)
Dwarka News જયદીપ લાખાણી/દ્વારકા : ગુજરાતના દરેક ગામની નવરાત્રિની પોતાની એક અનોખી કહાની છે. 151 વર્ષની અવિરત પરંપરા દ્વારકાની ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા જાળવી રાખવામાં આવી છે. પ્રાચીન નવદુર્ગા ગરબી, જ્યાં માત્ર પુરુષો જ પરંપરાગત પોશાકમાં ગરબે રમે છે.
દ્વારકામાં છેલ્લા 151 વર્ષથી ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા અડીખમ રીતે નવદુર્ગા ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ ગરબીની સ્થાપના ઈ.સ. 1874 ના ઓક્ટોબર માસમાં ઠાકર મકનજી જૂઠાની આગેવાની હેઠળ કરવામાં આવી હતી. હોળી ચોકમાં માતાજીની નવ મૂર્તિઓ સાથેના મંડપનું સુશોભન કરીને આ પરંપરા શરૂ થઈ હતી. આધુનિક સમયમાં જ્યાં ગરબીનું સ્વરૂપ ઘણું બદલાયું છે, ત્યાં આ ગરબી આજે પણ પોતાની પ્રાચીન પરંપરાને જાળવી રાખીને તેની આગવી ઓળખ ઊભી કરે છે.
પુરુષોએ પણ પરંપરાગત પહેરવેશ કરવો
આ વિશે ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિના વત્સલ પુરોહિતે જણાવ્યું કે, આ ગરબીની સૌથી અનોખી વિશેષતા એ છે કે તેમાં માત્ર પુરુષો જ ગરબે રમે છે. ગરબે રમવા આવતા પુરુષો માટે ધોતિયું કે પિતાંબર, પાસાબંડી અને પછેડી જેવા પરંપરાગત પોશાક પહેરવાનું ફરજિયાત છે. અહીં કોઈ જ્ઞાતિનો કે ઊંચ-નીચનો ભેદભાવ નથી. ઢોલ-નગારાના તાલે અને માતાજીના પ્રાચીન છંદો ગાઈને ભક્તિ કરવામાં આવે છે. આનાથી એક ભવ્ય અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાય છે.
અષ્ટમીના દિવસે 108 વ્યક્તિઓ દ્વારા સમૂહ મહાઆરતીનું આયોજન
તો જ્ઞાતિના કપિલભાઈ વાયડા કહે છે કે, દરરોજ રાત્રે યોજાતી આરતીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. ખાસ કરીને અષ્ટમીના દિવસે 108 વ્યક્તિઓ દ્વારા સમૂહ મહાઆરતીનું આયોજન થાય છે. આ આરતીમાં અત્યાર સુધીમાં અનેક ધાર્મિક અગ્રણીઓ, જેમ કે શંકરાચાર્યજી, પૂજ્ય ડોંગરેજી મહારાજ, મોરારી બાપુ, રમેશભાઈ ઓઝા, અને મા કનકેશ્વરીજી જેવા મહાનુભાવોએ હાજરી આપી છે, જે આ ગરબીના મહત્વને દર્શાવે છે.
આ ગરબીમાં લાકડાની કોતરણીથી બનેલી સુંદર મૂર્તિઓનું પૂજન કરવામાં આવે છે. આ પ્રાચીન પરંપરાને જીવંત રાખવામાં સ્વર્ગસ્થ મંગલ દેવજી દવેનો મોટો ફાળો છે, જેમણે 50 વર્ષ સુધી મધુર કંઠે છંદ ગાયા. હાલમાં તેમના પુત્રો વિનય, નંદન, અને જયેશ દવે તથા પૌત્ર રવિ દવે આ વારસાને આગળ ધપાવી રહ્યા છે. તેમને વેપારીઓ પણ પૂરતો સહયોગ આપી રહ્યા છે, જેના કારણે દોઢસો વર્ષથી પણ જૂની આ પરંપરા આજે પણ અડીખમ ઊભી છે.