)
Mahisagar News : મહીસાગર નદીમાં પાણી છોડાયા બાદ લુણાવાડા તાલુકાના દોલતપુરા ગામે આવેલ અજંતા એનર્જી પ્રાઇવેટ પ્રોજેક્ટમાં પાંચ યુવકો પાણીમાં ડૂબ્યા હતા. કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું તેને લઈ કુવાની અંદર અચાનક જળસ્તર વધ્યું હતું. હાઈડ્રો પાવરમાં અંદર 12 થી 15 લોકો હતા, પરંતુ અન્ય લોકો બહાર નીકળી આવ્યા પરંતુ પાંચ યુવાનો પાણીમાં ગરકાવ થયા છે. હજી સુધી આ યુવકોની ભાળ મળી નથી.
ગઈકાલે લુણાવાડા નગરપાલિકાની ફાયરની ટીમ, એસડીઆરએફની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. મોડી રાતે એન.ડી.આર.એફ ગાંધીનગરની ટીમ પણ અહીંયા પહોંચી અને જેમના દ્વારા પણ શોધખોળ હાથ ધરવામાં આવી. ગુમ થયેલ યુવકોના હજી સુધી કોઈપણ પ્રકારની ભાળ મળી આવી નથી. આજે શોધખોળ નો બીજો દિવસ છે પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારની ભાળ યુવકોની મળી નથી, જેને લઈને પરિવારજનોમાં પણ ચિંતા જોવા મળ્યાં છે.
દોલતપુરા ખાતે ચાલતા અજંતા પ્રાઇવેટ લિમિટેડ હાઇડ્રો પાવરમાં કામ કરતા બચી ગયેલા વ્યક્તિનું નિવેદન આવ્યું છે. ચા આપવા ગયેલા વ્યક્તિ અલ્પેશ પટેલનો આબાદ બચાવ થયો હતો. બચી ગેયલા વ્યક્તિ અલ્પેશ પટેલે જણાવ્યું કે, ગઈકાલે બપોરે ત્રણ વાગે આ ઘટના બની હતી. એકા એક અંદાજિત 200 ફૂટ નીચે બ્લાસ્ટ થતા પાણી પ્લાન્ટમાં ઘૂસી ગયું હતું. પ્લાન્ટમાં કામ કરતા અંદાજિત 15 થી વધુ લોકો અંદર હતા, જેમાંથી 10 વ્યક્તિઓ બહાર નીકળ્યા અને હજુ 5 ની શોધખોળ થઈ રહી છે.
અલ્પેશ પટેલે જણાવ્યું કે, કોઈને બચવાનો સમય જ ન મળ્યો. પાણી એટલું સ્પીડમાં અંદર આવી ગયું. અંદર કામ કરતા લોકોને જાણ થાય તે પહેલાં તો લોકો ડૂબવા માંડ્યા હતા. જેને તરતા આવડતું હતું અને આજુબાજુ કોઇક વસ્તુ પકડાયુ તે બચી ગયા બાકીના ડૂબ્યા છે.
હજુ પણ એન.ડી.આર.એફ સતત શોધખોળ કરી રહી છે પરંતુ આ પાંચ વ્યક્તિઓની ભાળ નથી મળી રહી. મહીસાગર જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સતત ખડે પગે રહી કામગીરીની સમીક્ષા કરી રહ્યાં છે.
છેલ્લાં 17 કલાકથી રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે, છતાં પણ 5 યુવકોનો કોઈ અત્તો પત્તો નથી. પરિવારના આક્રંદ વચ્ચે ડૂબનાર 5 યુવકોની તસવીરો સામે આવી છે. ભારે હૈયે પરિવારજનો ગુમ થયેલ યુવકોની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ગોધરાના ડૂબનાર યુવકના પરિજને ડૂબનાર વ્યક્તિ જીવિત અથવા મૃત હાલતમાં જલદી મળે તેવી માંગ કરી.
જિલ્લા વહીવટી તંત્ર અને ઉચ્ચ અધિકારીની નજર હેઠળ રેસ્ક્યૂ કામગીરી થઈ રહી છે. ગાંધીનગર એનડીઆરએફ ટીમ લાપતા યુવકોની પાણીમાં શોધખોળ કરી રહી છે. અલગ અલગ ઉપકરણોની મદદથી તેમને શોધવામાં આવી રહ્યાં છે. હાઇડ્રો પાવરમાં ભરાયેલા પાણીને પંપથી ખાલી કરવા તંત્ર કામે લાગ્યું છે.
મોરબી ઝુલતો પુલ બનાવનાર જયસુખ પટેલની છે આ ફેક્ટરી
મહત્વનું છે મોરબીમાં ઝૂલતો પુલ બનાવનાર જયસુખ પટેલની બેદરકારીના કારણે 140થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે મહીસાગરમાં પણ અજંતા પાવર પ્રોજેક્ટ નામે હાઈડ્રો પાવર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જેમાં જયસુખ પટેલની બેદરકારીના કારણે જ હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં મહીસાગર નદીના પાણી ઘૂસી ગયા છે, અને મહીના પાણીમાં 5 લોકો ડૂબી ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે.