)
Dhudhdhara Diary Election : ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપનો ઘાટ સર્જાયો છે. સાંસદ મનસુખ વસાવાનો આરોપ કર્યો કે, જિલ્લા સંકલનને વિશ્વાસમાં લીધા વગર ગાંધીનગર કક્ષાએ મેન્ડેડ અપાયા છે. જો કોઈને સસ્પેન્ડ કરાશે તો આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને વિધાનસભામાં નુકસાન થશે. આ સાથે જ પ્રકાશ દેસાઈ બિનહરીફ થતા મનસુખ વસાવાએ અનેક સવાલો ઉઠાવ્યા છે.
દુધધારા ડેરીની ચૂંટણીને લઈને ભાજપમાં આંતરિક ઘમાસાણ ચરમસીમાએ છે. પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટને સર્વોપરી માનવાનો પ્રયાસ કરાયો છે. પરંતુ ક્ષેત્રીય નેતાઓએ આ પ્રયત્નો પર પાણી ફેરવી દીધું છે. મેન્ડેટ વિરુદ્ધ ભાજપના આગેવાનો સામસામે મેદાનમાં જોવા મળશે.
ચૂંટણીમાં ઘનશ્યામ પટેલની સામે ધારાસભ્ય અરુણ સિંહ રાણાએ પોતાની પેનલ ઉતારી છે. ઘનશ્યામ પટેલ હાલ દૂધધારા ડેરીના ચેરમેન છે. ત્યારે તેઓની સામે ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રણાએ પેનલ ઉતારી છે.
ધારાસભ્ય અરૂણસિંહ રણાની પેનલમાંથી પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ એક નહીં પણ 12 ઉમેદવારો ચૂંટણીમાં ઉતાર્યા છે. અરુણસિંહ રણાના સમર્થનમાં ઊભેલા 3 ઉમેદવારોમાંથી એક ઉમેદવાર પ્રકાશ દેસાઈને માજી ચેરમેન ઘનશ્યામ પટેલે બિનહરીફ બનાવી દીધો છે. પણ ધારાસભ્ય અરૂણસિંહ રણાએ નમતું ઝોખ્યું નહિ. ઘનશ્યામ પટેલે કહ્યું કે, પોતાના પુત્ર સાગર પટેલ સહિત ભાજપનો મેન્ડેટ ન મેળવનાર કેટલાક ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચી લીધા છે.
બીજી તરફ અરુણસિંહ રણા અને પ્રકાશ દેસાઈ તેમની પેનલને ચૂંટણી લડાવવા મક્કમ છે. જો કે અમુલ ડેરીની ચૂંટણી જેવી પરિસ્થિતિ પુનરાવૃત્તિ થાય અને પક્ષ વિરુદ્ધ કાર્ય કરવા બદલ શિસ્તભંગની કાર્યવાહી થાય તો રણા અને પ્રકાશ દેસાઈની મુશ્કેલી વધી શકે છે.
ચૂંટણી પ્રક્રિયાની અંતિમ વિગતો મુજબ, કુલ 21 ઉમેદવારી પત્ર પરત ખેંચાયા છે અને 1 બેઠક બિનહરીફ ગઈ છે. હવે 14 બેઠકો માટે 19 સપ્ટેમ્બરએ મતદાન યોજાવાનું છે.
આ બધાની વચ્ચે એક ગણગણાટ એ પણ છે કે મેન્ડેટ ન મેળવનાર સામે ભાજપ શીસ્તનો કોરડો વીંઝે તો બળવો કરી નવો રાજકીય પક્ષ ઊભો કરવાની ચીમકી પણ અપાઈ શકે છે.