અમદાવાદની VS હોસ્પિટલમાં જતા હોય તો સાવધાન! 500થી વધુ દર્દીઓ પર થયું દવાનું ટ્રાયલ!
વી.એસ.હોસ્પિટલમાં ચાલતા કિલીનીકલ રીસર્ચ માટે નેશનલ મેડીકલ કમિશન તેમજ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર એથીકલ કમિટીની રચના કરવામા આવી નહીં હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે.
Trending Photos
Ahmedabad VS Hospital: અમદાવાદની ખ્યાતનામ ‘વી. એસ. હોસ્પિટલ’નું સૌથી મોટુ કૌભાંડ બહાર આવ્યું છે. આ હોસ્પિટલમાં ફાર્મા કંપનીઓના રિસર્ચના નામે લાખોની લેતી દેતી થતી હોવાનો ખુલાસો થયો છે. હોસ્પિટલમાં આવતા દર્દીઓ પર દવાનું ક્લિનિકલ રિસર્ચ કરવામાં આવતું હતું. જો કે, થોડા સમય પહેલા આ સંદર્ભે ફરિયાદ કરાઈ હતી અને ત્યારબાદ સમગ્ર ઘટનાની તપાસ વિજિલન્સને સોંપવામાં આવી હતી. વિજિલન્સની તપાસ બાદ હોસ્પિટલનું કૌભાંડ બહાર આવ્યું છે.
કોન્ટ્રાકટ પર કામ કરતા 8 તબીબોને ટર્મિનેટ
અમદાવાદ ક્લિનિકલ રિસર્ચના નામે vs હોસ્પિટલમાં કરોડોના કૌભાંડનો મામલો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સમગ્ર કથિત કૌભાંડ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં હોસ્પિટલ વિભાગના ડેપ્યુટી કમિશનર બી સી પરમારે જણાવ્યું હતું કે અગાઉ કમિશનરને મળેલી ફરિયાદ બાદ ખાતાકીય વિજિલન્સ તપાસ કરાઈ હતી. તપાસના કમિટીના પ્રાથમિક રિપોર્ટમાં હકીકત સામે આવતા જરૂરી તપાસ શરૂ કરાઈ હતી. જેમાં કોન્ટ્રાકટ પર કામ કરતા 8 તબીબોને ટર્મિનેટ કરવામાં આવ્યા છે.
કોના વિરૂદ્ધ કાર્યવાહી ?
ડૉ. યાત્રી પટેલ (સાયકિયાટ્રિસ્ટ), ડૉ. ધૈવત શુક્લ (સ્કિન સ્પેશિયાલિસ્ટ), ડૉ.રોહન શાહ (ENT), ડૉ.કૃણાલ સથવારા (સર્જિકલ), ડૉ.શાલીન શાહ (ડાયાબિટિસ સ્પેશિયાલિસ્ટ), ડૉ. દર્શિલ શાહ (યુરોલોજિસ્ટ) અને ડૉ.કંદર્પ શાહ (કાર્ડિયોલોજિસ્ટ)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની વિરુદ્ધ આગળ કાર્યવાહી કરવામાં આવશે.
ફાર્મેકોલોજિસ્ટ દેવાંગ રાણાના ઇશારે કૌભાંડ થતું હતું!
VS હોસ્પિટલના ફાર્મેકોલોજિસ્ટ ડો દેવાંગ રાણાને પણ સસ્પેન્ડ કરાયા છે. આ કૌભાંડમાં ઘટસ્ફોટ થયો છે કે દવાઓના રિસર્ચ મામલે નિયમ વિરુદ્ધ ગેરકાયદે એથિકલ કમિટીની રચના પણ કરી દેવાઈ હતી. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ડૉ. મનિષ પટેલ છે, જે કૌભાંડને અંજામ આપી રહ્યો હતો તેવું કહેવાઈ રહ્યું છે. સૂત્રો મુજબ એ પણ જાણવા મળ્યું છે કે, ફાર્મેકોલોજિસ્ટ દેવાંગ રાણાના ઇશારે કૌભાંડ થતું હતું.
