)
ચૈતન્યસિંહ ઝાલાએ પાદરાના એક કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયારનું નામ લીધા વગર તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, "પહેલાના ધારાસભ્ય અભણ હતા. અભણ હતા એટલે વિકાસ ક્યાંથી કરે?" તેમના આ નિવેદનથી રાજકીય ગલિયારામાં ભારે ચર્ચા જાગી છે.
આ પહેલીવાર નથી જ્યારે ચૈતન્યસિંહ ઝાલાએ આવા વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હોય. આ પહેલા પણ તેમણે કોંગ્રેસ પક્ષને "રાક્ષસો" સાથે સરખાવ્યો હતો, જેના કારણે પણ મોટો રાજકીય વિવાદ થયો હતો. ચૈતન્યસિંહ ઝાલાના આ નિવેદન બાદ પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયારે પણ વળતો પ્રહાર કર્યો છે. જોકે આ વિવાદ હવે કયા સ્વરૂપમાં આગળ વધે છે તે જોવું રસપ્રદ રહેશે.સ્થાનિક રાજકારણમાં આ પ્રકારના વ્યક્તિગત આક્ષેપોથી વાતાવરણ વધુ તંગ બન્યું છે. પાદરાના રાજકારણના આ વિવાદ પર લોકોની પણ નજર છે કે આ તું-તું, મેં-મેં ક્યાં અટકશે.
ઉલ્લેખનીય છે કે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા અગાઉ એક કાર્યક્રમ દરમિયાન વિવાદીત નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે કોંગ્રેસ અને રાક્ષસની સરખામણી કરી દીધી હતી. જેને પગલે પાદરાનું રાજકારણ ગરમાયું હતું. સરસવણી ગામના પંચાયત ઘરના ખાતમૂહૂર્ત પ્રસંગે ધારાસભ્યના વિવાદીત વેણ સામે આવ્યા હતા.
આ ઘટનાને 24 કલાક જેટલો સમય વિતી ગયા બાદ કોંગ્રેસના અગ્રણી અને પાદરાના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારનો વળતો પ્રહાર સામે આવ્યો છે. જેમાં ભાજપના ધારાસભ્યએ અગાઉ તેમના ઉમેદવારને હરાવવા માટે કોંગ્રેસને આપેલા સમર્થનની વાત યાદ કરાવવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2017માં તમને ટિકિટ મળી ન્હતી. જેથી તમે કોંગ્રેસને જીતાડવા માટે તમારૂ સમર્થન જાહેર કર્યું હતું. તે વખતે અમે તમને આમંત્રણ ન્હતું આપ્યું. તમે ભાજપને હરાવવા માટે ટેકો આપવામાં આવ્યો હતો.
વર્ષ 2012માં માત્ર 3500 મતોનું અંતર રહ્યું હતું. અને હંમેશા કહેતા કે આ પાદરાના લોકોની જીત છે. ક્યારે એવું નથી કહ્યું કે, હું જીત્યો છું. મને આ વખતે 61 હજાર લોકોએ મત આપ્યા, શું તેઓ રાક્ષસના વંશજો હતા...? તમારા શબ્દો પાછા ખેંચી લેજો, તમે વિવિધ સમાજનું જે અપમાન કર્યું છે, તમે શબ્દ પાછા નહીં ખેચો, તો તમારે નુકશાન ભોગવવું પડશે.