)
Amreli News: ગુજરાતમાં દારૂબંધીને લઈને ચાલી રહેલા વિવાદમાં વધુ એક ભાજપના નેતાએ સવાલો ઉઠાવતા રાજકારણ ગરમાયું છે. ભાજપના પીઢ નેતા અને ડૉક્ટર ભરત કાનાબારએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર એક વિસ્ફોટક પોસ્ટ કરીને રાજ્યની દારૂબંધીની નીતિ પર આકરા પ્રહારો કર્યા છે. ડૉ. ભરત કાનાબારે ગુજરાતની દારૂબંધીને સીધેસીધી "ભાંગીતૂટી" ગણાવી છે, જેણે ભાજપના આંતરિક વર્તુળોમાં અને વિપક્ષમાં ચર્ચા જગાવી છે.
દારૂ ક્યાં નથી મળતો?
ડૉ. કાનાબારે દારૂના વ્યાપક ચલણને ઉજાગર કરતા સવાલ કર્યો કે, દારૂ ક્યાં મળે છે તેવું પૂછનારને સામે પૂછવું પડે કે, "ક્યાં નથી મળતો..??" તેમના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેઓ રાજ્યમાં દારૂની સરળ ઉપલબ્ધતાથી અત્યંત નારાજ છે.


તહેવારો અને લગ્ન પ્રસંગોમાં પણ દારૂની મહેફિલો
તેમણે દારૂના વધતા ચલણને એક ગંભીર સામાજિક સમસ્યા ગણાવી છે. આ સાથે જ, તેમણે તહેવારો અને લગ્ન પ્રસંગોમાં પણ દારૂની મહેફિલો વધવા બદલ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. ડૉ. કાનાબારના મતે, આ પરિસ્થિતિ સામાજિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
IPS અધિકારીઓ સુધી પહોંચે છે 'હપ્તા'
સૌથી સનસનીખેજ નિવેદન આપતા ડૉ. કાનાબારે સીધો આક્ષેપ કર્યો કે દારૂના ગેરકાયદે વેપારના હપ્તાના પૈસા IPS અધિકારીઓ સુધી પહોંચે છે. આટલા ગંભીર આક્ષેપો છતાં, તેમણે એવો દાવો પણ કર્યો કે ભલે ગેરરીતિઓ હોય, છતાં ગુજરાત અન્ય રાજ્યોની તુલનામાં હજુ પણ સુરક્ષિત છે.
જીગ્નેશ મેવાણી પર પ્રહાર
આ મુદ્દે રાજકારણ કરતા વિપક્ષના નેતાઓને આડે હાથ લેતા ડૉ. કાનાબારે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પર પણ પ્રહાર કર્યો હતો. તેમણે મેવાણીને સૂચવ્યું કે જો તેઓ ખરેખર દારૂબંધી અંગે ગંભીર હોય, તો તેમણે કોંગ્રેસની સરકારવાળા રાજ્યોમાં દારૂબંધી લાગુ કરાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ. ડૉ. ભરત કનાબારનું આ નિવેદન ભાજપ સરકાર માટે એક ધર્મસંકટ સમાન છે, કારણ કે તેના પોતાના જ નેતાએ રાજ્યની કાયદાની અમલવારી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આ નિવેદન બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે અને વિપક્ષ આ મુદ્દે સરકારને ઘેરવાની તૈયારીમાં છે.