પહેલગામમાં આતંકી હુમલા પછી લોકોમાં ડરનો માહોલ, અનેક ગુજરાતીઓએ કેન્સલ કરાવી ટિકિટ

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પર્યટકો પર થયેલા આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. એક તરફ આ હુમલા બાદ દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આતંકી હુમલામાં ગુજરાતના ત્રણ નાગરિકોના પણ મોત થયા છે. તેવામાં અનેક ગુજરાતીઓએ કાશ્મીરની ટિકિટો કેન્સલ કરાવી દીધી છે.

પહેલગામમાં આતંકી હુમલા પછી લોકોમાં ડરનો માહોલ, અનેક ગુજરાતીઓએ કેન્સલ કરાવી ટિકિટ

અમદાવાદઃ જમ્મુ કશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકીઓએ કાયર હરકત કરી, પર્યટકો પર આતંકીઓએ હુમલો કર્યો અને 27 લોકોને મોતને ઘાટ ઉતાર્યા. જે 27 લોકોના મોત થયા તેમાં 3 ગુજરાતી લોકો પણ છે, આતંકી હુમલાથી દેશભરમાં આક્રોશ છે, તો સૌ કોઈ હવે કશ્મીર ન જવા માટે મન બનાવી બેઠા છે. ગુજરાતમાં 40 ટકા બુકિંગ કેન્સલ થઈ ગયું છે. ત્યારે જુઓ કશ્મીરમાં આતંકીઓની કાયર હરકતનો આ ખાસ અહેવાલ,...

એક એવી વાદી, જ્યાં પ્રકૃતિની શાંતિમાં ડૂબવા લાખો પર્યટકો આવે છે... પહેલગામની બૈસરણ વેલી. પરંતુ 22 એપ્રિલની બપોરે આ શાંતિ ગોળીબારના ધડાકાઓમાં ચૂર થઈ ગઈ. પાકિસ્તાન સમર્થિત આતંકીઓએ કાયરતાની હદ વટાવી, 27 નિર્દોષ પર્યટકોને મોતને ઘાટ ઉતાર્યા. આમાં ત્રણ ગુજરાતીઓ પણ હતા...એ પરિવાર આજે આંસુઓના સમંદરમાં ડૂબેલા છે.

લશ્કર-એ-તૈયબાની પેટાશાખા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટએ આ હુમલાની જવાબદારી લઈને માનવતાને લજ્જિત કરી. આતંકીઓએ નિર્દોષ પર્યટકોની ઓળખ પૂછી, ધર્મના નામે ગોળીઓ ચલાવી. એક પીડિત પરિવારની દીકરીએ આ રુદન સાથે કહ્યું કે, મારા પિતાજીએ કોઈનું શું બગાડ્યું હતું? બસ, એ હિન્દુ હતા, એટલે ગોળી મારી.આ શું નફરતની હદ નથી?.

સુરતના શૈલેષ કલાથિયા, જે પોતાના પરિવાર સાથે પહેલી વખત કશ્મીર ફરવા ગયા હતા, આજે ઘરે પરત ન થી આવ્યા. ભાવનગરના યતીશ પરમાર અને તેમનો 19 વર્ષનો દીકરો સ્મિત, જે ડૉક્ટર બનવાનું સપનું જોતો હતો, આજે ખામોશ છે. આ પરિવારોનું દુ:ખ કોણ સમજશે? ગુજરાતના લાખો લોકો, જે દર વર્ષે કશ્મીરની વાદીઓમાં આનંદ માણવા જાય છે, આજે ડરના સાયામાં પોતાની ટિકિટો કેન્સલ કરાવી રહ્યા છે. 40 ટકા ટિકિટો રદ થઈ ચૂકી છે. એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ 30 એપ્રિલ સુધીની ટિકિટો પર પૂર્ણ રિફંડની જાહેરાત કરી, પરંતુ શું આ રિફંડ પીડિત પરિવારોની ખોટ પૂરી કરી શકશે?...

કશ્મીર પ્રવાસમાં હવે ડર!
ડરના સાયામાં પોતાની ટિકિટો કેન્સલ કરાવી રહ્યા છે
ગુજરાતીઓની 40 ટકા ટિકિટો રદ થઈ ચૂકી છે
એર ઈન્ડિયા, ઈન્ડિગોની 30 એપ્રિલ સુધીની ટિકિટો પર પૂર્ણ રિફંડની જાહેરાત 
શું આ રિફંડ પીડિત પરિવારોની ખોટ પૂરી કરી શકશે?

— Zee 24 Kalak (@Zee24Kalak) April 23, 2025

કશ્મીરની અર્થવ્યવસ્થા પર્યટનના ખંભે ઊભી છે, પરંતુ આ હુમલાએ આ ખંભો તોડી નાખ્યો. 2024માં 35 લાખ પર્યટકોએ કશ્મીરની મુલાકાત લીધી, પરંતુ આજે હોટેલ્સ ખાલી છે, બજારો સૂના છે.  કશ્મીરના સ્થાનિક વેપારીઓ કહી રહ્યા છે કે અમારા બાળકો ભૂખ્યા સૂઈ રહ્યા છે. પર્યટકો નહીં આવે, તો અમે શું કરીશું?, આ આતંકીઓએ માત્ર જીવ નથી લીધા, કશ્મીરના હજારો પરિવારોની રોજી-રોટી પણ છીનવી લીધી છે. 

આ દુ:ખની ઘડીમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ફસાયેલા પ્રવાસીઓને બચાવવા રાત-દિવસ એક કરી રહી છે. શ્રીનગરથી ગુજરાત પરત ફરવા વધારાની ફ્લાઈટ્સ ગોઠવાઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ વ્યવસ્થા કરવા અધિકારીઓને સુચન આપી છે. 

આ કાયર આતંકીઓને બક્ષવામાં નહીં આવે,  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલગામ પહોંચીને સુરક્ષા દળોને આતંકીઓને ઝડપી લેવા આદેશ આપ્યા. બૈસરણના જંગલોમાં સર્ચ ઓપરેશન ચાલુ છે, આતંકીઓના સ્કેચ અને ફોટા જાહેર થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ હુમલાને માનવતા પર કાળો ડાઘ ગણાવીને આતંકીઓને સખત સજાની ચેતવણી આપી. આ નફરતના સોદાગરો સામે ભારતનું હરખ નહીં હારે...

આજે પહેલગામની ધરતી લોહીથી ખરડાઈ છે, પરિવારોના આંસુઓ થંભતા નથી. પરંતુ આ દુ:ખની ઘડીમાં આપણે એકજૂટ થઈને આતંકવાદનો સામનો કરીશું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news