)
Gujara Weather Forecast : પશ્ચિમ દિશામાં સક્રિય થયેલા ડિપ્રેશન અને મોન્સૂન ટ્રફના કારણે ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. આવામાં સરહદી જિલ્લા બનાસકાંઠામાં આભ ફાટવા જેવી સ્થિતિ બની છે. છેલ્લા 24 કલાકમાં ખડીરના ગામોમાં 12 થી 13 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો સરહદીય સૂઈગામ વિસ્તારમાં 10.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે. ભારે વરસાદની આગાહી અને પાણી ભરાવાને કારણે આવતીકાલે જિલ્લામાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ કરાયો છે.
12 થી 13 ઈંચ વરસાદથી બનાસકાંઠા જળમગ્ન થયું
ખડીર પંથકમાં મેધરાજાની મહેર, તમામ ડેમ અને તળાવો ઓવરફ્લો થયા છે. છેલ્લા 24 કલાકમાં ખડીરના ગામોમાં 12 થી 13 ઈંચ વરસાદ ખાબક્યો છે. આજે વધુ 6 ઈંચ વરસાદથી રણમાં પાણીની ધમધોકાર આવક થઈ છે. રાપર તાલુકા પર ડીપ્રેશન કેન્દ્રિત, વરસાદ-પવનની ઝડપ વધવાની શક્યતા છે. વહીવટી તંત્ર સતર્ક, તમામ કર્મચારીઓને હેડ ક્વાર્ટર પર રહેવા સૂચના આપી દેવાઈ છે.
બનાસકાંઠા આવતીકાલે શાળા-કોલેજ બંધ
જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને લઈને આવતીકાલે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ કરાયો છે. જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાના તમામ આંગણવાડી, શાળાઓ, કોલેજો તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓબંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ભારે વરસાદ વચ્ચે નાગરિકોએ તકેદારી રાખવા તથા સુરક્ષિત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરાઈ છે.
દિયોદરમાં લોકોને સ્થળાંતરિત કરાયા
દિયોદરમાં ભારે વરસાદના કારણે લોકોને સ્થળાંતર કરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા 15 થી વધુ લોકોને ગ્રામ પંચાયત ટીમે સલામત સ્થળે ખસેડ્યા છે. ઓગડપરા મંદિર વિસ્તારના ઝૂંપડપટ્ટી વિસ્તારના 15 થી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા છે.
અમીરગઢમાં દીવાલ ધરાશાયી થતા મહિલાનું મોત
અમીરગઢના ધનપુરા ગામે વરસાદના કારણે મકાનની દીવાલ થઈ ધરાશાયી થતા એક મહિલા દટાયા હતા. દિવાલના કાટમાળ નીચે મહિલા દટાઈ જતા મહિલાનું મોત નિપજ્યું છે. પુનીબેન રાઠોડ નામની મહિલાનું મોત થતા સમગ્ર ગામમાં શોકનો માહોલ ફેલાયો છે.
સૂઈગામમાં 10.5 ઈંચ વરસાદથી દરિયા જેવો માહોલ
સુઇગામમાં વહેલી સવારથી અત્યાર સુધીમાં સાડા દસ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે સરહદીય વિસ્તારમાં વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. ઈન્ડો પાકિસ્તાન બોર્ડર નજીક આવેલ નડાબેટના રણમાં પાણી આવતાં રણ દરિયો બન્યો હોય તેવા દ્રશ્ય સર્જાયા છે. સૂઈગામના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી અનેક લોકો પ્રભાવિત થયા છે. સુઇગામ-ભરડવા રોડ ઉપર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર ઠપ્પ થયો છે. ભારે વરસાદને લઈને અનેક ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓ બંધ થયા છે. ગામડાઓનો બહારની દુનિયા સાથે સંપર્ક કપાયો છે. તો ભારે વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું છે.
ગેનીબેને મુખ્યમંત્રીને લખ્યો પત્ર
બનાસકાંઠા સંસદ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને બનાસકાંઠાની સ્થિતને લઈને પત્ર લખ્યો. સુઇગામમાં 10 ઇંચ જેટલો વરસાદ પડવાથી અસરગ્રસ્તોને સહાય આપવા ગેનીબેને પત્રમાં રજૂઆત કરી. સુઇગામમાં અતિવૃષ્ટિ થવાથી પાકોને નુકસાન થવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો. પાકોના નુકસાનનું વળતર તેમજ આર્થિક સહાય સાથે અસરગ્રસ્ત પરિવારોને રાહત સામગ્રી કપડાં તેમજ દવાઓ આપવાની માંગ કરી. ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને તાત્કાલિક સહાય આપવાની રજૂઆત કરી.
રાજસ્થાનના વરસાદથી બનાસકાંઠાની નદીઓમાં પૂર
રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદને લઈને બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસના ભારે વરસાદના કારણે બનાસ નદીમાં પાણીમાં સતત વધારો થઈ રહ્યો છે. બનાસ નદી બે કાંઠે વહેતી થતા નદી કાંઠે ન જવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. હજુ પણ બનાસ નદીમાં પાણીનું સ્તર વધી શકે છે.
શું કહે છે હવામાન વિભાગની આગાહી
બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું લો પ્રેશર મધ્યપ્રદેશ પહોંચ્યા બાદ વેલ માર્ક લો પ્રેશર બન્યું. ગઈ રાતે 11.30 વાગ્યે રાજસ્થાનમાં આ સિસ્ટમ વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ. અત્યાર સુધીની તેની દિશા પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ હતી. જોકે, સવારે 5.30 વાગ્યે અચાનક આ સિસ્ટમે આશ્ચર્યજનક વળાંક લીધો. હવે આ દિશા પશ્ચિમ-ઉત્તર પશ્ચિમથી બદલાઈ ગઈ અને દક્ષિણ થઈ ગઈ. દક્ષિણ રાજસ્થાનમાંથી તે ગતિ કરીને સીધી જ ઉત્તર ગુજરાતમાં પહોંચી ગઈ. સવારે 5.30 વાગ્યાની સ્થિતિએ આ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં ડીસાથી 70 કિમી દૂર સક્રિય જણાઈ છે. હવે તે દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધવાની સંભાવના છે. આ ડિપ્રેશનના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તથા કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે કેટલાક વિસ્તારમાં આજે 8 ઈંચથી પણ વધુ વરસાદ નોંધાઈ શકે છે. પરિણામે બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા કચ્છ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. ઉપરાંત 40થી 50 કિમીની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. ક્યારેક ઝટકાના પવનની દિશા 60 કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચવાની આશંકા છે. 9 સપ્ટેમ્બર સુધી પૂર્વ મધ્ય અને ઉત્તર પૂર્વ અરબ સાગર તથા કેટલાક દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ગતિ 45થી 55 કિમી જ્યારે ઝટકાના પવનની ગતિ 65 કિમી પ્રતિ કલાક સુધી રહેવાની સંભાવના છે. આથી માછીમારોને પણ 9 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.