આજથી પાંચ દિવસીય વિધાનસભા ચોમાસુ સત્રનો પ્રારંભ, આ જાહેર બાબતો પર થશે ચર્ચા

આજથી પાંચ દિવસીય ચોમાસુ સત્રનો પ્રારંભ થશે. આજે ત્રણ અલગ-અલગ વટહુકમ રજૂ કરાશે, જે બાદ ટૂંકી મુદતના પ્રશ્નો અને અગત્યની જાહેર બાબતો પર ચર્ચા થશે. આ સત્રમાં 24 જેટલા સરકારી વિધેયકો પસાર કરવામાં આવશે

આજથી પાંચ દિવસીય વિધાનસભા ચોમાસુ સત્રનો પ્રારંભ, આ જાહેર બાબતો પર થશે ચર્ચા

હિતલ પારેખ, ગાંધીનગર: આજથી પાંચ દિવસીય ચોમાસુ સત્રનો પ્રારંભ થશે. આજે ત્રણ અલગ-અલગ વટહુકમ રજૂ કરાશે, જે બાદ ટૂંકી મુદતના પ્રશ્નો અને અગત્યની જાહેર બાબતો પર ચર્ચા થશે. આ સત્રમાં 24 જેટલા સરકારી વિધેયકો પસાર કરવામાં આવશે. પ્રથમ દિવસે પણ કોરોના રેપિડ ટેસ્ટિંગ કરવા માટે ટિમ તૈયાર રાખવામાં આવશે. જો કે સત્ર પહેલા મંત્રીઓ સહિત તમામ ધારાસભ્યોનાં કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ બાકી રહેલા ધારાસભ્યો અને અધિકારીઓના પણ ટેસ્ટ કરવામાં આવશે. પ્રવેશ સમયે જ વિધાનસભામાં ધારાસભ્યો અને અધિકારીઓના તાપમાન માપવામાં આવશે. તેમજ ધારાસભ્યોની બેઠક વ્યવસ્થામાં પણ સોશિયલ ડિસ્ટન્સ પર ભાર મૂકવામાં આવશે.

79 ધારાસભ્યોને પ્રેક્ષક ગેલેરીમાં બેસાડાશે
વિધાનસભામાં મુખ્યમંત્રી, નાયબમુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ અને 171 ધારાસભ્યો માટે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મુખ્ય હોલામાં 92 ધારાસભ્યો અને પ્રેક્ષક ગેલેરીમાં 79 ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા ગઠવવામાં આવી છે. આ વખતે પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા ધારાસભ્યોએ ત્યાંથી જ રજુઆત કરવી પડશે. ચોમાસા સત્રના પ્રથમ દિવસે બે બેઠક મળશે. બપોર 12 વાગે મળનારી પ્રથમ બેઠકમાં શોક દર્શક ઉલ્લેખ લાવવામાં આવશે. જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ ઉપરાંત કોરોના વોરિયર્સ, પૂર્વ મંત્રી લીલાધર વાઘેલા સહિતના 8 સભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. પ્રથમ બેઠકમાં 2 નામંજૂર કરતા વટહુકમ લાવવામાં આવશે. જ્યારે પ્રથમ બેઠકમાં 3 સરકારી વિધેયક લાવવામાં આવશે.

ધારાસભ્યો સહિત મંત્રીઓ અને પદાધિકારીઓના 30 ટકા પગાર કપાત સુધાર વિધેયક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક તથા ગુજરાત માલ અને સેવા સુધારા વિધેયક લાવવામાં આવશે. બીજી બેઠકમાં પહેલા 2 ટૂંકી મૂદ્દતના પ્રશ્નો પર જવાબ રજૂ થશે. ઉત્તર ગુજરાતમાં ગાયો રસ્તા પર છોડી દેવા બાબત અને નવસારી જિલ્લામાં વરસાદથી રસ્તાઓ ખરાબ થવા બાબતે જવાબ રજૂ કરવામાં આવશે. નિયમ 116 અંતર્ગત કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશ દ્વારા તાકીદ બાબત પર વિધાનસભામાં મુદ્દો ઉઠાવવામાં આવશે.

આ પણ વાંચો:- 

આ ઉપરાંત પાકિસ્તાન મરીન દ્વારા માછીમારોના થતા અપહરણ મુદ્દો પણ વિધાનસભામાં ઉઠાવવામાં આવશે. બીજી બેઠકમાં મુખ્યમંત્રી દ્વારા પણ મહત્વનું નિવદેન આપવામાં આવી શકે છે. નિયમ 44 અંતર્ગત મુખ્યમંત્રી વિધાનસભામાં નિવદેન આપી શકે છે. મુખ્યમંત્રીના નિવેદન બાદ વિવિધ અહેવાલો મેજ પર મુકવામાં આવશે. ત્યારબાદ વિધાનસભામાં સભ્યોના રાજીનામા બાબતે અધ્યક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવશે. આદિજાતિ મંત્રી ગણપત વસાવા પણ ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદમાં સભ્ય ચૂંટવા બાબતે પ્રસ્તાવ રજૂ કરશે. બીજી બેઠકમાં કોરોના વોરિયર્સ માટે મહત્વનો સરકારી સંકલ્પ લાવવામાં આવશે.

આ પણ વાંચો:- 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા કોરોના વોરિયર્સની મહામારીની સ્થિતિમાં કામગીરીને બિરદાવતો પ્રસ્તાવ રજૂ કરાશે. રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવેલા પગલાં અને 14 હજાર કરોડના આત્મનિર્ભર પેકેજ બાબતે સભ્યોને માહિતગાર કરવામાં આવશે. વિધાનસભાની બીજી બેઠકમાં અઢી કલાક જેટોલ સમય પ્રસ્તાવ માટે આપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news