)
Rajkot News ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ શહેર ભાજપ એક સાધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે. આખા ગુજરાતમાં ભાજપમાં સૌથી વધુ આંતરિક જૂથવાદ પણ રાજકોટ શહેરમાં જોવા મળી રહ્યો છે, અને અહી પક્ષમાં પડેલી તિરાડોમાંથી હવે અવાજ બહાર આવવા લાગ્યા છે. ત્યારે રાજકોટ શહેરના આંતરિક જુથવાદમાં હવે ગૃહમંત્રી અમિત શાહને ડેમેજ કન્ટ્રોલ કરવાની જરૂર પડી હતી.
ભાજપના નેતાઓ સાથે બેઠકને લઇને મોટા સમાચાર
રાજકોટ શહેર ભાજપમાં સતત વધી રહેલા આંતરિક જૂથવાદને જોતા અમિત શાહે સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી. તેઓએ RMC, જિલ્લા પંચાયત, જિલ્લા અને શહેરના સંગઠન અને માર્કેટિંગ યાર્ડ સહિતના પદાધિકારીઓ ચર્ચા કરી હતી. જેમાં અમિત શાહે ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા અને શહેર પ્રમુખો તથા પૂર્વ પ્રમુખો સાથે પણ બેઠક કરી હતી. તો મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સાથે બેઠક કરી.
અમિત શાહે આ બેઠકમાં જૂના જોગીઓને યાદ કરીને સૂચક સંદેશો આપ્યો હતો. તેમણે એક બનીને ભાજપને મજબૂત કરવા સંકેત આપ્યો. જૂના જોગીઓમાં ધનસુખ ભંડેરી, કશ્યપ શુક્લ, કમલેશ મિરાણી, અરવિંદ રૈયાણી, ગોવિંદ પટેલ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં અમિત શાહે જીએસટી ઘટાડાનો મુદ્દો લોકો સુધી પહોંચાડવા સૂચના આપી. તો જીએસટી ઘટાડાનો ફાયદો સામાન્ય લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવાની સૂચના આપી. સાથે જ વધુમાં વધુ સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવા, ઘરે ઘરે જઇને સ્વદેશી ચીજવસ્તુઓના વપરાશ અંગે જાગૃતતા લાવવા સૂચના આપી. બે લાખ લોકોને સ્વદેશી અપનાવવા જાગૃતતાના ફોર્મ ભરાવવાના આદેશ અપાયા.
આ બેઠકમાં આગામી ચૂંટણીને લઈને અમિત શાહે માર્ગદર્શન આપ્યું હતું. ધનસુખ ભંડેરી, લીલુબેન જાદવ, પૂર્વ મેયર રક્ષા બોળીયા, સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર, મેયર નયનાબેન પેઢડિયા, રાજકોટ જિલ્લા ભાજપના અધ્યક્ષ અલ્પેશ ઢોલરીયા અને શહેર અને જિલ્લાના ભાજપના નેતાઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
શાહની આ બેઠક ભાજપના રાજકારણમાં કોઇ માસ્ટર સ્ટ્રોક જેવી ગણાઇ રહી છે, જેની અસરો હવે પછી દેખાશે. સુરત અને રાજકોટમાં શાહે કરેલી બેઠકો મંત્રીમંડળના વિસ્તરણ કે સંગઠન સિવાય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી પહેલાની રણનીતિક ગોઠવણોને લઇને હોઇ શકે છે.