સિંહોની જેમ ગુજરાતની ગાયોને પણ જોવા આવશે પ્રવાસીઓ, થઈ રહ્યું છે નવુ પ્લાનિંગ

સિંહોની જેમ ગુજરાતની ગાયોને પણ જોવા આવશે પ્રવાસીઓ, થઈ રહ્યું છે નવુ પ્લાનિંગ
  • ગુજરાતમાં 800થી પણ વધારે ગૌશાળાઓ આવેલી છે. જેને પ્રવાસનના રૂટમાં સમાવેશ કરવામાં આવશે. જેથી હવે પ્રવાસનના નક્શામાં ‘કાઉ ટુરિઝમ’ પણ જોવા મળશે

નરેશ ધારાની/અમદાવાદ :હાલ ગુજરાતમાં દેશવિદેશમાંથી પ્રવાસીઓ સિંહ દર્શન માટે આવતા હોય છે. ત્યારે એવી જ રીતે ગુજરાતમાં ગાય જોવા માટે પ્રવાસીઓ આવે તેવી સરકારે તૈયારીઓ કરી લીધી છે. મધ્યપ્રદેશની સરકારે ગાયોના સંવર્ધન અને સંરક્ષણ માટે કાઉ કેબિનેટની રચના કરી છે. ત્યારે ગુજરાતને ગાય આધારિત પ્રવાસન કેન્દ્ર બનાવવા માટે કેન્દ્રીય કામધેનુ આયોગે એક યોજના બનાવી છે. આ યોજનામાં રાજ્યની ગૌશાળાઓ અને આણંદ જિલ્લાના ધર્મજમાં આવેલી ગૌચર લેન્ડનો ટુરિસ્ટ સર્કિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

કાઉ ટુરિઝમનો વિકાસ 
રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન વલ્લભ કથિરીયાએ જણાવ્યું છે કે, ભારત સરકારના પ્રયાસથી ગાય આધારિત પ્રવાસન કેન્દ્ર ઉભા કરવામાં આવી રહ્યા છે. હાલ કોરોના સંક્રમણના કારણે સર્કિટ બનાવવાનું કાર્ય સ્થગિત કરવામાં આવ્યું છે. પરંતુ કોરોનાની સ્થિતિ થાળે પડી જાય પછી ગુજરાતમાં ગાય આધારિત ટુરિઝમનો વિકાસ કરવામાં આવશે.

ગુજરાતમાં ગાયની 800 થી વધુ પ્રજાતિ 
ભારતમાં અલગ અલગ પ્રજાતિની ગાયો જોવા મળે છે. જેમાં ગુજરાત, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ અને ગોવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ પ્રજાતિઓની ગાયો જોવા મળે છે. ગુજરાતમાં 800થી પણ વધારે ગૌશાળાઓ આવેલી છે. જેને પ્રવાસનના રૂટમાં સમાવેશ કરવામાં આવશે. જેથી હવે પ્રવાસનના નક્શામાં ‘કાઉ ટુરિઝમ’ પણ જોવા મળશે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ગૌશાળાઓ છે અને જેમની મુખ્ય આવક પશુપાલનની હોય છે, ત્યાં પશુપાલકોની સંખ્યા પણ વધારે છે. ત્યારે નેશનલ રૂટમાં ગૌશાળાઓને આવરી લેવાથી કાઉ ટુરિઝમને વેગ મળશે. જેમાં ગાયનું દરેક ઉત્પાદન પછી તે દૂધ હોય કે, ગૌમૂત્ર અને છાણ એના ઉપયોગ અને ફાયદા વિશે પ્રવાસીઓને સમજાવવામાં આવશે. જેના માટે ગુજરાતની એવી કેટલીક ગૌશાળાઓનો આયોગે સંપર્ક કર્યો છે. જેથી પ્રવાસીઓને ગુજરાતની મુલાકાતમાં આ ગૌશાળાઓ બતાવવામાં આવશે.

ગુજરાતની ગૌશાળાનો સંપર્ક કરાશે 
ગુજરાતમાં સિંહ દર્શન માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે હવે રાજ્ય અને દેસમાં ગાય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને તેના માટે કાઉ ટુરિઝમ શરૂ કરવામાં આવશે. ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં ગાયોને પાળતી ગૌ શાળાઓ મોટી સંખ્યામાં છે. જેથી કાઉ ટુરિઝમ બનાવાનો વિચાર આવ્યો. ગાયોના રક્ષણ માટેનું જ્ઞાન આપતું ટુરિઝમ ગુજરાત સહિત આખો દેશ શરૂ કરવા જઇ રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ અને ભૂજમાં ગાય માટેના બનાવેલા શેલ્ટર પણ પ્રવાસીઓને બતાવવામાં આવશે. જે લોકોને ભારતના મુખ્ય રાજ્યોમાં ગૌ પ્રવાસન જોવું હોય તેમના માટે ખાસ પેકેજ ટૂરનું
આયોજન કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news