સરદાર પટેલના વારસદારોને પણ ન છોડ્યા, જમીન રેકોર્ડમાં ચેડા કરવાનું રચ્યું કાવતરું

Nadidad News : સરદાર વલ્લભભાઈ પટેલના મામાના દિકરાની જમીન રેકર્ડમાં ચેડાં કરી હડપ કર્યાની અરજી... પુરાવા રજૂ કરવા સાથે કલેક્ટરને કાર્યવાહી કરવા રજૂઆત કરાતા તપાસ
 

સરદાર પટેલના વારસદારોને પણ ન છોડ્યા, જમીન રેકોર્ડમાં ચેડા કરવાનું રચ્યું કાવતરું

Nadidad News : જમીને હડપી લેવા માટે ભૂમાફિયાઓ દ્વારા અનેક પ્રકારના કાવતરા થતા રહે છે. ત્યારે ભૂમાફિયાઓએ સરદાર વલ્લભભાઈ પટેલના વારસદારોને પણ ન છોડ્યા. સરદાર પટેલના મામાના દીકરાની જમીનના રેકોર્ડમાં ચેડા કરવાનું ષડયંત્ર ખુલ્લુ પડ્યું છે. સમગ્ર મામલો સામે આવતા કલેક્ટરને અરજી કરવામાં આવી છે. 

નડિયાદ નગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન વિજયભાઈ નટુભાઈ પટેલ ઉર્ફે બબલદાસે દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના મોસાળ પક્ષના વારસદારોની જમીન બિન અધિકૃત રીતે ખરીદી હોવાનો આક્ષેપ કરાયો છે. અરજદાર ગોપાલભાઈ મંડોવરાએ સબંધિત પુરાવા સાથે કલેક્ટરને આપેલી અરજીમાં આક્ષેપ સાથે જણાવ્યું છે કે, સરદાર પટેલના મામાના દિકરા હરેન્દ્ર ભાઈ વિઠ્ઠલભાઈ દેસાઈની નડિયાદ ટીપી-૫માં આવેલી સીટી સર્વે નં. એનએ૭૬૧/૧ વાળી ૧૦૯૨૭ ક્ષેત્રફળ ધરાવતી જમીનનો હડપ કરી લેવાઈ છે. ૧૯૬૩માં શ્રી સરકાર થયેલી આ જમીનમાં ૩૦ વર્ષ બાદ ૧૯૯૩માં જમીનનો શ્રી સરકારનો હુકમ શંકાસ્પદ રીતે રદ કરી દેવાયો હતો. તે બાદ ૧૯૯૩માં જ વલીનાબેન દેસાઈ અને શારદાબેન મણીભાઈએ રજી. વેચાણ દસ્તાવેજ નં.૩૯૪૫ થકી ઉત્તર તરફના ૭૩ ગુંઠા ૧.૫૦ લાખમાં વિજય પટેલ અને તેમના પરીવારને વેચાણ કર્યા હોવાનો દસ્તાવેજ કરાયો. તેમજ હરિન્દ્રભાઈ દ્વારા દક્ષિણ તરફના ૩૩ ગુંઠા જગ્યા ૫૦ હજારમાં વિજય પટેલને દસ્તાવેજ કરી આપ્યાની એન્ટ્રી થઈ હતી. ૧૯૯૪માં આ ૧૦૯ ગુઠા જમીન એનએ પણ કરાવી દેવાઈ હતી. ૧૯૯૪માં એનએ કરાવેલી જમીન પૈકી ૪ પ્લોટ જુદા જુદા વ્યક્તિને વેચાણ પણ કરાયા હતા, જે બાદ વર્ષ ૨૦૨૪માં સીટીસર્વેની કચેરીમાં જમીન માલિકોના નામ કમી કરાવ્યા વગર તમામ બાવન પ્લોટને ખોટી રીતે એકત્રીકરણ પણ કરી દેવામાં આવ્યું છે. આ મામલે હાલ અરજદારે સબંધિત પુરાવા રજૂ કરી કાર્યવાહી કરવા માંગણી કરી છે. 

આ ઉપરથી આ જમીનના નિયમોનો ભંગ કરાયો છે. જમીન એનએ કરાય તો 6 માસની અંદર બાંધકામ કરી દેવાનું હોય છે. પરંતુ અત્યાર સુધી તેના પર કોઈ બાંધકામ કરાયું નથી. તેથી એનએના નિયમોનો ભંગ થતો હોવાથી આ જમીન સરકારના હસ્ત આવે તેવું અરજદારે અરજીમાં જણાવ્યું છે. 

સરદાર પટેલ બનીને જમીન પોતાના નામે કરાવી લીધી
થોડા સમય પહેલા ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ગાડવા ખાતે આવેલી સરદાર પટેલના નામે ચાલતી જમીન પચાવી પાડવાનો કારસો રચાયો હતો. જેમાં ગુજરાત પ્રાંતિય સમિતીની જમીનમાં માલિક તરીકે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું નામ ચાલતું હતું. રેકર્ડ કોમ્પ્યુટરાઈઝ થતાં તેમાં થોડો ફેરફાર થયો હતો. તેમજ જમીન જૂની શરતની થયેલી. જેનો લાભ લઈ ખોટી રીતે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું નામ ધારણ કરાવી નકલી સાક્ષીઓ ઉભા કરાવી બારોબાર જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી લેવાયો હતો. સમગ્ર મામલામાં મહેમદાવાદ એડિશનલ કોર્ટ દ્વારા ત્રણ આરોપીઓને તકસીરવાન ઠરાવી જુદી જુદી કલમો હેઠળ પાંચ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news