કરિયરની શરૂઆતથી સફળતા અને વિવાદ સાથે IPS રાકેશ અસ્થાનાનો ગાઢ નાતો !!

કરિયરની શરૂઆતથી સફળતા અને વિવાદ સાથે IPS રાકેશ અસ્થાનાનો ગાઢ નાતો !!

સીબીઆઈનો વિવાદ હાલ સળગતા ચરુ જેવો બની ગયો છે. ભલભલા ગુનાઓના ભેદ ઉકેલતી સીબીઆઈ પોતે જ તેના ટોચના અધિકારીઓને કારણે વિવાદમાં સપડાઈ છે. ભલભલા કૌભાંડોની તપાસ કરીને કૌભાંડીઓને પસીનો છોડાવી દેતા સીબીઆઈના બે ટોચના અધિકારીઓ વચ્ચેનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે અને હવે તો સોશિયલ મીડિયામાં તેના જોક્સ પણ વાઈરલ થઈ રહ્યાં છે. ગુજરાત કેડરના આઈપીએસ ઓફિસર સમગ્ર વિવાદના કેન્દ્રમાં છે. ભૂમિકા શું છે તેના પર એક નજર કરીએ. 

કોણ છે રાકેશ અસ્થાના
રાકેશ અસ્થાના 1984 બેચના આઈપીએસ ઓફિસર છે. રાંચીમાં જન્મેલા રાકેશ અસ્થાનાનો શરૂઆતનો અભ્યાસ નેતરહાટ સ્કૂલમાંથી થયો હતો. તેમના પિતા શિક્ષક હતા. સ્કૂલી શિક્ષણ બાદ તેઓ દિલ્હી પહોંચ્યા હતા. જેએનયુમાંથી અભ્યાસ કર્યો. તેના બાદ સંઘ લોકસેવા આયોગની પરીક્ષાની તૈયારી કરી. પહેલા જ પ્રયાસમાં તેમણે યુપીએસસી પરીક્ષામાં સફળતા મેળવી હતી. પહેલીવાર તેઓ લાલુ પ્રસાદ યાદવના ઘાસચારા કૌભાંડમાં લાલુ યાદવની ધરપકડ કરીને ચર્ચામાં આવ્યા હતા. બાદમાં ગોધરા હત્યાકાંડ જેવા મહત્વના કેસની તપાસ કરીને રાકેશ અસ્થાના પ્રકાશમાં આવ્યા હતા. તેના બાદ તેમનું કદ દિવસેને દિવસે વધતું રહ્યું. કેન્દ્રમાંથી ગુજરાતમાં પરત આવ્યા બાદ તેમને સાબરમતી ટ્રેન કાંડની તપાસ સોંપવામાં આવી હતી. તેના બાદ તેમને વડોદરા શહેર પોલીસ કમિશનરનું પોસ્ટીંગ આપવામાં આવ્યું હતું. વડોદરા બાદ તેઓ સુરતના પોલીસ કમિશનર બન્યા હતા. આ દરમિયાન એવું કહેવાય છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એટલા વિશ્વાસુ બની ગયા હતા કે, કેન્દ્રમાં ભાજપની સરકાર બન્યા બાદ તેમને દિલ્હીનુ તેડુ આવ્યું હતું. ગત વર્ષે જ તેમને 7 એપ્રિલના રોજ સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર તરીકે નિમવામાં આવ્યા હતા. તેમની આ નિયુક્તિથી સીબીઆઈના વડા આલોક શર્મા નારાજ હતા. હાલ, અગસ્તા વેસ્ટલેન્ડ ડીલ, ઘાસચારા કૌભાંડ તથા વિજય માલ્યા લોન ડિફોલ્ટ જેવા કેસોની તપાસ તેમના હાથમાં છે. આસારામ બાપુ અને તેમનો પુત્ર નારાયણ સાંઈને સંડોવતા બળાત્કારના કેસ સમયે રાકેશ અસ્થાના સુરતના પોલીસ કમિશનર હતા

રાકેશ અસ્થાના

વિવાદનો ચરુ ક્યાંથી સળગ્યો
એવું કહેવાય છે કે, સમગ્ર વિવાદની શરૂઆત ચેતન સાંડેસરાથી થઈ હતી. 5383 કરોડના લોન કૌભાંડી ચેતન સાંડેસરાના ઘરે ઈન્કમટેક્સના દરોડાના સમયે મળેલી ડાયરી સાથે RA કનેકશન સામે આવ્યાની ચર્ચા છે. આ બાદ આલોક વર્માએ ઈડી અને ઈન્કમટેક્સ વિભાગ પાસેથી સ્ટર્લિંગ ગ્રૂપની માહિતી મંગાવી હતી. એટુલં જ નહિ, સીબીઆઈમાં સાંડેસરા ગ્રૂપમાં ચાલી રહેલી તપાસ પર પણ ખાનગી રાહે વોચ રાખી હતી. જેમાં રાકેશ અસ્થાના બરાબરના ફસાયા હતા. 

