)
BJP Vs Congress અજય શીલુ/પોરબંદર : સોરઠી ઘેડ તથા બરડા ઘેડ પંથકમાં દર વર્ષે ચોમાસા દરમિયાન પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તેના કાયમી નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા ત્રણ તબક્કામાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રથમ ફેઝની કામગીરી હજુ શરુ છે ત્યારે આ કામગીરીને લઇને કોંગ્રેસના આગેવાન પાલ આંબલિયા દ્વારા કામગીરીને લઇને ભ્રષ્ટાચારનાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ખેડૂત અગ્રણી પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે, 139 કરોડ રૂપિયામાંથી માત્ર 9 કરોડ રૂપિયાના જ કામો થયા છે. આ કામોમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના આરોપ સાથે આંબલિયાએ પુરાવા રૂપે બે વીડિયો પણ મુખ્યમંત્રીને મોકલ્યા છે. આ કામગીરીની હાલની સ્થિતિ તથા વિપક્ષના આક્ષેપો સહિતના મુદ્દે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને પોરબંદર સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
ઘેડ વિસ્તાર એટલે શું ?
ચોમાસામાં નદીઓના પાણી ઘેડમાં ભરાઈ રહે છે. ચોમાસુ ઉતરતા અહીં વાવણી શરૂ થાય છે. જેથી વાવણી પછી પાકને પાણી ઓછુ પાવુ પડે છે. અહીં કાંપનાં ભેજને કારણે મોલ પાકે છે. જે માધવપુર ઘેડ પંથકની એક આગવી ખાસિયત છે. માધવપુર ગામની આજુબાજુનો વિસ્તાર ઘેડ તરીકે ઓળખાય છે, તેની પણ એક અલગ વિશેષતા છે. સામાન્ય રીતે કોઈ પણ નદીનાં મુળથી મુખ સુધીમાં ત્રણ ભાગ હોય છે. જે ગિરિપ્રદેશ, મેદાન પ્રદેશ અને મુખ પ્રદેશ. જેમાં મુખ પાસે નદીનો વેગ ધીમો હોય છે. તેમાં કાંપને ઘસડી જવાની શક્તિ નથી હોતી. આથી મુખ પાસે કાંપ એકત્ર થતો જાય છે. નદીના આવા ભાગને ઘેડ કહે છે. સૌરાષ્ટ્રમાં દ્વારકાથી સોમનાથ સુધીના વિસ્તારમાં બે ઘેડ મુખ્ય છે. એક બરડાઘેડ અને બીજો સોરઠઘેડ. સાની, સોરઠી અને વરતુનો ઘેડ તે બરડાઘેડ, પોરબંદર, કુતિયાણા, કેશોદ અને માંગરોલ, જૂનાગઢ જિલ્લો તાલુકાનાં નીચાણવાળા પ્રદેશમાં ભાદર નદી, ઓઝત નદી અને મધુવંતી નદીના ઘેડ પ્રદેશ આવેલા છે. પશ્ચિમ કાંઠાનો આ સૌથી મોટો ઘેડ છે. ભાદર નદીથી બનતા ઘેડને ભાદરકાંઠો તથા ઓઝત નદી અને મધુવંતી નદીથી બનતા ઘેડને ઘેડ કહેવાય છે. ઘેડનો વિસ્તાર જયાંથી પુરો થાય, ત્યાંથી અલગ પડતા પ્રદેશને નાઘેડ કહેવાય છે.
