)
Jamnagar News : છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચાર કરવામાં નેતાઓના નામ આગળ આવી રહ્યાં છે. આ નેતાઓ હવે ગરીબોના હકનું પણ ખાવામાં શરમ અનુભવતા નથી. 50 એકરની જમીન ધરાવતા ભાજપના ધારાસભ્ય મેઘજી ચાવડાના પુત્રને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફ્લેટ ફાળવી દેવાયો.
ગુજરાતમાં કથિત મનરેગા કૌભાંડમાં એક મંત્રી અને એક કોંગ્રેસી નેતાના પુત્રના નામની સંડોવણી સામે આવી. ત્યારે જામનગરના કાલાવડ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય મેઘજી ચાવડાના પુત્ર મોહિત ચાવડાને ધ્રોલ નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એક સરકારી ફ્લેટની ફાળવણી કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ભાજપના વધુ એક નેતાનું ભોપાળું સામે આવ્યું છે. મેઘજી ચાવડા પાસે 50 એકર જમીન છે. સાથે જે તેમની પાસે તથા તેમના પુત્ર મોહિત પાસે અલગ અલગ કાર છે. નિયમો મુજબ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફ્લેટ ગરીબોને ફાળવવામાં આવે છે. આ ફ્લેટ પર ગરીબોનો પહેલો હક છે. પરંતુ નેતા પુત્ર કયા એન્ગલથી ગરીબોની કેટેગરીમાં આવે છે તે હજી સામે આવ્યું નથી.
રાઈટ ટુ ઈન્ફોર્મેશનના કાયદા હેઠળ માંગવામાં આવેલી માહિતી પ્રકાશમાં આવતાં ચકચાર મચી ગઈ છે. ધારાસભ્યનો પુત્ર કેવી રીતે ગરીબ કહેવાય તે મામલે કાનાફૂસી શરૂ થઈ છે. તો બીજી તરફ, દાળમાં કંઈક કાળુ હોય તેમ, ધ્રોલ નગરપાલિકાના સત્તાધીશો પણ આવું કેવી રીતે થયું તેની સત્ય માહિતી આપી નથી રહ્યા, ન તો આ મામલે ખુલાસો કરી રહ્યાં છે.