દીકરીના શાહી લગ્ન ચર્ચામાં
બે વર્ષ પહેલા 25 નવેમ્બર, 2016માં અસ્થાનાની દીકરીના લગ્ન વડોદરામાં યોજાયા હતા. અતિ ભવ્યાતિભવ્ય એવા આ આયોજનને લઇને પણ તેઓ ચર્ચામાં આવ્યા હતા. લગ્ન માટે ભાડે લેવાયેલો લક્ષ્મી વિલાસ પેલેસ, જ્યાં વૈભવી સંગીત સંધ્યા યોજાઈ હતી તે સાંડેસરાનો ફાર્મ હાઉસ, કેટરિંગની સુવિધા પહોંચાડનાર હોટલ એક્સપ્રેસ અને મહેમાનો માટે જ્યાં 35 રૂમ બૂક કરાયા હતા તે હોટલ સનસિટી એન્ડ રિસોર્ટ દ્વારા રાકેશ અસ્થાના પાસેથી કોઈ જ ચાર્જ લેવામાં આવ્યો ન હોવાની ખૂબ ચર્ચાઓ ઉઠી હતી. સીબીઆઈની તપાસમાં પણ એવું જાણવા મળ્યું હોવાનું સામે આવ્યું છે કે, આ ચારેય સેવાઓ તેમને ફ્રીમાં મળી હતી, જેનું કોઈ બિલ બન્યું નથી અને ચૂકવાયુ પણ નથી. ત્યારે સીબીઆઈએ અસ્થાનાએ દીકરીના લગ્નમાં પોતાની વગનો દુરુપયોગ કર્યો હોવાનો ખુલાસો થયો છે. સીબીઆઈએ વડોદરામાં કુલ 18 લોકોની તપાસ કરી હતી. 

રાકેશ અસ્થાનાની કામગીરી પર શંકા
ગત વર્ષે રાકેશ અસ્થાનાની કામગીરી પર શંકા વ્યક્ત કરતા પ્રશાંત ભૂષણે સુપ્રિમ કોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરી હતી. જોકે, સુપ્રિમ કોર્ટે તેને નકારી કાઢી હતી. પીઆઈએલમાં કહેવાયું હતું કે, રાકેશ અસ્થાનીની દીકરીના ભવ્ય લગ્ન સમારોહનો ખર્ચો સ્ટર્લિંગ બાયોટેક ગ્રૂપે ઉઠાવ્યો હતો. 

મોદી અને અમિત શાહના ખાસ??
રાકેશ અસ્થાનાને પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના ખાસ કહેવામાં આવે છે. ગુજરાતના બહુચર્ચિત ગોધરાકાંડ કેસમાં બનાવાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)નું નેતૃત્વ રાકેશ અસ્થાનાએ કર્યું હતું. સુપ્રિમ કોર્ટની દેખરેખમાં રમખાણોની તપાસ કરાઈ હતી. જેમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર આરોપ લાગ્યા હતા. એસઆઈટીએ કોર્ટમાં કહ્યું હતું કે, કારસેવકોથી ભરેલી ટ્રેનને પ્લાનિંગ મુજબ આગના હવાલે કરાઈ હતી. આ દરમિયાન અસ્થાના પર બીજેપી સરકારના ઈશારા પર કામ કરવાના આરોપો લાગ્યા હતા. તો 26 જુલાઈ, 2008ના રોજ અમદાવાદમાં થયેલા બ્લાસ્ટની તપાસ પણ અસ્થાનાએ જ કરી હતી. તેમણે 22 દિવસમાં તપાસ પૂરી કરીને ચાર્જશીટ રજૂ કરી હતી. વડોદરા અને સુરતમાં પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા દરમિયાન જ તેમની નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે વિશ્વસનીયતા વધવા લાગી હતી. 

305091-cbi.jpg

સટ્ટાકાંડ વખતે પણ અસ્થાનાનું નામ ઉછળ્યું હતું
ગુજરાતમાં ત્રણ વર્ષ પહેલા મોટું સટ્ટાકાંડ પકડાયું હતું. ત્યારે ઈડીના અધિકારી જે.પી.સિંગ અને રાકેશ અસ્થાના વચ્ચે તપાસના મામલે વિવાદ થયો હતો. ત્યાર બાદ જે.પી.સિંગ સહિત અન્ય લોકો સામે દિલ્હીમાં લાંચનો કેસ થયો હતો. પરંતુ તે સમયે રાકેશ અસ્થાના સીબીઆઈમાં ટોચના સ્થાને પહોંચી ચૂક્યા હતા. તેથી તેમની સામે કોઈ કાર્યવાહી કરાઈ ન હતી. પરંતુ જે.પી.સિંગ અને અન્ય ત્રણ લોકોને જેલમાં જવું પડ્યું હતું. 

શરૂઆતથી જ કેન્દ્રમાં હતી નજર
કહેવાય છે કે, રાકેશ અસ્થાનાની નજર પહેલેથી જ કેન્દ્રમાં નિયુક્તિ મેળવવાની હતી. પરંતુ તેમની નજીકના સૂત્રો કહે છે કે, તેમનામાં ધીરજની ઊણપ હતી. આઈપીએસ ઓફિસર તરીકે શરૂઆતના પાંચ વર્ષોમાં અસ્થાનાની છબી ઈમાનદાર, મહેનતી ઓફિસરની હતી. જોકે, આ ઈમેજથી દૂર જઈને તેમણે ગુજરાતના મોટો ઉદ્યોગપતિઓ સાથે સંબંધ બનાવવાની શરૂઆત કરી હતી. મોદી પહેલા તેમના સંબંધ ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે હોવાનું પણ કહેવાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news