)
Gandhinagar News ; ગાંધીનગરથી એક નવું ફરમાન છ્ટયું છે. ધારાસભ્યોની નારાજગી ત્વરિત દૂર કરવી અને ધારાસભ્યોના યોગ્ય પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવા જે તે વિભાગને સૂચના આપી ઝડપથી કામ પૂરા કરવા સૂચના અપાઈ છે. પરંતું આ વચ્ચે રાજકારણની એક નવી ગેમ સામે આવી છે. ધારાસભ્યોની નારાજગી પણ ભાજપનો એક ખેલ છે કે શું? એવી ચર્ચા હાલ વહેતી થઈ છે.
હાર્દિક પટેલ સહિત કેટલાયે સરકારને લખ્યો છે પત્ર
છેલ્લા એક મહિનાાં અનેક એવા ધાસભ્ય સરકારને પત્ર લખીને કામગીરી સામે સવાલ ઉઠાલ્યા છે. આ ધારાસભ્યોએ પોતાના મતવિસ્તારમાં કામ નથી થતા તેવી રજૂઆતો સરકારને કરી છે. હાર્દિક પટેલ સિવાય અનેક ધારાસભ્યોએ સરકાર સામે બળાપો કાઢ્યો છે. હાર્દિક પટેલે આંદોલનની ચીમકી પણ આપી હતી. મનસુખ પણ વખતોવખત આવી ચીમકી આપતા હોય છે. આ સિવાય પણ પત્ર લખનારાઓમાં કેટલાક ધારાસભ્યોના નામ છે. પરંતું પત્ર લખીને રજૂઆત કરવામાં ભાજપે જબરદસ્ત સ્ટ્રેટેજી અપનાવી છે. આપવાળા અને કોંગ્રેસવાળા આંદોલન કરે તો સરકારની પોલ છતી થાય, તેના કરતા આપણો જ ધારાસભ્ય અવાજ ઉઠાવે તે વધારે સારું. આ કારણે સરકાર દ્વારા જ પોતાના ધારાસભ્યોને સરકારમાં પત્ર લખીને રજૂઆત કરવાનું કહેવામાં આવે છે.
પોતાના જ ધારાસભ્યોનો સરકાર સામે બળાપો
ગુજરાતમાં છેલ્લા કેટલાય વખતથી ભાજપ સરકાર સામે ભાજપના ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી કે અન્ય રીતે બળાપો કાઢવાની ઘટનાઓ વધી રહી છે. ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી હોવાના દાવા વચ્ચે અનેક ધારાસભ્યો અશિસ્તતા આચરી રહ્યા છે. જોકે તેમની સામે પક્ષ તરફથી કોઈપણ પગલાં ભરવામાં આવતા નથી. પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે કે ભાજપમાં અસંતોષ વધી રહ્યો છે. પણ આ સાચી વાત આ નથી. ધારાસભ્યોનો બળાપો કાઢવો કે મુખ્યમંત્રીને નારાજગી વ્યક્ત કરતો પત્ર લખવો તે પણ રાજકારણના કાવાદાવા છે. ભાજપના જ એક સિનિયર નેતાએ આ કાવાદાવાને ખુલ્લા પડ્યા. એક ધારાસભ્યએ ઓફ ધ રેકોર્ડ કહ્યું હતું કે, મને સરકારમાંથી કહેવાયું હતું કે આ રીતે પત્ર લખો.
આ રિપોર્ટ આવે એટલે ધારાસભ્યોને સક્રિય કરાય
જે વિસ્તારોમાં પ્રજાની સમસ્યાને લઈને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી આંદોલન કે અન્ય રીતે વિરોધ નોંધાવી શકે તેવો આઈબીનો રિપોર્ટ આવે તો તરત ભાજપના જ સ્થાનિક ધારાસભ્યને સક્રિય કરી દેવામાં આવે છે. સમસ્યાનો હલ શોધી શકાય એવો પ્રયત્ન થાય છે અને ન શોધી શકાય તો ભાજપનો જ ધારાસભ્ય કે ભાજપના નેતા પોતાની સરકાર સામે બળાપો કાઢતો પત્ર મુખ્યમંત્રીને લખે છે અને મીડિયામાં મોકલી દેવામાં આવે છે.
ધારાસભ્યોની ફરિયાદ પર ત્વરિત એક્શન લેવાશે
હજી ગઈકાલે જ સમાચાર આવ્યા કે, આરોગ્ય મંત્રીની ચેમ્બરમાં મળેલ મંત્રીઓની બેઠકમાં ઘણા ધારાસભ્યો તેમના યોગ્ય પ્રશ્નોનું નિરાકરણ આવતું ન હોય નારાજ છે તેવા ધારાસભ્યો સાથે બેઠક કરી જે તે વિભાગમાં તેમના વિસ્તારના યોગ્ય કામો ઝડપથી પુરા કરવા સંકલન કરી ધારાસભ્યોની નારાજગી દૂર કરવાનું પણ બેઠકમાં નક્કી થયું હોવાનુ જાણવા મળ્યુ છે. ઉલ્લેખનીય છે કે ભાજપના જ અમુક ધારાસભ્યોએ પ્રજાના કામો નથી થતા તેવા જાહેરમાં બળાપા કાઠયા હોય સરકારની છબી ખરડાતી હોય આવુ ના બને એ માટે ધારાસભ્યોના કામોનો બને ત્યા સુધી ઝડપી નિકાલ કરવાનું કહેવાયુ છે.
જો સૂત્રોની વાત સાચી હોય તો પછી આ ભાજપની નવી ગેમ છે કે નવા કાવાદાવા. જોકે, આ તો દલા તરવાડી જેવા ઘાટ થયો. જાતે જ પોતાના ધારાસભ્યોને એક્ટિવ કરવાના અને જાતે જ પત્ર લખાવવાનો.