તાવ , સ્કિન સહીતના જુદા જુદા રોગ મામલે રિસર્ચ થયા
તેમણે જણાવ્યું હતું કે, ક્લિનિકલ રિસર્ચની રકમ VS હોસ્પિટલમાં જમા થવાના બદલે ખાનગી બેન્ક ખાતાઓમાં નાણાં જમા થતા હતા. વર્ષ 2021થી ખાનગી દવા કંપનીઓ દ્વારા vsમાં ક્લિનિકલ ટ્રાયલ થતા હતા. જી હા...તાવ , સ્કિન સહીતના જુદા જુદા રોગ મામલે રિસર્ચ થયા હતા. હાલ તપાસ ચાલી રહી છે, જરૂર પડ્યે આગળની કાર્યવાહી કરીશું. પ્રાથમિક રિપોર્ટના આધારે આ માહિતી આવી છે, જેના આધારે હાલ પગલાં લેવાયા છે. વિસ્તૃત તપાસ થયા બાદ મ્યુનિસિપલ કમિશનરના આદેશ મુજબ નિર્ણય કરીશું.
500થી વધુ દર્દીઓના ક્લિનિકલ ટ્રાયલ થયા
વધુમાં જણાવ્યું હતું કે, હાલ કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચવું ઉતાવળ ભર્યું કહેવાશે. ક્લિનિકલ રિસર્ચ મામલે દર્દીઓની મંજૂરી લેવામાં આવી હતી. 57 પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક અંદાજ મુજબ 500થી વધુ દર્દીઓના ક્લિનિકલ ટ્રાયલ થયા હતા. દર્દીઓને નાણાંકીય વળતર આપવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય દવા કંપનીઓ પણ છે, હાલ વિસ્તૃત તપાસ ચાલી રહી છે.
શું રિસર્ચ થઈ રહ્યું હતું?
હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચ માટે આવતી દવાઓનો દર્દીઓ પર પ્રયોગ કરવામાં આવતો હતો અને લાખો રૂપિયા લઇને રિસર્ચનો રિપોર્ટ કંપનીને આપી દેવામાં આવતો હતો. જો કે, આ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો પણ બહાર આવ્યો છે. જેમાં એક જ ટેસ્ટ માટે તબીબોએ રૂપિયા 32 લાખ એઠ્યા હતા. રિસર્ચના બદલામાં જે રૂપિયા મળતા તે તબીબોના પરિવારજનોને અને સંબંધીઓના ખાતામાં જમા કરાવવામાં આવતા હતા, જેના થકી કૌભાંડને અંજામ અપાતો હતો. એવી આશંકા પણ છે કે, આ કૌભાંડમાં સુપરિન્ટેન્ડન્ટ અને ડીનનો પણ હાથ છે.
શું છે ક્લિનિકલ ટ્રાયલ ?
ફાર્મા કંપની દવાની શોધ માટે રિસર્ચ કરે છે. હવે આ રિસર્ચ બાદ દવાનું પ્રાણીઓ પર પરિક્ષણ થાય છે. પરીક્ષણ બાદ જો સફળતા મળે છે તો તેના પછી મેડિકલ કાઉન્સિલની મંજૂરી લેવાય છે. ત્યારબાદ માણસો પર ટ્રાયલ કરવા માટે દવાઓ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. તબીબોની હાજરીમાં દર્દીને દવા અપાય છે અને દવા આપ્યા બાદ તેના રિપોર્ટની નોંધ થાય છે. આ રિપોર્ટ ફાર્મા કંપનીને મોકલવામાં આવે છે અને છેલ્લે કાઉન્સિલની મંજૂરી બાદ દવાનું ઉત્પાદન શરૂ થઇ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે