)
Dahod News: આજના ડિજિટલ અને વિજ્ઞાન આધારિત યુગમાં પણ અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસના કિસ્સાઓ સમાજને ચિંતિત કરે છે. આવો જ એક ગંભીર અને આશ્ચર્યજનક કિસ્સો દાહોદમાં સામે આવ્યો છે, જ્યાં અકસ્માતમાં મૃત્યુ પામેલા એક વ્યક્તિના સ્વજનો આત્મા લેવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મધ્યપ્રદેશના એક વ્યક્તિને લગભગ છ મહિના પહેલાં એક ગંભીર અકસ્માત થયો હતો. ગંભીર ઈજાઓને કારણે તેમને તાત્કાલિક સારવાર માટે દાહોદની એક જાણીતી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં લાંબી સારવાર બાદ તેમનું મૃત્યુ થયું હતું.
આત્મા લેવા માટે તાંત્રિકને લઈ હોસ્પિટલ પહોંચ્યો પરિવાર
મૃત્યુ પછી પરિવારજનો પોતાના સ્વજનની આત્માને 'લઈ જવા' માટે મધ્યપ્રદેશથી એક તાંત્રિક (ભૂવા)ને લઈને દાહોદની હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલના પરિસરમાં અને રસ્તાઓ ઉપર તાંત્રિક દ્વારા પૂજા-વિધિ શરૂ કરવામાં આવી હતી. તાંત્રિકે સફેદ કપડાં પહેરીને પૂજા કરી અને પછી વિધિના ભાગરૂપે ધૂણવાનું શરૂ કર્યું હતું. ધૂણતી વખતે તાંત્રિકે દાવો કર્યો હતો કે મૃતકનો આત્મા તેના શરીરમાં પ્રવેશ્યો છે અને તે હવે આત્માને લઈને નીકળી રહ્યો છે. પરિવારજનોએ આ ક્રિયાને 'આત્મા મુક્તિ' તરીકે રજૂ કરી, અને હિંદુ ધર્મ પ્રમાણે પૂર્વજોની પૂજા ઘરે લઈ જઈને કરવાની વાત કહી હતી.
વીડિયો વાયરલ: સમાજમાં જાગૃતિની જરૂરિયાત*
આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાના મૂળ કેટલા ઊંડા છે. અકસ્માત જેવી ઘટનાઓમાં મૃત્યુ પામેલા વ્યક્તિના આત્માને લેવા માટે હોસ્પિટલ જેવી જગ્યાએ તાંત્રિક વિધિ કરવી એ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી અંધશ્રદ્ધાનું જીવંત ઉદાહરણ છે. હોસ્પિટલ જેવા સંવેદનશીલ સ્થળે થયેલી આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જાહેર સ્થળે આ પ્રકારની પ્રવૃત્તિ થવાથી, હોસ્પિટલના નિયમિત કામકાજમાં પણ વિક્ષેપ પડ્યો હતો.