)
Ahmedabad News : જો તમે અમવાદમાં પોતાનું મકાન ભાડેથી આપતા હોવ તો પોલીસ વેરિફિકેશન કરાવી લેજો, નહિ તો પસ્તાવાનો વારો આવશે. અમદાવાદ પોલીસે છેલ્લા બે દિવસમાં પોલીસ રજિસ્ટ્રેશ વગર મકાન ભાડે આપતા 100 લોકો સામે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.
અમદાવાદ પોલીસે મોટું ઓપરેશન હાથ ધર્યું છે. અમદાવાદમાં મકાન ભાડે આપનારા, પરંતુ પોલીસના નિયમોનો ભંગ કરનારા મકાન માલિકો સામે અમદાવાદ પોલીસે પગલા ભરવાનું શરૂ કર્યું છે. અમદાવાદમાં પોલીસ દ્વારા છેલ્લાં બે દિવસ દરમિયાન પોલીસમાં નોંધણી વિના મકાન ભાડે આપવાના ૧૦૦થી વધુ ગુના નોંધીને કાર્યવાહી કરી છે.
અમદાવાદમાં મકાન ભાડે આપ્યા બાદ પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે. છતાં અનેક મકાન માલિકો પોલીસ વેરિફિકેશન કરાવતા નથી. આ રીતે તેઓ અમદાવાદ પોલીસના જાહેરનામાનો ભંગ કરે છે. મકાન માલિકે ભાડુઆતનું પોલીસ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
અસામાજીક તત્વો કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો ગેરકાયદે રહેતા હોવાની વિગતો પોલીસના ધ્યાને આવ્યું હતું. ખાસ કરીને ચંડોળા તળાવ વિસ્તારમાં અનેક બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે રહેતા હતા. તેમનું પોલીસ ચોપડે કોઈ પ્રકારનું રજિસ્ટ્રેશન કરાયું ન હતું. તેથી ચંડોળા તળાવના ઓપરેશન બાદ અમદાવાદ પોલીસે શહેરમાં રજિસ્ટ્રેશન વગર ભાડુઆત રાખતા મકાન માલિકો સામે એક્શન લેવાનું શરૂ કર્યું છે.
પોલીસ કમિશનર દ્વારા સમગ્ર અમદાવાદના તમામ વિસ્તારમાં ખાસ ઝુંબેશ શરૃ કરવા માટે સુચના આપવામાં આવી હતી. જેમાં પોલીસે શહેરના મોટાભાગના વિસ્તારોમાં તપાસ શરૃ કરી હતી. જેમાં બે દિવસ દરમિયાન પોલીસે ૧૦૦થી વધુ ગુના નોંધીને મકાન ભાડે આપનાર વિરૃદ્ધ કાર્યવાહી કરી છે.