો ‘નો-પાર્કિંગ ઝોન' તરીકે જાહેર કરવામાં આવે છે.
આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ની જોગવાઇ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.૦૬/૦૯/૨૦૨૫ના બપોર કલાક ૧૩.૦૦ થી શ્રી ગણેશ વિસર્જન પુર્ણ ન થાય ત્યાં સુધી જરૂરીયાત મુજબ પોલીસ દ્વારા અમલવારી કરાવવામાં આવે ત્યાં સુધી કરવાનો રહેશે.
આ જાહેરનામાના આદેશોનું ઉલ્લઘંન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતાં સંયુક્ત/અધિક પોલીસ કમિશ્નરશ્રીના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રી/પોલીસ કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ-૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ- ૧૩૧ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.
અમદાવાદ શહેરમાં ગણેશ વિસર્જન અને ઇદ-એ-મિલાદના તહેવારને લઈને અમદાવાદ શહેર પોલીસ સક્રિય થઈ છે. zone 3 ડીસીપી રૂપલ સોલંકીએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં આજે કોમ્બિંગ હાથ ધર્યું હતું. તેમણે જણાવ્યું કે, અમારી પોલીસ અમદાવાદના નાગરિકોની સેવામાં હાજર છે.