)
Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા : બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ગામડાઓમાં ફરી એકવાર લમ્પી રોગે દેખા દીધી છે અને જેના કારણે પશુપાલકો ચિંતામાં મુકાયા છે. બે વર્ષ પહેલા બનાસકાંઠામાં આવેલા લંપી વાયરસમાં હજારો પશુઓના મોત થયા હતા. અને પશુપાલકોને મોટું નુકસાન થયું હતું. ત્યારે ફરી એકવાર પાલનપુર તાલુકાના ભુતેડી, ચંડીસર સહિતના ગામડાઓમાં પશુઓમા લમ્પી રોગના લક્ષણો દેખાતા પશુપાલકો ચિંતામાં મૂકાયા છે. પશુપાલન વિભાગ દ્વારા તાત્કાલિક સર્વે કરી અને લંપી વાયરસ અટકાવવા માટે પગલા ભરવામાં આવે તેવી પશુપાલકો માંગ કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા છે. પશુપાલનનો વ્યવસાય બનાસકાંઠામાં મુખ્ય વ્યવસાય છે ત્યારે પશુઓમાં કોઈ રોગચાળો ફેલાય તો પશુપાલકો ચિંતામાં મુકાઈ જતા હોય છે. ત્યારે બે વર્ષ પહેલાં લમ્પી વાયરસ આવ્યો હતો અને જેના કારણે બનાસકાંઠામાં હજારો પશુઓના લંપી વાયરસના કારણે મોત થયા હતા. ત્યારે છેલ્લા એક સપ્તાહમાં પાલનપુર તાલુકાના ચંડીસર, ભુતેડી સહિતના ગામડાઓમાં પશુઓમાં લમ્પી વાયરસે દેખા દીધી છે અને જેના કારણે પશુપાલકો ફરી એકવાર ચિંતામાં મુકાયા છે.
લમ્પી વાયરસના લક્ષણો
લમ્પી વાયરસના કારણે પશુઓના શરીર ઉપર મોટી ગાંઠો ઉપડી જાય છે. પશુઓ ખાવાનું છોડી દે છે અને જે શરીર ઉપર ગાંઠો થાય છે તે ફૂટે ત્યારે રક્તપિત જેવો પશુનું શરીર થઈ જાય છે અને તેના કારણે તેઓ મોત ને ભેટે છે. ત્યારે આ રોગને લઈને ફરી પશુપાલકોમાં ભય ફેલાયો છે. પશુપાલકોનું કહેવું છે કે પશુપાલન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરી અને આ રોગને અટકાવવા માટે પગલા ભરવામાં નહીં આવે તો આગામી સમયમાં રોગનો વધુ ફેલાવો થઈ શકે છે અને પશુપાલકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.
પશુપાલક મહેશ પ્રજાપતિએ જણાવ્યું કે, પશુઓ ઉપર જ અમે નિર્ભર છીએ લમ્પી રોગના લક્ષણો પશુઓમાં દેખાઈ રહ્યા છે
તો અન્ય એક પશુપાલક મોતીભાઈ પટેલે કહ્યું કે, આ ચેપીરોગ હોવાથી એક પશુ માંથી બીજા પશુઓમાં ફેલાય છે આને તાત્કાલિક રોકવામાં આવે નહિ તો અમને મોટું નુકસાન થશે.
ખેડૂતો આટલું કરજો - પશુપાલન વિભાગ
બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાયરસ દેખાતા પશુપાલકો ચિંતા માં મુકાયા છે અને સરકારના પશુપાલન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ રોગ અટકાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે ત્યારે લમ્પી વાયરસને લઈને જિલ્લા પશુપાલન અધિકારી દીપકભાઈ ગામીનું કહેવું છે કે આ રોગને લઇ ખૂબ જ તકેદારી રાખવામાં આવી રહી છે. અત્યારે ચોમાસું હોવાના લીધે જીવાણુઓનો ઉપદ્રવ વધારે હોય છે જીવાત વધારે હોય છે એટલે અત્યારે રોગની સંભાવના વધારે હોય છે. અને આ વિષાણુજન્ય રોગ છે. જે એક પશુમાંથી અન્ય પશુઓને થવાની સંભાવના હોય છે. અત્યારે આપણા જિલ્લામાં મોટાભાગે સાડા દસ લાખ જેટલા પશુઓનો રસીકરણ થઈ ગયું છે અને અમારા વિભાગ સર્વે પણ કરી રહ્યો છે અને પશુપાલકોને પણ એવી વિનંતી કરીએ છીએ કે આપણા ધ્યાનમાં કોઈપણ પ્રકારનો કે આ પ્રકારનો કેસ આવે તો સતર્કતા રાખી જીવાતનો ઉપદ્રવનો કંટ્રોલ કરી અને નજીકના પશુ દવાખાનાને જાણ કરવાનું રાખશો, જેથી કરીને આ કેસ આપણે જાણી શકીએ અને એમાં વાસ્તવિકતા શું છે તે જાણી શકાય.
તેમણે વધુમાં કહ્યું કે, રસીકરણ બાદ પણ થોડા રોગના ચિન્હો જણાવતા હોય એવું થતું હોય છે. કેમકે આ લાઈવ વેક્સિન છે એટલે ડરવાની જરૂર નથી. રસીકરણ બાદ પણ જીવાતો ન કારણે થઈ શકે છે. આવું ક્યાંક જાણવા મળે તો નજીકના પશુ દવાખાનું સંપર્ક કરવા માટે પશુ પાલન અધિકારી કહી રહ્યા છે. જોકે પશુ પાલન વિભાગ દ્વારા તાત્કાલિક આ રોગને રોકવા માટેની કામગીરી કરવામાં નહીં આવે તો રોગ વધવાની સંભાવનાઓ જોવા મળી રહી છે.
જિલ્લા પશુ પાલન અધિકારીએ કહ્યું કે, આ વિષાણુજન્ય રોગ છે જેના માટે તકેદારી રાખવી ખુબજ જરૂરી છે અને અમારો વિભાગ સર્વે કરી રહ્યો છે.