)
Bhavnagar News નવનીત દલવાડી/ભાવનગર : ભાવનગર જિલ્લામાં પડી રહેલા કમોસમી વરસાદના કારણે જિલ્લાભરમાં ખેત પાકોમાં ભારે નુકશાન થયું છે. કમોસમી વરસાદના કારણે તૈયાર થઈ ગયેલા મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થયું છે, જેમાં ભાવનગર તાલુકાના ભડી, ભંડારીયા, સાણોદર, સહિતના ગામોમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા તૈયાર પાક કોહવાઈ ને સાવ નષ્ટ થઈ ગયો છે. કુદરતી આફત સામે લાચાર બનેલા ખેડૂતોએ હવે રવિ સીઝનના વાવેતર માટે સરકાર સામે મીટ માંડી છેય ખેડૂતોનું કહેવું છે કે સરકાર આ સ્થિતિમાં ખુલ્લું મન રાખી ખેડૂતોને મદદરૂપ બને.
હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે, જેમાં ભાવનગર જિલ્લામાં પણ છેલ્લા 10-11 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, કમોસમી વરસાદના કારણે જિલ્લાભરમાં ખેડૂતોના તૈયાર ખેતપાકોમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા. કપાસ, મગફળી, ડુંગળી સહિતના પાકો નષ્ટ થઈ ગયા છે. ભાવનગર તાલુકા પંથકના ગ્રામ્ય વિસ્તારો એવા ભડી, ભંડારીયા, સાણોદર, સરતાનપર સહિત ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોને પોતાના ખેતરોમાં ઊભેલો પાક બચાવવાનો પણ સમય ન મળ્યો. જેના કારણે પ્રથમ વીણી માટે તૈયાર કપાસના પાકમાં પાણી અડી જતા તેમાં રહેલા કપાસિયા છોડવામાં જ ઊગવા લાગ્યા છે. જ્યારે ખેતરોમા ખેંચીને સૂકવવા રાખેલી મગફળીમાં પણ ખેડૂતોને ખૂબ મોટું નુકશાન થયું છે. ખેડૂતોએ મગફળી ખેંચીને ખેતરોમાં તેના પાથરા સૂકવવા રાખ્યા હતા, જે પલળીને હવે ઊગી નીકળ્યા છે.
સરકાર મોટું મન રાખીને ખેડૂતોને મદદ કરે
ઝી 24 કલાકની ટીમે ભંડારીયા ગામે વાડીમાં પહોંચી પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ડુંગળી, અને મગફળીના પાકમાં ભારે નુકશાન જોવા મળ્યું હતું. ખેડૂતોનુ કહેવું છે કે, ખેતપાકો પર જ ખેડૂત આશા રાખીને બેઠો હોય છે, ઘરના સામાજિક પ્રસંગો હોય કે બાળકોને ભણાવવાનો ખર્ચ હોય બધું જ ખેતી પર નિર્ભર હોય છે, તેમજ હાલ રવિ પાકની સીઝન શરૂ થઈ રહી છે, ત્યારે વાવેતર માટે પણ ખેડૂતો માટે પૈસા ન હોય કુદરતી આફતો સામે સરકાર મોટું મન રાખીને ખેડૂતોને મદદ કરે.
મહુવા કોંગ્રેસ ખેડૂત મુદ્દે આક્રમક
આજે મહુવા ખાતે કોંગ્રેસે આક્રમક દેખાવો કર્યો હતા. ખેડૂતોના દેવા માફ કરો તેમજ સર્વેના નાટક બંધ કરો તેવા સુત્રોચ્ચાર કરી ધરણા કરાયા હતા. મહુવા તાલુકા સેવાસદન બહાર કોંગ્રેસ દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો હતો. રામધુન બોલાવી નારા સાથે વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં રાજ્યભરમાં પડી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકશાન થતા આર્થિક નુકશાની સહન કરવી પડી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તાકીદે સર્વે કરાવી ખેડૂતોને વહેલી તકે યોગ્ય વળતર મળી રહે તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં આ પ્રક્રિયાને વધુ સરળ બનાવવા તેમજ ખેડૂતો જાતે જ પોતાની પાક નુકશાની અંગેનું રજિસ્ટ્રેશન સરકારમાં કરાવી શકે તે માટે કૃષિ પ્રગતિ એપ્લિકેશન મારફતે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ શરૂ કરી છે. જેમાં ભાવનગર જિલ્લાના ખેડૂતો દ્વારા રજિસ્ટ્રેશન કરાવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
કમોસમી વરસાદને પગલે ભાવનગર જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં કપાસ, મગફળી, ડુંગળી, તેલીબિયાં અને જુવાર સહિતના પાકોને ભારે નુકશાન થવા પામ્યું છે. જેને લઈને મુખ્યમંત્રીના આદેશ અનુસાર રાજ્યભરના અસરગ્રસ્ત વિસ્તારોમાં તાકીદે પાક નુકશાની સર્વે હાથ ધરવા અને તેનો રિપોર્ટ સરકારમાં સોંપવા જણાવવામાં આવ્યું છે. જેને પગલે મંત્રીઓ કલેકટર, ડીડીઓ સહિતના અધિકારીઓ સાથે આ મામલે બેઠક યોજી તેમજ ખેતરોમાં જઇ નિરીક્ષણ કરી રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે. ત્યારે સરકારે આ પાક નુકશાની અંગેની કાર્યવાહી વધુ સરળ બનાવવા કૃષિ પ્રગતિ એપ્લિકેશનમાં પાક નુકશાની અંગેનું નવું ફીચર્સ ઉમેરી ખેડૂતો પોતાના ખેતર આજુબાજુ 100 મીટર માં રહીને તેના નોંધાયેલા યોગ્ય સર્વે નંબર સહિતની જરૂરી વિગતો એપ્લિકેશનમાં એડ કરી જાતેજ પાક નુકશાની અંગેનું રજિસ્ટ્રેશન કરાવી શકે તે મુજબની ગોઠવણ કરી છે.