અસ્થિર મગજની માતાનું 10 વર્ષે દિકરા સાથે મિલન થતાં સર્જાયા લાગણીસભર દૃશ્યો

સખી સંઘના પ્રમુખ જીગીશા વ્યાસે જણાવ્યું કે, મહિલાએ આપેલી વિગતોને આધારે આશ્રય ગૃહની ટીમે મહિલાના પરિવારની શોધખોળ શરૂ કરી. જેના માટે તેમણે આંધ્ર પ્રદેશની પોલીસથી માંડીને કલેક્ટર અને મુખ્યમંત્રી સુધીનો સંપર્ક કર્યો. આખરે, તેમની મહેનત રંગ લાવી અને મહિલાના પરિવારનો સંપર્ક થઈ શક્યો. સૌ પ્રથમ ટેલિફોનીક અને પછી વીડિયો કોલ દ્વારા બંને વચ્ચે વાતચીત કરાવી. દિકરો પણ વીડિયો કોલમાં માતાને ઓળખી ગયો અને માતા પણ દિકરાને ઓળખી ગઈ હતી.
 

અસ્થિર મગજની માતાનું 10 વર્ષે દિકરા સાથે મિલન થતાં સર્જાયા લાગણીસભર દૃશ્યો

મૌલિક ધામેચા/અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આશ્રયગૃહમાં આજે અત્યંત લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા. અહીં, 10 વર્ષથી વિખુટી પડી ગયેલી અને આંધ્રપ્રદેશથી અમદાવાદ આવી ગયેલી એક માતાનું 10 વર્ષ બાદ તેના દિકરા સાથે મિલન થયું હતું. દિકરાએ તો માતાને મૃત માનીને તેના ફોટાને હાર પણ પહેરાવી દીધો હતો. આશ્રયગૃહમાં આ મિલન કરાવવા આવેલી પોલીસ ટીમની આંખોમાં પણ અશ્રૃધારા આવી ગઈ હતી. 

ઓક્ટોબર મહિનામાં શાહપુરમાં ફુટપાથ પર સુતેલી હાલતમાં આશ્રય ગૃહની ટીમને એક મહિલા મળી હતી. આ મહિલા ચીંથરેહાલ હતી. સૌ પ્રથમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાહીબાગની આશ્રય ગૃહની ટીમે મહિલાને નવડાવી-ધોવડાવીને જમવાનું જમાડ્યું હતું. ત્યાર પછી તેની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ મહિલા ભાષા સમજતી ન હોવાનું જણાયું. 

આથી આશ્રય ગૃહની ટીમે દુભાષીયાની મદદ લીધી. ત્યાર પછી જે માહિતી મળી તેનાથી આશ્રય ગૃહના કર્મી પણ દંગ રહી ગયા. કેમ કે ફૂટપાથ પર મળેલી મહિલા તેલગુ ભાષા જાણતી. એટલે કે, તે ગુજરાતની નહીં પરંતુ દક્ષિણ ભારતના કોઈ રાજ્યની હતી. આટલી કડી મળ્યા પછી આશ્રયગૃહના લોકોએ તેલુગુ ભાષા જાણતી વ્યક્તિને બોલાવ્યો અને મહિલાની સાથે વાતચીત કરીને તે ક્યાંની છે તે જાણવાનો પ્રયાસ કર્યો. 

આ અંગે વિગતો આપતા સખી સંઘના પ્રમુખ જીગીશા વ્યાસે જણાવ્યું કે, મહિલાએ આપેલી વિગતોને આધારે આશ્રય ગૃહની ટીમે મહિલાના પરિવારની શોધખોળ શરૂ કરી. જેના માટે તેમણે આંધ્ર પ્રદેશની પોલીસથી માંડીને કલેક્ટર અને મુખ્યમંત્રી સુધીનો સંપર્ક કર્યો. આખરે, તેમની મહેનત રંગ લાવી અને મહિલાના પરિવારનો સંપર્ક થઈ શક્યો. સૌ પ્રથમ ટેલિફોનીક અને પછી વીડિયો કોલ દ્વારા બંને વચ્ચે વાતચીત કરાવી. દિકરો પણ વીડિયો કોલમાં માતાને ઓળખી ગયો અને માતા પણ દિકરાને ઓળખી ગઈ હતી. ત્યાર પછી જરૂરી દસ્તાવેજી કાર્યવાહી કરીને દિકરાને તેની માતાને લેવા માટે બોલાવ્યો. 

આખરે મહિલા આંધ્રપ્રદેશથી 1500 કિમી દૂર અમદાવાદ કેવી રીતે આવી?
મહિલાના પુત્ર સૈદુલુ ઉન્નતે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, તેની માતાનું નામ શુભલક્ષ્મી ઉન્નત છે. તેના નાગેશ્વરરાવ ઉન્નતે 2006માં અગમ્ય કારણસર દવા પીને આપઘાત કરી લીધો. જેના કારણે મહિલા માનસિક તણાવમાં રહેતી હતી અને અચાનક ઘરેથી નીકળી ગઈ હતી. તેમણે 100 કિમી દૂર રહેતા મામાને ત્યાં તપાસ કરી પણ ત્યાં પણ માતા ન મળી. ઘણી શોધખોળ પછી પણ માતાનો કોઈ પતો ન મળતાં તેને મૃત માની લીધી હતી. 

સૈદુલે વધુમાં જણાવ્યું કે, અમદાવાદથી જ્યારે તેને જાણ કરવામાં આવી કે તેની માતા જીવીત છે ત્યારે તેની ખુશીનો કોઈ પાર રહ્યો ન હતો. તે આંધ્રપ્રદેશની પોલીસને સાથે લઈને અમદાવાદ માતાને લેવા આવી પહોંચ્યો.

શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.કે. પટેલે જણાવ્યું કે, આશ્રયગૃહની ટીમે તેમને જ્યારે જણાવ્યું કે, એક આંધ્ર પ્રદેશના મહિલાનું 10 વર્ષ બાદ તેના દિકરા સાથે મિલન કરાવવાનું છે. અમે પણ પુર્ણ સહકાર આપવા તૈયારી દર્શાવી. આંધ્રપ્રદેશથી જ્યારે તેમનો દિકરો આવી પહોંચ્યો ત્યારે તેણે સૌ પ્રથમ માતાને મિઠાઈ ખવડાવી અને પગે લાગીને આશિર્વાદ લીધા હતા. માતા પણ દિકરાને જોઈને બોલી ઉઠી હતી કે, આ તો મારે શૈલુ છે. શાહીબાગ પોલીસે મહિલાને કપડા ભેટમાં આપ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news