સદીઓથી ઘેડની સ્થિતિ આવી છે
ઘેડમાં જે રીતે દર ચોમાસે ઘોડાપૂરની સ્થિતિ જોવા મળતી હોય છે તેના કારણે સમગ્ર ઘેડના અનેક ગામો બેટમા ફેરવાઈ જતા હોય છે. આ પરિસ્થિતિ સદીઓથી હતી ત્યારે મુદ્દે આ મામલે ખેડૂતોની જાગૃતતા તથા વિપક્ષ સહિત મિડીયા દ્વારા આ મુદ્દે સતત પરિસ્થિતિ અંગે જે ચિત્તારો અપાયા છે તેના કારણે પણ સરકાર આ મામલે જાગૃત બની આ યોજના અમલમાં મુકી છે તેમ કહીએ તો પણ ખોટું નથી આમ છતાં આ મુદ્દે કોઇ રાજકારણને બદલે ખેડૂતોને પ્રજાને ધ્યાને રાખી ભ્રષ્ટાચાર મુક્ત કામગીરી કરવામાં આવે તેવું સૌ કોઇ ઇચ્છી રહ્યા છે.
ઘેડનો વિસ્તાર 35 વર્ષમાં 5 ગણો વધ્યો
ઘેડ મુદ્દે કોંગ્રેસના નેતા જયનારાયણ વ્યાસે કહ્યું કે, ઘેડ વિસ્તારની નદીઓમાં વરસાદી પાણીથી પૂર્ણ આવે છે. નદીઓનું પાણી આવે તો દરવાજા દરિયા બાજુ ખુલે તેવું હતું. ઘેડ વિકાસ સમિતિ દૂર કરી દેવામાં આવી જેથી હવે સંભાળવાવાળું કોઈ નથી. આ સરકાર દરવાજા પાસે દિવાલો ચણી છે. ઘેડના સ્થાનિકો પ્રશ્નોને વાચા આપવા કોઈ સાંભળવા તૈયાર નથી. ઘેડનો વિસ્તાર 35 વર્ષમાં પાંચ ગણો વધી ગયો છે. 1500 કરોડના વિકાસ કાર્યો ઘેડ વિસ્તાર માટે જાહેર કર્યા, જેમાંથી 31 કરોડના કામો મંજૂર કર્યા છે. ઘેડ વિસ્તાર બાબતે સરકાર ગંભીર નથી.
કુંવરજી બાવળિયાનો જવાબ
ઘેડમાં વરસાદી પાણી નિકાલ માટે કરવામાં આવેલ હાલની કામગીરી તથા સમગ્ર આયોજન અંગેના તબક્કાઓ મામલે પોરબંદરમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.પ્રેસ કોન્ફરન્સમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે,ઘેડ વિસ્તારમાં પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાના કાયમી ધોરણે નિવારણ કરવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ ઘેડ વિસ્તારનો સર્વે કરાવીને પ્રાથમિક અહેવાલ મળ્યા બાદ તેના અભ્યાસના આધારે ત્રણ તબક્કામાં આશરે 1858 કરોડ રૂપિયાના કામોને સૈધાંતિક મંજૂરી આપવામાં આવી છે.ઘેડ વિસ્તારના કામોમાં ગેરરીતીના આક્ષેપોને પાયા વિહોણા જણાવી અત્યાર સુધીમાં માત્ર 13 કરોડનું ચુકવણું થયું છે તેવી સ્પષ્ટતા કરી હતી અને આ મુદ્દે વિરોધ પક્ષના કેટલાક મિત્રો પ્રજાજનોને ગુમરાહ કરી રહ્યા છે તેમ તેઓએ જણાવ્યું હતુ.
