)
Mehsana News: મહેસાણાના વિજાપુર તાલુકાના ખેડૂતો સાથે મોટી છેતરપિંડી થઈ હોવની ફરિયાદ વસાઈ પોલીસ મથકે નોંધાઈ છે. વિજાપુરના કુકરવાડા ગામની માર્કેટયાર્ડમાં આવેલી એક પેઢી ચલાવતા પિતા-પુત્રએ 90થી વધારે ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી કરી છે.
મળતી માહિતી મુજબ વિજાપુરના ટોટીદણ ગામમાં રહેતા પ્રહલાદ પટેલ અને તેનો પુત્ર નરેન્દ્રએ ભેગા મળી કુકરવાળા ગામમાં આવેલી માર્કેટયાર્ડમાં પેઢી ચલાવતા હતા. તેઓ આ પેઢી છેલ્લા 50 વર્ષથી ચલાવતા હતા અને ખેડૂતો પાસેથી માલની આપ-લે કરતા હતા. આ પેઢી ઘણાં વર્ષથી ચાલતી હોવાથી અહીંયા પાક વેચાણ કે લેવા આવતા ખેડૂતો સાથે સારા સબંધ થઈ ગયો હતો.
આવી રીતે ખેડૂતોનો વિશ્વાસ જીત્યા બાદ પિતા-પુત્રએ અલગ-અલગ ગામના 90થી વધારે ખેડૂતોને 'અમારે ધંધામાં પૈસાની ખૂબ જરૂર છે' એમ કહી ખેડૂતોના નામે લોન મેળવી લીધી હતી અને રૂપિયા પોતાના ખાતામાં જમા કરાવી લીધા હતા. તેમજ જે ખેડૂત પોતાના પાક વેચાણ કરવા આવે તેઓના પણ રૂપિયા આ પિતા-પુત્રએ પેઢીમાં જમા રાખતા હતા અને બાદમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરીને પિતા-પુત્રએ ઓસ્ટ્રેલિયા ભાગી ગયા હતા.
પેઢીનું શટર બંધ કરીને રફુચક્કર
સમગ્ર મામલાની જાણ વિજાપુર પંથકના ખેડૂતોને થતાં રૂપિયા લેવા માટે આરોપીના ઘરે અને પેઢી પર જતાં ત્યાં તાળા લટકતા જોવા મળ્યા હતા. બાદમાં હિસાબ કરતા પિતા-પુત્રએ 9 કરોડથી વધુની છેતરપિંડી આચરી હોવાની વસાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ આરોપી પ્રહલાદ પટેલ કુકરવાડા સહકારી નાગરિક બેન્ક ઓફ ડિરેક્ટરના વાઇસ ચેરમેન અને સમાજનો આગેવાન પણ હતો.જેના કારણે ખેડૂતોએ વિશ્વાસ કરીને 9 કરોડથી વધુની રકમ આ ઠગ પિતા-પુત્રને આપી હતી.
પોલીસે શું કહ્યું?
આ મામલે વિસનગર ડિવિઝનના DySPએ જણાવ્યું કે, વસાઈમાં 9 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસ બાદ ઠગાઇનો એક્ઝેટ આંકડો સામે આવશે અને કુલ કેટલા ખેડૂતો ભોગ બન્યા એ તપાસ બાદ કહી શકાશે.