)
ગુજરાતમાં હાલ અલગ અલગ મુદ્દાઓ પર આંદોલન જોવા મળી રહ્યા છે તથા આમ આદમી પાર્ટી પણ પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે એવામાં કોંગ્રેસ માટે પણ હવે પ્રાણ સંચારનો જાણે સમય આવી ગયો છે. આ બધા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત આવશે એવા સમાચાર આવ્યા છે. એકબાજુ જ્યાં પશુપાલકો, ખેડૂતો સરકારથી નારાજ છે ત્યાં બ્રિજ દુર્ઘટના સહિત અનેક એવા મુદ્દાઓ છે જેના કારણે સરકાર સામે લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે જેમાં વિપક્ષને ગુજરાતમાં સ્થિતિ મજબૂત કરવાની તક દેખાઈ રહી છે. હાલ ગુજરાતની સ્થિતિ એવી છે કે જાણે રાજકારણનું એપી સેન્ટર બની ગયું હોય તેમ જણાય છે.
ગુજરાતમાં હાલમાં જ કોંગ્રેસને નવા પ્રદેશ અધ્યક્ષ મળ્યા છે. અમિત ચાવડા માટે સૌથી મોટો પ્રશ્ન એ હશે કે આમ આદમી પાર્ટીના વધતા વર્ચસ્વ વચ્ચે ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત કેવી રીતે કરવી. એકબાજુ કોંગ્રેસ હાઈકમાન્ડે પણ એવો નિર્ણય લીધો છે કે કોંગ્રેસ પ્રમુખ કરતા જીલ્લા પ્રમુખોને વધુ સત્તા આપવી. એવા પણ સમાચાર છે કે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને પણ દિલ્હીથી તેડું આવ્યું છે.
રાહુલ ગાંધી ફરી ગુજરાતની મુલાકાતે
તા. 26થી 28 જુલાઈ સુધી આણંદમાં તાલીમ શીબીર યોજાઈ છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધી ફરી ગુજરાતની મુલાકાતે આવશે અને આ તાલીમ શીબીરમાં રાજકીય નિષ્ણાંતો સાથે નવા નિમાયેલા જીલ્લા પ્રમુખોને રાજકીય પાઠ ભણાવશે. સંચાલન કેવી રીતે કરવું, સંગઠન મજબૂત કરવા સહિતનું માર્ગ દર્શન આપવામાં આવશે.