હાલની કામગીરી અંગે તેઓએ જણાવ્યું હતુ કે,પ્રથમ તબક્કાના કામોમાં સોરઠી અને બરડા ઘેડ વિસ્તરમાં વરસાદી પાણીના નિકાલ માટે થયેલ આયોજન માટે હયાત નદી/કેનાલનું ડીસીલ્ટીંગ કરવું,પાણીના પ્રવાહને અવરોધરૂપ ઝાડી ઝાંખરા/વૃક્ષોનું જંગલ કટીંગ કરવું જેવા કામોને કુલ 139 કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે જેમાંથી ૭ કામોને મંજૂરી આપીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. હાલ આ સાતેય કામો પ્રગતિ હેઠળ છે જે માટે હજુ સુધીમાં 36.67 કરોડની ચૂકવણી કરવામાં આવી છે.દિવાળી બાદ બીજા તબક્કાની કામગીરી શરુ કરવામાં આવશે.. ત્રણેક વર્ષમાં ત્રણેય તબક્કાનુ કામ પૂર્ણ થાય તેવું આયોજન છે તેમ તેઓએ જણાવ્યું હતુ.મધ્ય ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત ઘેડમા મધુવંતી તથા ભાદર ડેમ પર રબર ડેમ બનાવવામાં આવશે તેમજ એઆઇ સિસ્ટમ સહિતનો ઉપયોગ કરવામાં આવશે.
ઘેડની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે પૂર આવવું પણ જરૂરી છે
કેબિનેટ મંત્રીની અધ્યક્ષતામા યોજાયેલ આ પત્રકાર પરિષદમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે, ઘેડ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે પૂર આવવું પણ જરૂરી છે. દરિયાનું પાણી આગળ ન વધે અને ક્ષાર નિયંત્રણ થાય તે માટે આ જરૂરી છે. પરંતુ જથ્થાનું બેલેન્સ રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. સમયસર પૂરના પાણીનો નિકાલ થાય તે પણ જરૂરી છે. હાલની સમસ્યા છે કે પૂરના પાણીનો સમયસર નિકાલ થતો નથી જે સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે માટે અગાઉ પણ કેટલાક કામો કરવામાં આવ્યા છે પરંતુ આ વખતે ઘેડની સમસ્યાનું કાયમી નિરાકરણ માટે કામગીરી કરવામાં આવી રહી છે.મોઢવાડીયાએ પાલ આંબલીયાનુ નામ લીધા વગર એવું જણાવ્યું હતું કે,આ મુદ્દે રાજકારણ તથા લોકોને ગુમરાહ કરવાનું બંધ કરી સાચી હકીકત જાણે.
ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનુ નિવેદન
તેમણે કહ્યું કે, જે વિસ્તારને ઘેડ વિસ્તારની સમસ્યાની સમજ પણ નથી તેવા લોકો ઘેડના નામે રાજકીય ખેતી કરવા માટે લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો કરી રહ્યા છે. વિપક્ષ દ્વારા ખોટા હોબાળા અને રાજકીય લાભ લેવાના પ્રયાસો થઈ રહ્યા છે. ગુજરાત સરકારે પોરબંદર, જુનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘેડ પ્રદેશની પાણી ભરાવવાની સમસ્યા માટે 1800 કરોડની યોજના મંજૂર કરી. પ્રથમ તબક્કામાં 139 કરોડના કામોને મંજૂરી, જેમાંથી 36 કરોડના વર્ક ઓર્ડર જારી થયા છે. અત્યાર સુધી 13 કરોડના કામો પૂર્ણ, પ્રોજેક્ટની શરૂઆત બે મહિના પહેલાં થઈ. 2023 ના પૂર બાદ ઘેડ વિસ્તારના ગામોની મુલાકાત લઈ, સમસ્યાના ઉકેલ માટે રજૂઆત કરવામાં આવી. મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રીએ હવાઈ નિરીક્ષણ કરી, યોજનાને આગળ વધારી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ યોજનાને મંજૂરી અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. યોજના ત્રણ તબક્કામાં પૂર્ણ થશે, ત્રણ વર્ષમાં મોટાભાગનું કામ પૂરું થવાની અપેક્ષા છે. દેશની શ્રેષ્ઠ કંપનીએ દોઢ વર્ષ સુધી સર્વે કરી, સ્થાનિક નિષ્ણાંતોના અભિપ્રાયો લીધા. સરકાર ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવવા પ્રતિબદ્ધ, લોકોને સરકાર પર વિશ્વાસ રાખવા અપીલ.